હાથરસ કેસઃ પીડિતના ગામમાં મીડિયાને મળી એન્ટ્રી, રાજકીય પક્ષો માટે રોક યથાવત
પ્રશાસને મીડિયાને પીડિત પરિવાર સાથે વાત કરવા માટે મંજૂરી આપી દીધી છે.
નવી દિલ્લીઃ હાથરસમાં ગેંગરેપ પીડિત કિશોરીના મોત બાદથી રાજનીતિ ચાલુ છે. આ દરમિયાન પ્રશાસને પીડિતના ગામને સંપૂર્ણપણે સીલ કરી દીધુ હતુ. સાથે જ ત્યાં બધાની અવરજવર પણ રોક લગાવી દીધી હતી. તમામ દબાણો છતાં હવે પ્રશાસને મીડિયાને પીડિત પરિવાર સાથે વાત કરવા માટે મંજૂરી આપી દીધી છે. જો કે રાજકીય પક્ષોના પ્રતિનિધિમંડળને ગામમાં પ્રવેશવાની મંજૂરી નથી.

આ કેસમાં એસડીએમ પ્રેમ પ્રકાશે કહ્યુ કે ગામમાં એસઆઈટીની તપાસ પૂરી થઈ ચૂકી છે. માટે મીડિયા પરથી પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો છે. હાલમાં ગામમાં હજુ પણ કલમ 144 લાગુ છે જેના કારણે 5થી વધુ મીડિયાકર્મીઓને એકઠા થવાની અનુમતિ નથી. તેમણે સ્પષ્ટ કર્યુ કે અત્યારે માત્ર મીડિયાને જ મંજૂરી મળશે. જ્યારે રાજકીય પ્રતિનિધિમંડળને અનુમતિ આપવાના આદેશ આવશે ત્યારે બધાને જણાવી દેવામાં આવશે.
વળી, પીડિત પરિવારે અમુક ન્યૂઝ ચેનલો સાથે વાત કરીને કહ્યુ હતુ કે તેમના ફોન ટેપ થઈ રહ્યા છે કારણકે જ્યારે તે મીડિયા સાથે વાત કરે ત્યારે ડીએમને ખબર પડી જાય છે. આ ઉપરાંત આરોપ હતો કે પરિવારના સભ્યોના ફોન છીનવી લેવામાં આવ્યા છે અને તેમના બળજબરીથી ઘરમાં કેદ કરી લેવામાં આવ્યા છે. જેના પર એસડીએમે કહ્યુ કે આ આરોપ એકદમ નિરાધાર છે. કોઈનો ફોન છીનવવામાં આવ્યો નથી.
તમને જણાવી દઈએ કે 14 સપ્ટેમ્બરે હાથરસના એક ગામમાં ચાર દબંગોએ દલિત યુવતી સાથે પહેલા ગેંગરેપ કર્યો બાદમાં તેની જીભ કાપી દીધી. ત્યારબાદ તેમણે તેને ક્રૂરતાપૂર્વક મારી. પીડિતના પરિવારજનો તેને દિલ્લીની સફદરગંજ હોસ્પિટલ લઈને ગયા જ્યાં મંગળવારે ઈલાજ દરમિયાન તેનુ મોત થઈ ગયુ. પીડિત કિશોરીના પરિવારજનોનો આરોપ છે કે તેમની મંજૂરી વિના પોલિસ પ્રશાસને રાતે તેમની દીકરીના અંતિમ સંસ્કાર કરી દીધા. આ સાથે જ તેનો ચહેરો પણ જોવા ન દીધો. કેસમાં ચારે આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. પોલિસ સતત ગેંગરેપની વાતથી ઈનકાર કરી રહી છે.












Click it and Unblock the Notifications
