દિલ્લી હાઈકોર્ટે કેજરીવાલને CM પદ પરથી હટાવવાની અરજી ફગાવી, કહ્યુ - બધા કામ હાઈકોર્ટ ના કરી શકે...
Arvind Kejriwal News: દિલ્હી હાઈકોર્ટે કથિત એક્સાઈઝ પૉલિસી કૌભાંડ કેસમાં જેલમાં બંધ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને પદ પરથી હટાવવા માટે દાખલ કરવામાં આવેલી બીજી પીઆઈએલને પણ ફગાવી દીધી છે. તમને જણાવી દઈએ કે આ પહેલા પણ કોર્ટે કેજરીવાલને પદ પરથી હટાવવાની પીઆઈએલને ફગાવી દીધી હતી.
કાર્યકારી ચીફ જસ્ટિસ મનમોહનની અધ્યક્ષતાવાળી ખંડપીઠે કહ્યું કે હાઈકોર્ટ તમામ કામ ન કરી શકે અને આ હાઈકોર્ટનું કામ નથી. આ બંધારણીય પ્રક્રિયાનો મામલો છે.

આ મામલામાં અરજી હિંદુ સેના પ્રમુખ વિષ્ણુ ગુપ્તા વતી દાખલ કરવામાં આવી હતી. અરજીકર્તાના વકીલ બરુણ સિન્હાએ કહ્યું કે દિલ્હીમાં અત્યારે કોઈ સરકાર નથી. દિલ્હીના નાગરિક તરીકે હું મારી પસંદગીની સરકાર ઈચ્છું છું. હાલમાં દિલ્હીમાં સરકારની ગેરહાજરી છે, જે બંધારણીય કટોકટી છે.
દિલ્હી હાઈકોર્ટના કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ મનમોહન અને ન્યાયાધીશ મનમીત પ્રીતમ સિંહ અરોરાની બેન્ચે આ મામલે સુનાવણી કરતા કહ્યું કે કોર્ટ આમાં દખલ નહીં કરે. હાઈકોર્ટ તમામ કામ ન કરી શકે અને આ હાઈકોર્ટનું કામ નથી. તમારે આ માટે રાષ્ટ્રપતિ અથવા ઉપરાજ્યપાલ પાસે જવું જોઈએ.
કોર્ટે કહ્યું કે અમે કેવી રીતે કહી શકીએ કે સરકાર કામ નથી કરી રહી. LG આ બાબતે નિર્ણય લેવા સક્ષમ છે. તેમને અમારી સલાહની જરૂર નથી. તેઓ કાયદા મુજબ કામ કરશે. આ મામલે માત્ર ઉપરાજ્યપાલ અથવા રાષ્ટ્રપતિ જ સક્ષમ છે. કોર્ટે આ કેસમાં કોઈ આદેશ આપવાનો ઈન્કાર કર્યો હતો. જે પછી અરજદાર વતી કહેવામાં આવ્યું કે તેઓ તેને પાછી ખેંચવા માંગે છે અને ઉપરાજ્યપાલને તેમની અરજી સબમિટ કરશે.












Click it and Unblock the Notifications
