બોટાદમાં આપની ખેડૂત મહાપંચાયત હિંસામાં 3 પોલીસકર્મી ઘાયલ
બોટાદના હડદડ ગામ ખાતે રવિવારે આમ આદમી પાર્ટી (AAP) દ્વારા આયોજિત ખેડૂત મહાપંચાયતમાં પોલીસ અને કાર્યકરો વચ્ચે ગંભીર અથડામણ થઈ હતી.
આ કાર્યક્રમ માટે સત્તાવાળાઓ દ્વારા પરવાનગી આપવામાં આવી ન હોવા છતાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. પોલીસે સભાને વિખેરવાનો પ્રયાસ કરતાં પથ્થરમારો શરૂ થયો હતો, જેના કારણે ત્રણ પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા.

આ ઘટનામાં ડીવાયએસપી (DySP) મહર્ષિ રાવલનો પણ સમાવેશ થાય છે, જેમનો હાથ ફ્રેક્ચર થયુ છે. આ ઘટના બાદ પોલીસે લગભગ 20 લોકોની અટકાયત કરી છે.
આમ આદમી પાર્ટીના કાર્યકરો અને ખેડૂતો થઈ રહેલા શોષણનો વિરોધ કરવા બોટાદ APMC માર્કેટ યાર્ડ પાસે વિરોધ કરવા માટે એકઠા થયા હતા. આ સભાને વિખેરવા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને દમન ગુજારતા લોકોએ કથિત રીતે પોલીસ પર પથ્થરમારો કર્યો અને પોલીસના વાહનોને નુકસાન પહોંચાડ્યું હતુ.
સ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસે ટિયર ગેસના શેલ છોડ્યા હતા. બાદમાં પોલીસે શાંતિ પુનઃસ્થાપિત કરવા માટે કોમ્બિંગ ઓપરેશન પણ હાથ ધર્યું હતું.
બોટાદની ઘટના પહેલાં AAPના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવી, મહાસચિવ સાગર દેસાઈ અને અન્ય ઘણા કાર્યકરોને વિરોધ સ્થળે પહોંચતા અગાઉ જ બગોદરા હાઈવે નજીક અટકાયતમાં લેવામાં આવ્યા હતા.
પોલીસ દ્વારા નેતાઓની અટકાયત કરવામાં આવતાં AAPના સમર્થકોએ હાઈવે બ્લોક કરીને વિરોધ પ્રદર્શનો કર્યા હતા, જેના કારણે વાહનવ્યવહાર ખોરવાયો હતો.
પરિસ્થિતિને નિયંત્રિત કરવા માટે વધારાનો પોલીસ કાફલો તૈનાત કરવામાં આવ્યો હતો અને બગોદરા પોલીસ સ્ટેશનને કામચલાઉ કંટ્રોલ કેમ્પમાં ફેરવી દેવામાં આવ્યું હતું.












Click it and Unblock the Notifications
