‘શિકારા'ની રિલીઝ પર રોક માટે હાઈકોર્ટમાં અરજી, ડાયરેક્ટરે આપ્યો આ જવાબ
કાશ્મીરી પંડિતો પર બનેલી બોલિવુડ ફિલ્મ ‘શિકારા' પર રોકની માંગ માટે જમ્મુ-કાશ્મીર હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે.
કાશ્મીરી પંડિતો પર બનેલી બોલિવુડ ફિલ્મ 'શિકારા' પર રોકની માંગ માટે જમ્મુ-કાશ્મીર હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. ફિલ્મ 'શિકારાઃ ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ કાશ્મીરી પંડિત' 1989ના અંત અને 1990ની શરૂઆતમાં કાશ્મીર ઘાટીથી કાશ્મીર પંડિત પલાયનની પૃષ્ઠભૂમિ પર આધારિત ફિલ્મ છે. ફિલ્મ 7 ફેબ્રુઆરીના રોજ રિલીઝ થવાની છે. અરજીકર્તા ઈફ્તિખાર મિસગર, માજિદ હૈદરી અને ઈરફાન હાફિજ લોને અરજીમાં આરોપ લગાવ્યો છે કે ફિલ્મ કાશ્મીર અને કાશ્મીરી પંડિતો વિશે ખોટા તથ્યોને દર્શાવે છે.

અરજીમાં શું કહેવામાં આવ્યુ છે?
તેમણે અરજીમાં કહ્યુ છે કે ફિલ્મમાં સામાન્ય કાશ્મીરીઓને ખોટી રીતે ચિત્રિત કરવામાં આવ્યા છે. આ ફિલ્મમાં કાશ્મીરી પંડીતોના વિસ્થાપન માટે સામાન્ય કાશ્મીરીને જવાબદાર ગણવામાં આવ્યા છે. અરજીમાં કહેવામાં આવ્યુ છે કે એ સમયે આ દૂર્ઘટના સામાન્ય લોકોની પહોંચથી પરે થઈ હતી. તેમણે દાવો કર્યો છે કે જો ફિલ્મ રિલીઝ થશે તો આનાથી સાંપ્રદાયિક સૌહાર્દ બગડશે.

વિધુ વિનોદ ચોપડાએ શું કહ્યુ?
અરજી પર ફિલ્મ નિર્માતા વિધુ વિનોદ ચોપડાએ કહ્યુ છે કે તેમની લીગલ ટીમ આ મામલાને જોશે. ચોપડાએ કહ્યુ, ‘અમને અમુક મીડિયા સૂત્રોથી માલુમ પડ્યુ છે કે અમુક લોકોએ શિકારાની રિલીઝ સામે જમ્મુ કાશ્મીર હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે. અમને આના વિશે વધુ કંઈ ખબર નથી, અમારા વકીલ હરીશ સાલ્વે જરૂર પડવા પર યોગ્ય પગલા લેશે.'

'30 વર્ષ બાદ બતાવવામાં આવશે કહાની'
તમને જણાવી દઈએ કે મંગળવારે જ વિધુ વિનોદ ચોપડા ફિલ્મ્સના અધિકૃત પેજ પર ટ્વિટ કરીને એક નવુ ટીઝર શેર કરવામાં આવ્યુ છે. જે સાથે તેમાં લખવામાં આવ્યુ છે, ‘1990માં 4,00,000થી વધુ કાશ્મીરી પંડિતોને પોતાના ઘર છોડવા માટે મજબૂર કરવામાં આવ્યા. 30 વર્ષ બાદ છેવટે તેમની કહાની જણાવવામાં આવશે.'

ફિલ્મના સ્ક્રિપ્ટ રાઈટર શું બોલ્યા?
વળી, ફિલ્મના સ્ક્રિપ્ટ રાઈટર રાહુલ પંડિતે હાલમાં જ એક ટ્વિટમાં લખ્યુ, ‘હું એક કાશ્મીરી પંડિત છુ, જે 1990માં બધુ ગુમાવી ચૂક્યો છે. હું શિકારાનો લેખક છુ. હું પંડિતોની કહાની માટે કોઈને પણ સમજૂતી નહિ કરવા દઉ. હું ઈસ્લામિક કટ્ટરપંથીની ગોળીઓથી મરનાર કાશ્મીરી પંડિતો સાથે છેતરપિંડી નહિ કરુ.'












Click it and Unblock the Notifications
