શંભુ બોર્ડર ખોલવા સુપ્રીમ કોર્ટનો હરિયાણા સરકારને કડક શબ્દોમાં આદેશ, જાણો શું કહ્યું?
કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર સાથે મળીને ખેડૂતોની માંગોને દબાવનારી હરિયાણા સરકારને સુપ્રીમ કોર્ટે આડેહાથ લીધી છે. કોર્ટે કડક શબ્દોમાં શંભુ બોર્ડર ખોલવા આદેશ કર્યો છે.
સુપ્રીમ કોર્ટે શંભુ બોર્ડર પર લગાવેલા બેરિકેડ્સ હટાવવાનો નિર્દેશ આપતાં હરિયાણા સરકારને ફટકાર લગાવી. ટિપ્પણી કરતા કોર્ટે રાજ્ય સરકારને પૂછ્યું કે તે હાઈવે કેવી રીતે બ્લોક કરી શકે?

કોર્ટે કહ્યું કે, અમે કહી રહ્યા છીએ કે અંબાલા નજીક શંભુ બોર્ડર પર લગાવવામાં આવેલા અવરોધો દૂર કરો અને ટ્રાફિકને નિયંત્રિત કરો.
ખેડૂતોના આંદોલન દરમિયાન વિરોધ કરી રહેલા 22 વર્ષના યુવકના મોતની ન્યાયિક તપાસ વિરુદ્ધ હરિયાણાની અરજી પર સુનાવણી મોકૂફ રાખતી વખતે સુપ્રીમ કોર્ટે આ ટિપ્પણી કરી.
જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ ઉજ્જલ ભુઈયાની બેંચે આ નિર્દેશ ત્યારે આપ્યો જ્યારે હરિયાણા સરકારના વકીલે કહ્યું કે અમે હાઈકોર્ટના 10 જુલાઈના આદેશ સામે અપીલ દાખલ કરવાની પ્રક્રિયામાં છીએ.
હાલમાં જ પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે એક સપ્તાહમાં બેરિકેડ હટાવીને શંભુ બોર્ડર ખોલવાનો આદેશ આપ્યો હતો. ખેડૂતો પોતાની વિવિધ માંગણીઓ માટે 13મી ફેબ્રુઆરીથી શંભુ બોર્ડર પર પડાવ નાખીને રહ્યા છે.
સંયુક્ત કિસાન મોરચા અને કિસાન મઝદૂર મોરચાએ પાક માટે લઘુત્તમ ટેકાના ભાવની કાયદેસર ગેરંટી સહિત વિવિધ માંગણીઓના સમર્થનમાં દિલ્હી તરફ કૂચ કરવાની જાહેરાત કરી હતી. આ પછી હરિયાણા સરકારે ફેબ્રુઆરીમાં અંબાલા-નવી દિલ્હી રાષ્ટ્રીય ધોરીમાર્ગને બેરિકેડ કરી દીધો હતો.












Click it and Unblock the Notifications
