નેવીના પૂર્વ જવાનની હત્યા, પત્ની અને પુત્રએ 6 ટૂકડા કરી તળાવ અને જંગલમાં ફેંક્યા
દિલ્હીમાં શ્રદ્ધા વોકરની હત્યાના થોડા દિવસ બાદ કલકત્તાથી 40 કિલોમીટર દુર બરૂઇપુરમાં પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો છે, જ્યાં 50 વર્ષીય મહિલા અને તેના 25 વર્ષીય પુત્ર દ્વારા નેવીના નિવૃત કર્મચારીની હત્યા કરવામાં આવી છે.
દિલ્હીમાં શ્રદ્ધા વોકરની હત્યાના થોડા દિવસ બાદ કલકત્તાથી 40 કિલોમીટર દુર બરૂઇપુરમાં પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો છે, જ્યાં 50 વર્ષીય મહિલા અને તેના 25 વર્ષીય પુત્ર દ્વારા નેવીના નિવૃત કર્મચારીની હત્યા કરવામાં આવી છે. જે બાદ તેની લાશના છ ટુકડા કરીને અવાવરૂ સ્થળો પર ફેંકી દીધા હતા. હાલ બંનેની ધરપકડ કરીને પૂછપરછ કરવામાં આવી રહી છે.

બરૂઇપુરના પોલીસ અધિક્ષક પુષ્પા દ્વારા જણાવવામાં આવ્યું છે કે, 55 વર્ષીય પૂર્વ નેવી કર્મચારી ઉજ્જવલ ચક્રવર્તીની 14 નવેમ્બરની સાંજે પત્ની શ્યામલી ચક્રવર્તી અને પુત્ર રાજુ ચક્રવર્તી ઉર્ફે જોય દ્વારા હત્યા કરવામાં આવી હતી.
સુપરિન્ટેન્ડેન્ટ પુષ્પાએ વધુમાં જણાવ્યું હતું કે, અત્યાર સુધીની તપાસમાં જાણવા મળ્યું છે કે, ઉજ્જવલ દારૂ પીતો હતો અને તેના પુત્રને અવારનવાર મારતો હતો. આ બાબતે 14મી નવેમ્બરની સાંજે તેની પત્ની સાથે ઝઘડો પણ થયો હતો. જે બાદ પુત્રએ તેના પર હુમલો કર્યો અને ગુસ્સામાં પિતાનું ગળું દબાવી દીધું હતું.
ઉજ્જવલનો પુત્ર રાજુ જેણે આઈટીઆઈમાંથી પોલિટેકનિકનો અભ્યાસ કર્યો છે. તેણે તેની કારપેન્ટર કીટમાંથી હેક્સોનો ઉપયોગ કરીને ઉજ્જવલના શરીરના 6 ટુકડા કર્યા હતા. જે બાદ મૃતદેહના ટુકડા પ્લાસ્ટિકની કોથળીઓમાં લપેટીને તળાવ અને ઝાડીઓમાં ફેંકી દીધા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, પુત્રએ ખાસ મલ્લિક અને દેહમેદાન મલ્લા વિસ્તારમાં લગભગ 500 મીટરની ત્રિજ્યામાં શરીરના અંગો ફેંકવા માટે છ વખત સાઇકલના ધક્કા કર્યા હતા.
લાશ ફેંક્યા બાદ પત્ની અને પુત્ર બીજા દિવસે સવારે 3 કલાકે તેમના ગુમ થયાની ફરિયાદ નોંધાવવા પોલીસ મથક પર ગયા હતા. પોલીસ ફરિયાદમાં બંનેએ જણાવ્યું હતું કે, ખાનગી એજન્સીમાં સિક્યોરિટી ગાર્ડ તરીકે તૈનાત ઉજ્જવલ હજૂ સુધી ઘરે આવ્યા નથી. ત્યાં ફરિયાદના બે દિવસ બાદ મૃતદેહના ટુકડા તળાવમાં તરતા જોવા મળ્યા હતા.
તળાવ પાસે રહેતી સુભ્રા ચેટર્જીએ જણાવ્યું કે, ગુરુવારે સાંજે હું મારા ઘરના ઉપરના માળે બેઠો હતો. આ દરમિયાન તળાવમાં લાલ ટી-શર્ટ તરતી હતી. જ્યારે નજીકથી જોવામાં આવ્યું તો જાણવા મળ્યું કે, તે એક પુરૂષની લાશ હતી. મેં આ વિશે આસપાસના અન્ય લોકોને પણ જાણ કરી, ત્યારબાદ ઘણા લોકો ત્યાં પહોંચ્યા હતા. આ પછી પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, લાશ પ્રખ્યાત કાપડની દુકાનની પોલિથીનની થેલીમાં લપેટી હતી. આનાથી વિસ્તારને શોધવામાં મદદ મળી અને લાશની ઓળખ થઈ હતી.
જે બાદ જ્યારે પોલીસે માતા-પુત્રની પૂછપરછ શરૂ કરી તો તેઓ સ્વીકારવા તૈયાર ન હતા અને કહી રહ્યા હતા કે, ઉજ્જવલ શરાબી છે. આવી સ્થિતિમાં તેની કોઈ સાથે લડાઈ થઈ હશે અને આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હશે. જોકે પોલીસે કડકાઈથી પૂછપરછ કરતાં બંનેએ ગુનો કબૂલી લીધો હતો. પોલીસે અત્યાર સુધીમાં શરીરના 4 અંગો કબ્જે કર્યા છે. આવા સમયે અન્ય બે ભાગોની શોધ કરવામાં આવી રહી છે. પોલીસના જણાવ્યા અનુસાર, બંને હાથ હજૂ સુધી મળી શક્યા નથી. હાલ મહિલા અને તેની માતાની ધરપકડ કરીને જેલમાં મોકલી દેવામાં આવ્યા છે.












Click it and Unblock the Notifications
