UPમાં વક્ફ સંપત્તિઓનુ સર્વેક્ષણ કરાવી રહી છે યોગી સરકાર, બજેટ બાદ મોટો નિર્ણય
યુપીમાં શૈક્ષણિક સંસ્થા, હૉસ્પિટલ, પાર્ક, રમતગમત કેન્દ્ર વગેરે જનકલ્યાણકારી પરિયોજનાઓની સ્થાપના માટે વક્ફ અધિનિયમ હેઠળ રજિસ્ટર વક્ફ સંપત્તિઓની ઓળખ માટે યોગી આદિત્યનાથ સરકાર સર્વેક્ષણ કરાવી રહી છે.
Survey to Identify Waqf Properties: ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકારે યુપીમાં શૈક્ષણિક સંસ્થા, હૉસ્પિટલ, પાર્ક, રમતગમત કેન્દ્ર વગેરે જનકલ્યાણકારી પરિયોજનાઓની સ્થાપના માટે વક્ફ અધિનિયમ હેઠળ રજિસ્ટર વક્ફ સંપત્તિઓની ઓળખ માટે સર્વેક્ષણ કરાવી રહી છે. આ સર્વેક્ષણ પૂરુ થયા બાદ સરકાર આ સંપત્તિઓને લઈને મોટુ પગલુ લેશે તેવા સંકેત મળી રહ્યા છે. લઘુમતી કલ્યાણ, વક્ફ અને હજ મંત્રી ધર્મપાલ સિંહે કહ્યુ છે કે રાજ્ય સરકાર આ સંપત્તિઓને ભૂમાફિયાઓના ચંગૂલમાંથી મુક્ત કરાવવા અને લોકોના કલ્યાણ માટે ઉપયોગ કરવા માટે ઈચ્છુક છે.

વક્ફની સંપત્તિઓ પરથી હટશે ગેરકાયદે કબ્જા, બનશે સ્કૂલ અને હૉસ્પિટલ
ધરમપાલ સિંહે કહ્યુ કે, 'વકફ પ્રોપર્ટી પર કોઈ કોમર્શિયલ કે રેસિડેન્શિયલ એક્ટિવિટી થઈ શકે નહીં. અમે આ મિલકતોને અતિક્રમણથી મુક્ત કરવાનો ઈરાદો ધરાવીએ છીએ અને આવી જગ્યાઓ પર શૈક્ષણિક સંસ્થાઓ, કોચિંગ સેન્ટરો, હોસ્પિટલો અને ઉદ્યાનોનું નિર્માણ કરીશુ. ઉત્તર પ્રદેશમાં 162,229 વક્ફ મિલકતો છે, જેમાંથી 1,50,000 સુન્ની સેન્ટ્રલ વક્ફ બોર્ડમાં અને 12,229 શિયા સેન્ટ્રલ વક્ફ બોર્ડમાં નોંધાયેલી છે. આ તમામ મિલકતો પ્રાઇમ લોકેશન પર આવેલી છે. સરકારે અધિકારીઓને આ મિલકતોનો સર્વે કરવાનો નિર્દેશ આપ્યો છે જેથી સામાન્ય માણસ માટે આ સ્થળો પર શાળાઓ, હોસ્પિટલો, ઉદ્યાનો અને રમતના મેદાનો બનાવી શકાય.'
કબ્જો કરનાર પર થશે કડક કાર્યવાહી
તેમણે કહ્યું કે ભૂતકાળમાં રાજ્ય સરકારે વક્ફની જમીન પર અતિક્રમણ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરી હતી. ઓક્ટોબર 2019માં, ભાજપની આગેવાની હેઠળની રાજ્ય સરકારે રાજ્યમાં શિયા અને સુન્ની સેન્ટ્રલ વક્ફ બોર્ડની મિલકતોના વેચાણ, ખરીદી સંબંધિત કથિત વિસંગતતાઓની સીબીઆઈ તપાસનો આદેશ આપ્યો હતો. પ્રયાગરાજ અને લખનઉમાં પણ એફઆઈઆર નોંધવામાં આવી હતી. કેબિનેટ મંત્રીએ કહ્યુ કે બજેટ સત્ર બાદ લોકકલ્યાણના કામો માટે પ્રોપર્ટીની ઓળખ કરવાનુ કામ પૂર્ણ કરવામાં આવશે. જો કે, લઘુમતી રાજ્ય મંત્રી દાનિશ આઝાદે જણાવ્યુ હતુ કે રાજ્યના લઘુમતી વિભાગને વકફ મિલકતો ઓળખવા માટે નિર્દેશ આપવામાં આવ્યો છે જેનો ઉપયોગ જન કલ્યાણ માટે થઈ શકે. કેટલીક મિલકતો છે જે શાળાઓ, કોલેજો, હૉસ્પિટલો, ઉદ્યાનો વગેરે માટે અનુકૂળ હશે.
પ્રયાગરાજમાં શરુ છે સર્વેક્ષણનુ કામ
રાજ્યના લઘુમતી કલ્યાણ વિભાગે પ્રયાગરાજમાં યોગ્ય વક્ફ મિલકતોને ઓળખવાની કવાયત શરૂ કરી છે જ્યાં શાળાઓ, મદરેસાઓ, કોલેજો અને રમતગમત અને આરોગ્ય કેન્દ્રો આવી શકે છે. જિલ્લા લઘુમતી અધિકારીના જણાવ્યા અનુસાર, આ હેતુ માટે પ્રયાગરાજમાં વકફ મિલકતોનો સર્વે કરવામાં આવી રહ્યો છે. સર્વે કરવા માટે વક્ફ ઈન્સ્પેક્ટર અને અન્ય ચાર કર્મચારીઓની બનેલી એક સમિતિની રચના કરવામાં આવી છે.
આ અભિયાનનો હેતુ છે સંપત્તિઓનો વધુ સારો ઉપયોગ
તેમણે જણાવ્યું હતુ કે યોગ્ય વક્ફ મિલકતો કે જે ખાલી છે તેમની પસંદગી તેમના 'મુતવલ્લી' (કેરટેકર)ની સંમતિથી શાળા, કોલેજો, આરોગ્ય અને રમતગમત પ્રવૃત્તિઓના બાંધકામ માટે કરવામાં આવશે. વાસ્તવમાં, આ પહેલનો ઉદ્દેશ વક્ફ પ્રોપર્ટીનો વધુ સારી રીતે ઉપયોગ કરવાનો છે, તેનાથી વકફ વિભાગની આવકમાં પણ વધારો થશે. વકફ ડેવલપમેન્ટ કોર્પોરેશન પસંદ કરેલી વકફ પ્રોપર્ટી પર ઈમારતોના બાંધકામ માટે નાણાં આપશે. પ્રયાગરાજ જિલ્લામાં આવી 2,269 મિલકતો છે. તેમાંથી 2,106 સુન્ની વક્ફ બોર્ડના છે જ્યારે અન્ય 163 શિયા વક્ફ બોર્ડના છે. મોટાભાગની વક્ફ મિલકતો કારેલી, ખુલદાબાદ, બમરૌલી, ધૂમનગંજ, અતરસુઈયા અને ચોકમાં છે.












Click it and Unblock the Notifications
