મચ્છુ ડેમ હોનારતઃ 44 વર્ષ પહેલા આંખના પલકારામાં ભરાઈ ગયા 15 ફૂટ પાણી, હજારો લોકો પૂરમાં તણાઈ મોતને ભેટ્યા
Machchu Dam Disaster: મોરબીમાં 44 વર્ષ પહેલા 11 ઓગસ્ટ, 1979ના દિવસે ક્યારેય ન ભૂલી શકાય તેવી દુનિયાની સૌથી મોટી જળપ્રલયની દૂર્ઘટના બની હતી. બપોરે 3.30 વાગે મોરબીનો મચ્છુ ડેમ તૂટી ગયો હતો અને મોરબી ઉપરાંત આસપાસના ગામોમાં મચ્છુ નદીના પાણી ફરી વળતા હજારોની સંખ્યામાં લોકો તણાઈ ગયા હતા અને મોતને ભેટ્યા હતા.
મોતનો આંકડો તો 25 હજાર સુધીનો સરકાર દ્વારા જણાવવામાં આવ્યો હતો પરંતુ હજુ સુધી કોઈ સાચો આંકડો બહાર આવ્યો નથી. મચ્છુ ડેમની આ ગોઝારી દૂર્ઘટનાના ભયાનક દ્રશ્યો આજે પણ લોકોની આંખમાં તરવરે છે. ઘણા લોકોએ તો મચ્છુના પાણીમાં પોતાના સ્વજનોને ડૂબતા જોયા હતા. આવા ભયાનક દ્રશ્યો યાદ આવતા તેમના દ્રદય દ્રવી ઉઠે છે.

અતિશય ભારે વરસાદના કારણે મચ્છુ ડેમ તૂટી જવાથી હજારો લોકોના મોત થયા હતા અને અસંખ્ય પશુઓ તણાઈ ગયા હતા. કેટલાય મકાનો ધરાશાયી થઈ ગયા હતા. ચારે તરફ માનવ અને પશુઓના મૃતદેહો લટકતા હતા. વિધિની વક્રતા એ હતી કે મોરબી દૂર્ઘટના વિશે એ સમયે કેન્દ્ર સરકારને કલાકો સુધી ખબર જ નહોતી પડી. મોરબી દૂર્ઘટના વિશે અમેરિકાએ દિલ્લીને ફોન કરીને જણાવ્યુ હતુ. ત્યારબાદ તંત્ર સફાળુ જાગ્યુ અને તાત્કાલિક અધિકારીઓની ટીમો મોરબી ખાતે મોકલવામાં આવી હતી.
માત્ર બે કલાકના સમયમાં મોરબીમાં મોતનુ તાંડવ રચાયુ હતુ. મચ્છુ ડેમ તૂટતા ધસમસતા આવી રહેલા પાણીને જોઈને મોરબીવાસીઓ ગભરાઈને આમતેમ ભાગવા લાગ્યા હતા. પાણી 10થી 15 ફૂટ ઉંચે સુધી ભરાઈ ગયા હતા. એવામાં ભાગીને ક્યાં જવુ? એ વખતે એટલી બહુમાળી ઈમારતો કે પાકા મકાનો પણ નહોતા.
મચ્છુ ડેમ તૂટ્યા બાદ મોરબી શહેર એક ટાપુ જેવુ બની ગયુ હતુ. ચારે બાજુર પાણી જ પાણી હતુ. પાણી ઓસર્યા પછી ઠેર-ઠેર લાશોના ઢગલાં, ગંદકીના થર હતા. રાહત અને બચાવ કામગીરી માટે સરકાર સહિત ઘણી સંસ્થાઓના લોકો મોરબીમાં આવ્યા હતા. વળી, ચોરી-લૂંટ કરવા માટે પણ ગેંગો આવવા લાગી હતી. દૂર્ઘટનાના થોડા દિવસો પછી વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ મોરબી શહેરની મુલાકાત લીધી હતી. લાશોની દૂર્ગંધના કારણે તેમણે મોઢા પર રુમાલ બાંધ્યો હતો. મોરબી હોનારત પછી રોગચાળો ફાટી નીકળ્યો હતો.
મોતાના આ કાળમુખા દિવસના ઘા આજે 44 વર્ષ પછી લોકોના હ્રદયમાં તાજા છે. તમને જણાવી દઈએ મોરબી હોનારતની દુનિયાની સૌથી ભયાનક હોનારત તરીકે ગિનિશ બુકમાં નોંધ કરવામાં આવી છે. દર વર્ષે 11 ઓગસ્ટના દિવસે મોરબી પાલિકા દ્વારા મૌન રેલીનુ આયોજન કરવામાં આવે છે. જેમાં રાજકીય, સામાજિક આગેવાનો સહિત અધિકારીઓ હાજર રહે છે.












Click it and Unblock the Notifications
