હર ઘર તિરંગા અભિયાનમાં રાજ્યમાં 1.40 કરોડ તિરંગા લહેરાવાયા!
હર ઘર તિરંગા અભિયાનને ગુજરાતમાં વ્યાપક પ્રતિસાદ મળ્યો હોવાનો દાવો રાજ્ય સરકારે કર્યો છે. રાજ્યમાં એક કરોડના લક્ષ્યાંકની સામે ૧.૪૦ કરોડ તિરંગા લહેરાવાયા હોવાનું રાજ્ય સરકારે જણાવ્યુ છે.
ગાંધીનગર : હર ઘર તિરંગા અભિયાનને ગુજરાતમાં વ્યાપક પ્રતિસાદ મળ્યો હોવાનો દાવો રાજ્ય સરકારે કર્યો છે. રાજ્યમાં એક કરોડના લક્ષ્યાંકની સામે ૧.૪૦ કરોડ તિરંગા લહેરાવાયા હોવાનું રાજ્ય સરકારે જણાવ્યુ છે. આ માટે પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ રાજ્યની જનતાનો આભાર માન્યો હતો.

જીતુ વાઘાણીએ જણાવ્યું કે, ૧૫મી ઓગસ્ટ, ૧૯૪૭ના રોજ ભારતની આઝાદી સમયે જોવા મળેલો રાષ્ટ્ર ભક્તિનો જુસ્સો આજે ૭૫ વર્ષ બાદ આઝાદીના અમૃત મહોત્સવ પ્રસંગે 'હર ઘર તિરંગા' અભિયાન થકી ગુજરાત સહિત દેશભરમાં જોવા મળ્યો તે બદલ કેબિનેટ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અભિનંદન આપતો આભાર પ્રસ્તાવ પસાર કરાયો છે.
તેઓએ હર ઘર તિરંગા અભિયાનની વિગતો આપતાં જણાવ્યું કે, રાજ્યના તમામ ૩૩ જિલ્લાઓના તમામ ગામ-શહેરો અને નગર-મહાનગરોમાં સરકારી-ખાનગી કચેરીઓ, વિવિધ સંસ્થાઓ, વિવિધ ધાર્મિકસ્થાનો, ઐતિહાસિક ઈમારતો, શાળા-કોલેજો, નાના-મોટા ઉદ્યોગગૃહો, મુખ્ય જળાશયો, જંગલ, દરિયાઈ વિસ્તાર, રણ વિસ્તાર, પર્વત વિસ્તાર, માર્કેટ, ઝુંપડું કે મકાન તમામ વિસ્તારોમાં તિરંગા લહેરાવવામાં આવ્યા હતા.
રાજ્યના તમામ જિલ્લાઓમાં મળી કુલ ૨,૪૦૦થી વધુ તિરંગા યાત્રાઓનું આયોજન થયું હતું, જેમાં નાગરિકો સ્વયંભૂ ઉત્સાહભેર જોડાયા હતા. આ ઉપરાંત રાજ્યભરમાં હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત ગ્રામસભાઓ, સંકલ્પ પત્રનું વાંચન, શાળામાં વિવિધ સ્પર્ધાઓ, પ્રભાતફેરીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાજ્યના તમામ વયના નાગરિકોએ ભાગ લઈને રાષ્ટ્રભક્તિના નારાઓ સાથે સમગ્ર વાતાવરણ દેશભક્તિમય બનાવ્યું હતું તેમ તેમણે ઉમેર્યું હતું.












Click it and Unblock the Notifications
