પોલિસ કસ્ટડીમાં આરોપી હથિયાર છીનવીને ભાગે તો એનકાઉન્ટર પેટર્ન યોગ્ય છેઃ હિમંત બિસ્વા સરમા
આસામમાં હિમંત બિસ્વા સરમાની સરકાર આવ્યા બાદ રાજ્યમાં પોલિસ એનકાઉન્ટરની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે. જેના પર તેમણે સફાઈ આપી છે.
ગુવાહાટીઃ આસામમાં હિમંત બિસ્વા સરમાની સરકાર આવ્યા બાદ રાજ્યમાં પોલિસ એનકાઉન્ટરની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે. આ દરમિયાન રાજ્યના મુખ્યમંત્રીએ એનકાઉન્ટરને યોગ્ય ગણાવીને કહ્યુ કે જો ગુનેગાર ભાગવાનો પ્રયત્ન કરે, પોલિસ પાસેથી હથિયારો છીનવાનો પ્રયત્ન કરે તો તેમનુ એનકાઉન્ટર કરવાની પેટર્ન અપનાવવી જોઈએ. જે રીતે આસામમાં સતત એનકાઉન્ટરની સંખ્યા વધી છે તેના માટે રાજનીતિ તેજ થઈ ગઈ છે. પોલિસે છેલ્લા અમુક સમયમાં લગભગ એક ડઝન ગુનેગારોને એનકાઉન્ટરમાં ઠાર માર્યા છે.

હિમંત બિસ્વા સરમાએ કહ્યુ કે જો કોઈ બળાત્કારનો ગુનેગાર પોલિસનુ હથિયાર છીનવીને ભાગવાનો પ્રયત્ન કરે તો કાયદો એ વાતની મંજૂરી આપે છે કે આવા લોકોને પગમાં ગોળી મારી દેવી જોઈએ. સરમાએ આ નિવેદન આસામના પોલિસ સ્ટેશન પ્રભારીઓ સાથે બેઠક દરમિયાન કહ્યુ. સરમાએ કહ્યુ કે જ્યારે મને કોઈ પૂછે કે શું આસામમાં એનકાઉન્ટરની પેટર્ન બની રહી છે તો હું કહુ છુ કે, 'જો ગુનેગાર પોલિસ કસ્ટડીમાં હથિયાર છીનવીને ભાગવાનો પ્રયત્ન કરે તો આ પેટર્ન બનાવવી જ જોઈએ.'
વધુમાં મુખ્યમંત્રી હિમંત બિસ્વાએ કહ્યુ કે, 'જો ગુનેગાર આવુ ન કરે તો સામાન્ય પ્રક્રિયામાં તેની સામે આરોપનામુ દાખલ કરવામાં આવશે, કોર્ટના માધ્યમથી દંડ આપવામાં આવશે પરંતુ તે ભાગવાનો પ્રયત્ન કરશે તો તે સહન કરવામાં નહિ આવે.' આરોપ છે કે છેલ્લા લગભગ બે મહિનામાં લગભગ 12 રેપ, એનિમલ ટ્રાફિકિંગના આરોપીઓને પોલિસે એનકાઉન્ટરમાં ગોળી મારી દીધી છે.












Click it and Unblock the Notifications
