નવી દિલ્હી, 9 ઑક્ટોબર : આજે પોતાના બ્લોગમાં અણ્ણા હઝારેએ પાર્ટી આધારિત સરકારોને જાકારો આપવાની વિચારધારાનું સમર્થન કર્યું હતું. તેમણે રાજકીય પક્ષોને આડે હાથે લેતા જણાવ્યું હતું કે પાર્ટીઓ ચૂંટણી પ્રચારમાં રાજ્ય સરકારની તિજોરીમાંથી પૈસા વાપરે છે, જે વાસ્તવમાં નાગરિકોના નાણા છે. પ્રચાર માટે ભેગું કરેલું ફંડ પોતાની તિજોરીમાં જમા કરે છે.
પોતાના નવા બ્લોગમાં હઝારેએ જણાવ્યું કે "આમ કરવાથી પાર્ટીઓ દ્વારા પૈસાના જોરે કરવામાં આવતા કાર્યો અટકશે, સાથે માત્ર ઇમાનદાર અને સ્વચ્છ છબી ધરાવતા ઉમેદવારો ચૂંટણી જીતશે. સમય આવી ગયો છે કે દેશના લોકો જાગે અને અને સરકાર આધારિત પક્ષને જાકારો આપે."
ભ્રષ્ટાચાર દૂર કરવા અને ચૂંટણીની પ્રક્રિયામાં સુધારો કરવા માટે લોકોએ રાષ્ટ્રીય સ્તરે સંગઠિત થવાની જરૂર છે. આ હેતુ સિધ્ધ કરવા માટે રાષ્ટ્રીય સ્તરે ચળવળ ચલાવવી જરૂરી છે. આમ થશે તો પાર્ટીઓના મની પાવર પર નિયંત્રણ લાવી શકાશે.