Weather Update: સમગ્ર દેશમાં કમોસમી વરસાદ અને કરાનો કહેર, ખેતીને નુકશાન
ભારતીય હવામાન વિભાગના જણાવ્યા મુજબ 18 માર્ચથી 20 માર્ચ સુધી ઉત્તર પશ્ચિમ ભારતમાં વરસાદની સંભાવના છે. આવો જાણીએ લેટેસ્ટ હવામાન અપડેટ.

Weather Update: હાલમાં સમગ્ર દેશમાં કમોસમી વરસાદ અને કરાને કહેર વરસી રહ્યો છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા મુજબ 18 માર્ચથી 20 માર્ચ સુધી ઉત્તર પશ્ચિમ ભારતના પશ્ચિમ હિમાલય વિસ્તારો, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્લી, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં ગાજવીજ અને ભારે પવનો સાથે વ્યાપક રીતે હળવાથી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે.

દિલ્લી-એનસીઆરમાં વરસાદ
દિલ્લી-એનસીઆરના ઘણા વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. વરસાદના કારણે તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. હવામાન વિભાગે કહ્યુ છે કે દિલ્લી-એનસીઆર વિસ્તારમાં દિવસ દરમિયાન પણ વરસાદ પડી શકે છે. આઈએમડીએ કહ્યુ કે વરસાદની સંભાવના હોવાથી દિવસભર આકાશ વાદળછાયુ રહેશે અને તાપમાનમાં થોડો ઘટાડો થશે. આઈએમડી મુજબ આજે દિવસ દરમિયાન વસંત વિહાર, આરકે પુરમ, ઇગ્નૂ, અક્ષરધામ, પાલમ, સફદરજંગ સહિત દિલ્હીના ઘણા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. દિલ્લીમાં છેલ્લે 1 માર્ચે વરસાદ પડ્યો હતો.

આ રાજ્યોમાં પડશે વરસાદ
હવામાન વિભાગના જણાવ્યા મુજબ પશ્ચિમ અને મધ્ય ભારતના ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, વિદર્ભ અને છત્તીસગઢમાં 18-19 માર્ચ દરમિયાન ગાજવીજ અને પવન સાથે વરસાદની સંભાવના છે. પૂર્વી મધ્ય પ્રદેશ, વિદર્ભ અને છત્તીસગઢમાં અમુક જગ્યાએ 18 માર્ચે કરા પણ પડી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ દક્ષિણ દ્વીપકલ્પ ભારતમાં, 18-19 માર્ચ દરમિયાન ઉત્તર આંતરિક તમિલનાડુ, આંધ્ર પ્રદેશ, તેલંગાણા, કર્ણાટકમાં ગાજવીજ, વીજળી અને તીવ્ર પવન સાથે વરસાદની સંભાવના છે. 18-19 માર્ચ દરમિયાન દરિયાકાંઠાના આંધ્ર પ્રદેશમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની શક્યતા છે. જ્યારે આજે તેલંગાણામાં ઘણી જગ્યાએ ભારે વરસાદની આગાહી છે.

ગુજરાત, રતલામ અને તટીય આંધ્રપ્રદેશમાં ભારે વરસાદ
છેલ્લા 24 કલાકમાં દેશના ઘણા ભાગોમાં ભારે વરસાદ થયો છે. ઘણી જગ્યાએ તોફાન અને કરા પણ પડ્યા હતા. આસામ, મેઘાલય, ગુજરાત, રતલામ અને તટીય આંધ્રપ્રદેશમાં ભારે વરસાદ થયો છે. જ્યારે ઉત્તરાખંડ, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, ગંગા પશ્ચિમ બંગાળ, સૌરાષ્ટ્ર અને કચ્છ, તેલંગાણા, રાયલસીમા, મધ્ય મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં છૂટાછવાયા સ્થળોએ વાવાઝોડુ જોવા મળ્યુ હતુ.

કમોસમી વરસાદથી પાકને નુકશાન
મહારાષ્ટ્રના મરાઠાવાડામાં કમોસમી વરસાદ અને કરાવૃષ્ટિમાં પાંચ લોકોના મોત થઈ ગયા. બધા લોકો પરભણી જિલ્લાના હતા. બિહારના ગોપાલગંજમાં વીજળીથી એક વ્યક્તિનુ મોત અને ઘણા લોકો ઘાયલ થયાના સમાચાર છે. માવઠાના કારણે દેશમાં પાક બરબાદ થઈ રહ્યા છે. દેશના મોટાભાગના સ્થળોએ તાપમાનમાં ઘટાડો નોંધવામાં આવ્યો છે.












Click it and Unblock the Notifications
