Navratri 2023: રુપાલ ગામમાં આજે નીકળશે વરદાયીની માતાની પલ્લી, લાખો લિટર શુદ્ધ ઘીથી કરાશે અભિષેક
Navratri 2023: ગાંધીનગરના રુપાલમાં ગામમાં આજે નવમાં નોરતે વરદાયીની માતાની પલ્લી કાઢવામાં આવશે. જેના પર શુદ્ધ ઘીનો અભિષેક કરવામાં આવે છે.
પાંડવોના સમયથી રુપાલ ગામમાં આ પરંપરા ચાલતી આવે છે. માનતા પૂરી થયા બાદ વરદાયીની માતાના સુપ્રસિદ્ધ મંદિરમાં લોકો શુદ્ધ ઘી ચડાવે છે. નવરાત્રિમાં દર વર્ષે અહીં પલ્લી દરમિયાન ચારથી પાંચ લાખ કિલો ઘીનો અભિષેક કરવામાં આવે છે.

આજે મહાનવમીના રોજ રાતે 12 વાગે વરદાયીની માતાની પૂજા માટે નીકળતી આ પલ્લીમાં ચોખ્ખા ઘીને અભિષેક કરવામાં આવશે. અહીં 18 સમાજો સાથે મળીને પલ્લીમાં યોગદાન આપે છે. ગામની દરેક ગલીઓ અને રસ્તામાં ઘીના મોટા કુંડ બનાવાય છે અને પલ્લી દરમિયાન ટ્રોલીમાં ઘી ભરીને માતાજીની પલ્લી પર અભિષેક કરવામાં આવે છે. ગામમાં ઘીની નદીઓ વહેવા લાગે છે.
ગાંધીનગરથી 15 કિમી દૂર આવેલ રુપાલના ગામના વરદાયીની માતાના મંદિરમાં આશરે પાંચ હજાર વર્ષ પહેલા પાંડવોએ આ મહોત્સવની શરુઆત કરી હતી. આ ગામમાં જન્મતા બાળકોને જ્યાં સુધી પલ્લીની જ્યોત પર ફેરવવામાં ન આવે ત્યાં સુધી તેમની બાબરી ઉતારી શકાતી નથી. નવા જન્મ લેતા બાળકને પલ્લી દરમિયાન માતાજીના રથ પરની જ્યોત પર ફેરવવામાં આવે છે.
સરકારી તંત્ર દ્વારા ડુપ્લીકેટ ઘીનો વેપાર ન થાય તે માટે ફૂડ વિભાગ દ્વારા ખાસ તૈયારી કરવામાં આવી છે. અહીં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની વ્યવસ્થા કરવામાં આવી છે. પાંચ મેડિકલ ટીમ રુપાલમાં ભક્તોની સારવાર માટે હાજર રહેશે. વળી, પાંચ 108 એમ્બ્યુલન્સ પર સ્ટેન્ડ બાય રહેશે. ફૂડ વિભાગ દ્વારા મેળાના ખાદ્ય પદાર્થોનુ સ્થળ પર જ ચેકિંગ કરાશે. જો કોઈ નમૂનો ફેલ જણાશે તો વેપારીને સ્થળ પર જ દંડની કાર્યવાહી હાથ ધરાશે.
નોંધનીય છે કે પલ્લીના દર્શન માટે રુપાલ ગામમાં દર વર્ષે લાખો ભક્તો આવતા હોય છે. સરકારી તંત્રએ મંદિર પ્રશાસન અને ગામના આગેવાનો સાથે મળી કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે તમામ પ્રકારની વ્યવસ્થા કરી છે. ગામમાં તમામ કોમના લોકો કોઈ પણ ભેદભાવ વિના ઉત્સાહ અને ઉમંગથી આ ઉત્સવમાં ભાગ છે. ધાર્મિક મહત્વ સાથે અહીં કોમી એકતાના પણ દ્રશ્યો જોવા મળે છે.












Click it and Unblock the Notifications
