માવઠાના માર વચ્ચે ખેડૂતોને રાહત, સરકાર કરાવશે ખેતીમાં થયેલા નુકસાનનો સર્વે
કમોસમી વરસાદના કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે. જોકે, ખેડૂતો માટે રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્યમાં નોંધાયેલા માવઠાને કારણે થયેલા નુકસાનનો સર્વે કરવામાં આવશે. આ અંગે કૃષિ મંત્રી રાઘવજી પટેલ દ્વારા કૃષિ વિભાગને જરૂરી આદેશ આપી દેવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વર્તમાન સમયે જાપાનના પ્રવાસ પર છે. આમ છતા ભૂપેન્દ્ર પટેલને આ અંગેની જાણકારી આપવામાં આવી રહી છે.

રાજ્યમાં નોંધાયેલા માવઠાના કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે, જે કારણે રાજ્ય સરકાર હરકતમાં આવી છે. કૃષિ મંત્રી રાઘવજી પટેલ દ્વારા કમોસમી વરસાદને કારણે થયેલા નુકસાન અંગે સર્વેના આદેશ આપવામાં આવ્યા છે. નુકસાનના સર્વેની કામગીરી ઝડપથી શરૂ કરવામાં આવશે.
નોંધનીય છે કે, રાજ્યના તમામ જિલ્લામાં કૃષિ વિભાગના જિલ્લા અધિકારીઓને સ્ટેન્ડ બાય રહેવાની સૂચના આપી દેવામાં આવી છે.
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પરિસ્થિતિનો તાગ મેળવ્યો છે. માવઠાના કારણે થયેલા નુકસાનના સર્વે બાદ રાજ્ય સરકાર દ્વારા નુકસાન વળતર જાહેર કરવામાં આવી શકે છે.
કમોસમી વરસાદના કારણે ખેતરનો ઉભો પાક પાયમાલ થઇ ગયો છે. આ સાથે ખેતરોમાં પાણી ભરાઇ ગયા હોવાના કારણે પાકને વધારે નુકસાન થવાની શક્યતા છે. ભારે પવન અને વરસાદના કારણે ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન વેઠવું પડી શકે છે. આ સાથે એરંડા, શેરડી, ઘઉં, ચણા, મગફળી ધાણા અને જીરૂ પકવતા ખેડૂતોની હાલત દયનીય બની છે.












Click it and Unblock the Notifications
