ઊર્જા ક્ષેત્રે આત્મનિર્ભરતા: 2047 સુધીમાં વિકસિત ભારત બનવા માટે અદાણી ગ્રુપનો રોડમેપ
મિડલ ઇસ્ટમાં વધી રહેલા ભૂ-રાજકીય તણાવે વૈશ્વિક ઇંધણ બજારમાં અનિશ્ચિતતા સર્જી છે. આ સંદર્ભે, અદાણી ગ્રીન એનર્જી લિમિટેડના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સાગર અદાણીએ જણાવ્યું કે, બાહ્ય ઊર્જા આંચકાઓ સામે ભારત માટે લાંબાગાળાનો સૌથી અસરકારક માર્ગ તેની અર્થવ્યવસ્થાનું ઝડપી વિદ્યુતીકરણ અને મોટા પાયે સ્થાનિક વીજળી ક્ષમતાનો વિકાસ કરવો છે.
નવી દિલ્હીમાં આયોજિત વૈશ્વિક પરિષદમાં સાગર અદાણીએ ભારપૂર્વક કહ્યું કે, કોઈપણ દેશની મજબૂતી તેની ઊર્જાની ઉપલબ્ધતા, કિંમત અને પુરવઠાની સુરક્ષા પર નિર્ભર છે. આંતરરાષ્ટ્રીય સંઘર્ષોએ સાબિત કર્યું છે કે વૈશ્વિક ઉથલપાથલ શિપિંગ માર્ગો, કોમોડિટીના ભાવો, સપ્લાય ચેઇન અને આર્થિક સ્થિરતાને તત્કાળ પ્રભાવિત કરી શકે છે.
તેમના મતે, દેશો સામે હવે માત્ર આર્થિક વિકાસની ગતિનો નહીં, પરંતુ અચાનક આવતી મુશ્કેલીઓનો કેટલી મજબૂતીથી સામનો કરી શકે છે તેનો પ્રશ્ન છે. આ પડકાર ભારત માટે અત્યંત મહત્વપૂર્ણ છે, કારણ કે આગામી દાયકાઓમાં આર્થિક મહત્વાકાંક્ષાઓ, ઔદ્યોગિક વિસ્તરણ અને બહેતર જીવનધોરણ માટે વિશાળ વિશ્વસનીય વીજ પુરવઠાની જરૂર પડશે.

ભારતની વિકાસ પ્રાથમિકતાઓ સીધી ઊર્જાની ઉપલબ્ધતા સાથે સંકળાયેલી છે, એમ સાગર અદાણીએ સ્પષ્ટ કર્યું. તેમણે ઉદાહરણ આપ્યું કે જળ સુરક્ષા માટે ટ્રીટમેન્ટ, પમ્પિંગ-ડિસેલિનેશનમાં વીજળી અનિવાર્ય છે, જ્યારે ખાદ્ય સુરક્ષા માટે સિંચાઈ, ખાતર ઉત્પાદન, કોલ્ડ સ્ટોરેજ અને લોજિસ્ટિક્સ પણ ઊર્જા પર નિર્ભર છે.
ડિજિટલ નેતૃત્વ પણ ડેટા સેન્ટર્સ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને ટેલિકોમ નેટવર્ક જેવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે અવિરત વીજળી પર આધારિત છે. ભારતમાં માથાદીઠ ઊર્જા વપરાશ વિકસિત અર્થતંત્રો અને વૈશ્વિક સરેરાશ કરતાં ઘણો ઓછો છે. આવક વૃદ્ધિ, શહેરીકરણ અને ઔદ્યોગિક વિસ્તરણ સાથે ભવિષ્યમાં ઊર્જાની માંગમાં ભારે વધારો થશે.
સાગર અદાણીના મતે, 2047 સુધીમાં ભારતને વિકસિત અર્થતંત્ર બનાવવા માટે વીજ ઉત્પાદનની સામાન્ય વૃદ્ધિ પર્યાપ્ત નથી. ઊર્જા ઉત્પાદન, ટ્રાન્સમિશન અને સ્ટોરેજમાં મોટી છલાંગ લગાવવી પડશે. આગામી બે દાયકામાં લગભગ 2,000 ગીગાવોટ વધારાની વીજળી ક્ષમતાની જરૂર પડશે, જે સસ્તી, સુલભ અને સ્વચ્છ હોવી જોઈએ.
એક વ્યવહારુ અને સંતુલિત નીતિની હિમાયત કરતા સાગર અદાણીએ ભારપૂર્વક કહ્યું કે, અક્ષય ઊર્જાનો વિસ્તરણ ઝડપથી ચાલુ રહેશે અને તે ભારતના ભવિષ્યના કેન્દ્રમાં રહેશે. જોકે, જમીનની મર્યાદાઓ અને અક્ષય સ્ત્રોતોની અનિશ્ચિતતાને કારણે એકલા તેનાથી બધી પડકારોનો ઉકેલ આવી શકશે નહીં.
આથી, ભારતને સૌર અને પવન ઊર્જા ઉપરાંત હાઈડ્રોઇલેક્ટ્રિસિટી, કાર્યક્ષમ થર્મલ ઉત્પાદન, ન્યુક્લિયર પાવર અને સ્ટોરેજ ટેકનોલોજી જેવા વિવિધ ઊર્જા વિકલ્પો અપનાવવા પડશે. પરિવહન, ઉદ્યોગ અને ઘરોનું મોટા પાયે વિદ્યુતીકરણ જ આયાતી અશ્મિભૂત ઇંધણ પરની નિર્ભરતા ઘટાડવાનો સૌથી વિશ્વસનીય માર્ગ છે. વીજ ઉત્પાદનમાં આત્મનિર્ભરતા દેશને આંતરરાષ્ટ્રીય તેલ-ગેસ બજારની અસ્થિરતાથી બચાવશે.
ભારતના નીતિગત વાતાવરણનો ઉલ્લેખ કરતા સાગર અદાણીએ કહ્યું કે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધારા, મંજૂરીની ઝડપી પ્રક્રિયા, બહેતર ટ્રાન્સમિશન નેટવર્ક અને અક્ષય ઊર્જા ઉત્પાદનને મળતા સમર્થને લાંબાગાળાના રોકાણ માટે મજબૂત ઇકોસિસ્ટમ બનાવ્યું છે. નીતિઓમાં સાતત્ય અને કાર્ય અમલીકરણલક્ષી શાસન દેશને મજબૂત બનાવવા જરૂરી છે.
ઊર્જા સંક્રમણમાં અદાણી ગ્રુપની ભૂમિકા વિશે તેમણે જણાવ્યું કે, ગ્રુપનો હેતુ અલગ સંપત્તિઓ વિકસાવવાને બદલે એક સંકલિત ઇન્ફ્રાસ્ટ્રક્ચર સિસ્ટમ બનાવવાનો છે. જેમાં અક્ષય ઊર્જા, ઊર્જા સંગ્રહ, ટ્રાન્સમિશન નેટવર્ક, ગ્રીન હાઈડ્રોજન, લોજિસ્ટિક્સ, બંદરો, એરપોર્ટ્સ અને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ સામેલ છે. ગ્રુપનું $100 બિલિયનથી વધુનું રોકાણ ભારતમાંની મોટી તકો અને ઝડપી કાર્યવાહીની જરૂરિયાત દર્શાવે છે.
પોતાની વાત પૂરી કરતા સાગર અદાણીએ કહ્યું કે, હવે મુદ્દો એ નથી કે ભારતને વધુ ઊર્જાની જરૂર છે કે કેમ, પરંતુ જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેટલી ઝડપથી તૈયાર કરી શકે છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે જો ભારત મોટા પાયે વિપુલ, સસ્તી અને સ્વચ્છ વીજળી પૂરી પાડવામાં સફળ રહે છે, તો તે માત્ર 140 કરોડ લોકોના ભવિષ્યને સુરક્ષિત નહીં કરે, પરંતુ વૈશ્વિક અર્થતંત્રમાં પણ મોટી સ્થિરતા લાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.












Click it and Unblock the Notifications
