પશુપાલન મંત્રીના અધ્યક્ષસ્થાને ગુજરાત રાજ્ય પ્રાણી કલ્યાણ બોર્ડની પાંચમી સામાન્ય બેઠક યોજાઇ
ગાંધીનગર ખાતે પશુપાલન મંત્રી રાઘવજી પટેલના અધ્યક્ષસ્થાને ગુજરાત રાજ્ય પ્રાણી કલ્યાણ બોર્ડની પાંચમી સામાન્ય બેઠકનું આયોજન કરવામાં આવ્યુ હતું.
આ બેઠકમાં કેન્દ્ર સરકારના પ્રાણી કલ્યાણ તથા પ્રાણી ક્રૂરતા નિવારણના વિવિધ કાયદાઓનું રાજ્યકક્ષાએ ચુસ્તપણે પાલન અને અમલીકરણ થાય તે અર્થે મહત્વના પેટશોપ, ડોગ બ્રિડિંગ, સ્લોટર હાઉસ વગેરે નિયમો વિશે વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી.

આ મુદ્દે વાત કરતા રાઘવજી પટેલે જણાવ્યું કે, ગુજરાતના પ્રાણી કલ્યાણ બોર્ડની સક્રિયતા અને સજાગતાના પરિણામે ગુજરાતમાં અનેક પશુઓના જીવ બચાવવા ઉપરાંત પશુઓ ઉપર થતી ક્રૂરતામાં ઘટાડો કરી શકાયો છે.
તેમણે આગળ કહ્યું કે, પ્રાણી કલ્યાણ તથા પ્રાણી ક્રૂરતા નિવારણની બાબતોનું સત્વરે નિરાકરણ લાવી શકાય તે માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનથી રાજ્યના તમામ જિલ્લાઓમાં જિલ્લા કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં જિલ્લા પ્રાણી ક્રૂરતા નિવારણ સમિતીઓની રચના કરવામાં આવી છે. રાજ્યમાં પ્રાણી કલ્યાણ તથા પ્રાણી ક્રૂરતા નિવારણની પ્રવૃતિને વેગ આપવાની બાબતને અગ્રસ્થાને રાખી બેઠક દરમ્યાન બોર્ડના તમામ સભ્યોના સૂચનો સ્વિકારી જિલ્લા કક્ષાએ તેનું અમલીકરણ કરવા જણાવ્યુ.
પશુપાલન મંત્રીએ મુંગા પશુઓની ભાવનાઓને વાચા આપવા માટે રાજ્યમાં સમયાંતરે પશુઓ સંબધિત દિવસો તથા પ્રાણી કલ્યાણ પખવાડીયાની ઉજવણી બાબતે વિચાર વ્યક્ત કર્યો હતો. રાજ્યની પાંજરાપોળ અને ઢોરડબ્બાની પરિસ્થિતીને વધુ સુદ્રઢ બનાવવા અંગે તથા પશુઓની સુખાકારી વધારવાની કામગીરી અંગે સૂચન કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે, પ્રાણી કલ્યાણ તથા પ્રાણી ક્રૂરતા નિવારણના કાયદાઓનો રાજ્યકક્ષાએ અમલ કરાવવા માટે ગુજરાત રાજ્ય પ્રાણી કલ્યાણ બોર્ડ કાર્યરત છે. જે રાજ્ય સરકાર તથા સ્થાનિક સત્તા મંડળોને પ્રાણીઓની બિનજરૂરી પીડા અને વેદના ઘટાડવા માટે માર્ગદર્શન આપવાની કામગીરી કરે છે.












Click it and Unblock the Notifications
