આદિજાતિ બાળકોના વિકાસ માટે સરકાર સંકલ્પબદ્ધ, 7.64 લાખ બાળકોને મળશે દુધ સંજીવની યોજનાનો લાભ
આદિજાતિ વિસ્તારના બાળકોના વિકાસ માટે રાજ્ય સરકારની 'દૂધ સંજીવની યોજના' સાચા અર્થમાં 'સંજીવની' સાબિત થઇ છે. 'સ્વસ્થ્ય મન માટે સ્વસ્થ્ય શરીર જરૂરી છે' આ મંત્રને સાકાર કરવાના ઉમદા હેતુથી આદિજાતિ વિસ્તારો તેમજ વિકાસશીલ તાલુકાઓમાં પ્રાથમિક શાળાના ભૂલકા-બાળકો માટે ગુજરાત સરકાર દ્વારા સ્વાદિષ્ટ ફ્લેવર્ડ દૂધ આપતી 'દૂધ સંજીવની યોજના' અમલી બનાવી છે.
તત્કાલીન મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આદિજાતિ વિસ્તારના ધોરણ-૧ થી ૮ના બાળકોને નાની વયે જ પોષણક્ષમ આહાર આપવાના ઉદ્દેશ્ય સાથે આ યોજનાનો તા. ૯ ફેબ્રુઆરી ૨૦૦૭ના રોજ ગુજરાતમાં સૌ પ્રથમ દાંતા અને અમીરગઢ તાલુકાથી શુભારંભ કરવામાં આવ્યો હતો. માત્ર બે તાલુકાથી શરૂ થયેલી આ યોજનામાં હવે અંબાજીથી ઉમરગામ સુધીના આદિજાતિ વિસ્તારના ૧૪ જિલ્લાના કુલ- ૫૨ તાલુકાઓને આવરી લેવામાં આવ્યા છે.

ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગત વર્ષ ૨૦૨૨-૨૩માં આ યોજના હેઠળ રૂ. ૧૧,૨૬૬ લાખના ખર્ચે આદિજાતિ વિસ્તારના ધોરણ-૧ થી ૮માં અભ્યાસ કરતા ૮,૭૨૪ શાળાઓના કુલ ૭.૬૪ લાખથી વધુ બાળકોને લાભ આપવામાં આવ્યો છે. આ યોજના હેઠળ વર્ષ ૨૦૧૪-૧૫ થી ૨૦૨૨-૨૩ સુધીમાં કુલ રૂા.૭૬૯ કરોડથી વધુના ખર્ચે કુલ ૭૪.૭૧ લાખ આદિજાતિ બાળકોને આવરી લેવાયા છે.
યોજનાની સફળતાને કેન્દ્ર સ્થાને રાખીને બાળકોના હિતમાં 'દૂધ સંજીવની યોજના' માટે ચાલુ વર્ષના બજેટમાં ગુજરાત સરકારે કુલ-૫૨ આદિજાતિ તાલુકાના અંદાજે કુલ ૮ લાખ બાળકોને શારીરિક અને માનસિક પોષણ મળી રહે તે માટે રૂ. ૧૪૪ કરોડથી વધુ રકમની માતબર જોગવાઈ પણ કરી છે.
'દૂધ સંજીવની યોજના' હેઠળ આદિવાસી તાલુકાઓની પ્રાથમિક શાળાઓમાં જતા આદિવાસી બાળકોના પોષણ સ્તરમાં વધુને વધુ સુધારો કરવા વિટામીન, પ્રોટીન, કેલ્શિયમ તેમજ ક્ષાર જેવા તત્વોની ઉણપ હોય તો તે દૂર કરીને આરોગ્યમાં સુધારો લાવવા વિદ્યાર્થીઓને બાળકદીઠ અઠવાડિયાના પાંચ દિવસ વર્ષના ૧૦ માસ એટલે કે વાર્ષિક ૨૦૦ દિવસ ફ્લેવર્ડવાળું ૨૦૦ ગ્રામ ચોખ્ખું દૂધ આપવામાં આવે છે.
આ ૩ ટકા ફેટવાળા દૂધમાં નિયમિત ૨૪ ગ્રામ કાર્બોહાઈડ્રેટ, ૭ ગ્રામ પ્રોટીન, ૫૦૦ IU વિટામીન-એ અને ૪૦ IU વિટામીન-ડી ઉમેરીને ગુણવતાયુક્ત દૂધ બાળકોને આપવામાં આવે છે.
ગુજરાતમાં 'દૂધ સંજીવની યોજનાના' અમલથી આ વિસ્તારના આદિજાતિ બાળકોના સ્વાસ્થ્ય ઉપર કેવા પ્રકારની હકારાત્મક અસરો-ફાયદા થયા છે તેનો આદિવાસી સંશોધન અને તાલીમ કેન્દ્ર, અમદાવાદ દ્વારા વિગતવાર અભ્યાસ કરાયો હતો.
અભ્યાસના તારણમાં આ વિસ્તારની શાળાઓમાં બાળકોના ડ્રોપ આઉટ રેશિયામાં ઘટાડો, અધવચ્ચેથી શાળાઓ છોડી જતા બાળકોના પ્રમાણમાં ઘટાડો,બાળકોની હાજરીની નિયમિતતામાં વધારો,બાળકોના સ્વાસ્થ્યમાં સુધારો તેમજ ખાસ કરીને આંખોમાં તેજ અને દ્રષ્ટિમાં વધારો જોવા મળ્યો છે.
ઉલ્લેખનીય છે કે, આદિજાતિ વિકાસ ઉપરાંત મહિલા-બાળ વિકાસ તેમજ શિક્ષણ વિભાગના સંયુક્ત પ્રયાસોથી વર્ષ ૨૦૨૨-૨૩માં આ યોજના હેઠળ સૌથી વધુ બાળકોને લાભ આપવામાં પ્રથમ પાંચ જિલ્લાઓમાં સૌથી વધુ ૧.૮૪ લાખ બાળકો સાથે સમગ્ર રાજ્યમાં દાહોદ પ્રથમ ક્રમે છે. જ્યારે ૮૧,૮૧૧ બાળકો સાથે વલસાડ બીજા, ૬૪,૯૫૫ સાથે સુરત ત્રીજા, ૬૧,૭૦૦ સાથે સાબરકાંઠા ચોથા અને ૫૬,૩૨૮ બાળકો સાથે તાપી પાંચમા ક્રમે છે.
આમ વર્ષ ૨૦૨૨-૨૩માં 'દૂધ સંજીવની યોજના' હેઠળ ૧૪ જિલ્લાના કુલ-૫૨ તાલુકાઓમાં કુલ ૭,૬૪,૬૪૩ આદિજાતિ બાળકોને ફ્લેવર્ડ દૂધ આપીને વધુ સશક્ત-પોષણક્ષમ બનાવવાનું સફળ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આગામી વર્ષે પણ રાજ્યમાં આ યોજના હેઠળ ૮ લાખ બાળકોને સાંકળી લેવાનાં લક્ષ્યાંક સાથે વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.
રાજ્ય સરકારની દૂધ સંજીવની, મધ્યાહન ભોજન, શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ, સ્વચ્છતા સહાય, કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ જેવા સંકલિત શૈક્ષણિક અભિયાન દ્વારા ગુજરાતના સાક્ષરતા દરમાં વધારાની સાથે કન્યાઓનો ડ્રોપ આઉટ રેશિયો ૩૩.૧૭ ટકાથી ઘટાડીને ૩.૦૧ ટકા જેટલો નીચો લાવી શક્યા છીએ.












Click it and Unblock the Notifications
