બાબરી ધ્વંસ સ્ટિંગ : કોંગ્રેસની કરતૂત કે ભાજપીઓની ભેજાબાજી?
લોકસભા ચૂંટણી 2014ની ચૂંટણી જંગનો પ્રથમ તબક્કો શરૂ થવાની વચ્ચે માત્ર બે દિવસ રહ્યા છે ત્યારે શુક્રવારે ઓનલાઇન ઇન્વેસ્ટિગેટિવ ન્યુઝ પોર્ટલ કોબરાપોસ્ટના બાબરી મસ્જિદ ધ્વંસ અંગેના સ્ટિંગ ઓપરેશને મોટો ઘસસ્ફોટ કર્યો છે. ઘટસ્ફોટ કરાયો છે કે બાબરી ધ્વંસ પૂર્વયોજિત હતો અને તેની જાણ અડવાણી અને તત્કાલીન પીએમ નરસિંહ રાવને પણ હતી. ચૂંટણી ટાણે બહાર આવેલું આ પ્રપંચ કોનું હોઇ શકે તે મોટો પ્રશ્ન છે.
આ ઘસસ્ફોટથી ભાજપમાં ભૂકંપ આવ્યો છે. 22 વર્ષ જૂની ઘટના એટલે કે 6 ડિસેમ્બર, 1991ની ઘટના તે સમયે ભલે ભાજપને રાજગાદી સુધી દોરી ગઇ હોય પરંતુ આજના વાતાવરણમાં તે ભાજપને માટે ભયસ્થાન છે. જેના પગલે ચૂંટણી જંગ શરૂ થાય એ પહેલા જ સામસામી આક્ષેપબાજી અને કાવતરા ખુલ્લા પાડવાનું મહાયુદ્ધ શરૂ થઇ ગયું છે.
ભાજપ ચૂંટણીપંચની નિશ્રામાં પહોંચીને પોતાના રક્ષણ માટેની આજીજી કરી રહ્યો છે. ત્યારે આ ષડયંત્ર ભાજપના વિરોધી પક્ષોનું છે કે પછી ભાજપીઓનું છે તે મોટો પ્રશ્નાર્થ છે. આ સ્ટિંગના લોકસભા ચૂંટણી સમયે બહાર આવવાના પરિણામો અને ભાવિ શક્યતાઓ શું હોઇ શકે તેનો વિચાર કરીએ તો...

ભાજપના દિગ્ગજોને સ્ટિંગથી મુશ્કેલી
આ મુદ્દા અંગે અજાણને સ્વાભાવિક રીતે પ્રશ્ન થાય કે આ સ્ટિંગમાં એવું તે શું છે કે ભાજપીઓ ભડકી ગયા છે? વાસ્તવમાં આ સ્ટિંગમાં દાટેલા મડદા ઉખાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ઘટસ્ફોટ કરાયો છે કે બાબરી ધ્વંસ પૂર્વયોજિત હતો અને તેની જાણ એલ કે અડવાણી, મુરલી મનોહર જોશી, ઉત્તર પ્રદેશના તત્કાલીન મુખ્યમંત્રી કલ્યાણ સિંહ અને તત્કાલીન પીએમ નરસિંહ રાવને પણ હતી. આ ઘટસ્ફોટને પગલે લોકસભા ચૂંટણી 2014 પૂર્વે ભાજપની મુશ્કેલીઓ વધી શકે છે.

કોબ્રાપોસ્ટ નહીં કોંગ્રેસ પોસ્ટ
ભાજપે સ્પષ્ટતા કરી છે કે આ સ્ટિંગ કોંગ્રેસીઓએ કરાવ્યું છે જેથી શાંતિપૂર્વક યોજાતી ચૂંટણીઓમાં ભંગ પડે. આથી તેમણે કોબ્રાપોસ્ટને કોંગ્રેસ પોસ્ટ નામ આપ્યું છે. તેમણે મતદારોને શાંત રહેવા અપીલ કરી છે.

ભાજપના મૂળિયા હચમચી ગયા
સ્ટિંગ જાહેર થવાથી ભાજપના મૂળિયા હચમચી ગયા છે. વધુ નુકસાન થતું રોકવા ગણતરીની જ મીનિટોમાં ભાજપના પ્રવક્તાઓએ ધડાધડ આ સ્ટિંગને ચૂંટણી ટાણે ભાજપ સામેનું કાવતરું હોવના, કોંગ્રેસની છૂપી ચાલ હોવાના નિવેદનો આપી દીધા છે. બીજી તરફ ભાજપના અગ્રણીઓએ ચૂંટણી પંચ સમક્ષ સ્ટિંગના પ્રસારણ પર પ્રતિબંધ મૂકવાની માંગણી કરી છે. ત્રીજી બાજુ ભાજપે કોંગ્રેસ અને યુપીએના કૌભાંડોનો ચોપડો ખોલીને 21 મોટા કૌભાંડો રજૂ કરી પાણી પહેલા પાળ બાંધવાનો પ્રયાસ કર્યો છે.

ભાજપ આટલી શા માટે ભડકી છે?
સ્વાભાવિક છે કે ચૂંટણી સમયે જ બાબરી મસ્જિદનો મુદ્દો છેડાય તો ભાજપના નેતાઓ ખાસ કરીને વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીની મહેનત પર પાણી ફરી શકે છે. માંડ માંડ જીતેલો મુસ્લિમ સમુદાયનો વિશ્વાસ ફરી વેરાઇ શકે છે.

કોંગ્રેસનું ટ્રમ્પ કાર્ડ
નરેન્દ્ર મોદી જે રીતે સતત આગળ વધી રહ્યા છે અને લોકચાહના મેળવી રહ્યા છે તે રીતે મોદી વાવાઝોડું કોંગ્રેસનો કચ્ચરઘાણ બોલાવી દેશે એવી બીક કોંગ્રેસીઓ અને ગાંધી પરિવારને છે જ. આ કારણે લોકોનું ધ્યાન આ મહત્વના મુદ્દા તરફ દોરીને બાજી પોતાના પક્ષમાં કરી લેવાનો પ્રયાસ હોઇ શકે.

ભાજપીઓનો જ દાવપેચ?
રાજકારણમાં સામ, દામ, દંડ અને ભેદની નીતિ અપનાવનાર જ આગળ વધી શકે છે અને ટકી શકે છે. ભાજપમાં છેલ્લા કેટલાક વર્ષોમાં જે રીતે જૂથવાદ વધ્યો છે. તેને જોતા ભાજપના વરિષ્ઠ નેતાઓ એલ કે અડવાણી, મુરલી મનોહર જોશીને ઘરભેગા કરવાનો દાવપેચ હોઇ શકે. ભાજપમાં નરેન્દ્ર મોદી જુથ અને અડવણી જૂથમાં ટપાટપી ચાલે છે તે આખરી સમયે સપાટી પર આવી ગઇ જેના કારણે મોદી જૂથે આ ચાલ ચાલી હોય તેવું બની શકે.

કોંગ્રેસે માર્યો બેવડો માર
આજે સ્ટિંગ ઓપરેશન અને સોનિયાની સ્પીચ થકી ભાજપને એક જ દિવસમાં બેવડા ફટકા સહન કરવા પડ્યા છે. સોનિયા ગાંધીએ ઝારખંડની રેલીમાં નરેન્દ્ર મોદીને 'સૌથી મોટા જૂઠબાજ' કહી તેમને પીએમ તરીકે નહીં ચૂંટવા જાહેર અપીલ કરી છે. બીજી તરફ આ સ્ટિંગ ઓપરેશન બહાર લાવી ભાજપની કટ્ટરવાદી પાર્ટીમાંથી બિનસાંપ્રદાયિક પાર્ટી તરીકે બનાવેલી છબી ખરડાય તેવો પ્રયાસ કર્યો છે.

અડવાણી માટે અવળા પાણી?
શું ખરેખર આ સ્ટિંગથી અડવાણી માટે અવળા પાણી એટલે કે વળતાપાણીની સ્થિતિ સર્જાશે. ના, કારણ કે ભાજપે ચૂંટણી સમયે કોઇ તંગદિલી ના સર્જાય તે માટે અપીલ કરવાની સાથે ચૂંટણી પંચનું ધ્યાન દોર્યું છે. એટલે હાલ પુરતો અડવાણીના માથે ખતરો ટળ્યો છે. પણ આ કારણે અડવાણીની મુશ્કેલીઓ ચોક્કસ વધી જશે. કારણ કે અડવાણી ધીરે ધીરે જનાધાર ગુમાવી રહ્યા છે. છેલ્લી બે લોકસભા ચૂંટણીઓમાં તેમની ઘટતી લીડ આ બાબતની ચાડી ખાય છે.

મોદીનું મૌન : શું સમજવું?
સામાન્ય રીતે વિરોધીઓની ટિપ્પણીઓનો બે કલાકમાં જ જવાબ આપી દેતા નરેન્દ્ર મોદી આ સ્ટિંગ ટેલિકાસ્ટ થયાના પાંચ કલાક થવા છતાં મૌન છે. આ બાબત સૂચવે છે કે આ સ્ટિંગથી મોદીમાં ભય વધ્યો છે. આ મુદ્દે ભૂલથી પણ આડું અવળું ના બોલી જવાય તેનું ધ્યાન રાખીને મોદી ચૂપ રહ્યા છે. આ બાબત દર્શાવે છે કે બાબરી ધ્વંસ મુદ્દે કોઇ પણ નિવેદન આપીને મુસ્લિમોની લાગણી નરેન્દ્ર મોદી દુભાવવા માંગતા નથી, જેથી મુસ્લિમોનું સમર્થન ગુમાવવું ના પડે. જો કે તેનાથી હિન્દુઓની લાગણી કેટલી દુભાશે તે કહી શકાય નહીં.

સ્ટિંગથી ફાયદો કોને?
ચૂંટણી 2014 શરૂ થવાના ગણતરીના કલાકો પહેલા રજૂ કરાયેલું સ્ટિંગ કોંગ્રેસ કે ભાજપ બંને માટે મોટો ફાયદો કે નુકસાન કરાવી જાય તેમ લાગતું નથી. કારણ કે જ્યાં સુધી સ્ટિંગના ઘટસ્ફોટ પર કાયદેસર કાર્યવાહી કરીને તેમાં જેમના નામ છે તેમની વિરુદ્ધ કોઇ કાર્યવાહી કરવામાં નહીં આવે ત્યાં સુધી કોઇ પ્રકારની મોટી પરિવર્તક અસર સ્ટિંગ લાવી શકે તેમ નથી.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11









Click it and Unblock the Notifications
