ગુજરાતમાં 21 જિલ્લા અને 7 આદિવાસી તાલુકાઓમાં લાઈબ્રેરી બનાવાશે
National Read a Book Day : પુસ્તક વાંચનના મહત્વને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે વાંચે ગુજરાત અભિયાનની શરૂઆત કરી હતી. આ જ દિશામાં આગળ વધતા ગુજરાત સરકારે 21 જિલ્લાઓના 50 તાલુકાઓમાં સરકારી પુસ્તકાલયો શરૂ કરવાનો નિર્ણય કર્યો છે.
દર વર્ષે 6 સપ્ટેમ્બરે નેશનલ રીડ અ બુક ડે એટલે કે રાષ્ટ્રીય પુસ્તક વાંચન દિવસ તરીકે મનાવવામાં આવે છે. આ દિવસનો ઉદ્દેશ વાંચનના આનંદની ઉજવણી કરવાનો છે અને વાંચનની પ્રવૃત્તિમાં લોકો રસ લેતા થાય તે માટે તેમને પ્રોત્સાહિત કરવાનો છે.

રાજ્યના આદિજાતિ વિસ્તારોમાં રહેતા આદિવાસી સમુદાયોના લોકોમાં વાંચન પ્રત્યે રસ જાગૃત થાય અને તેઓ વાંચન માટે પ્રેરાય તેવા ઉદ્દેશ્યથી રાજ્યના તમામ આદિવાસી તાલુકાઓમાં પણ પુસ્તકાલયો કાર્યરત કરવાનું આયોજન છે.
આ અંતર્ગત રાજ્યના 7 આદિજાતિ જિલ્લાઓના 14 તાલુકાઓમાં પુસ્તકાલયો શરૂ કરવા માટે મંજૂરી આપવામાં આવી છે. આનાથી ગુજરાતના પ્રત્યેક આદિજાતિ તાલુકાના તમામ આદિવાસી સમુદાયોને વાંચન સેવાનો લાભ પ્રાપ્ત થશે.
રાજ્ય સરકારે સમાજના વાંચન રસિક નાગરિકોને જાહેર ગ્રંથાલયની સુવિધાઓ સરળતાથી પ્રાપ્ત થાય તે માટે ચાલુ વર્ષે રાજયમાં વધુને વધુ અનુદાનિત ગ્રંથાલયો શરૂ કરવાનું આયોજન કરાયેલ છે. સરકારી તાલુકા ગ્રંથાલય શરૂ કરવાનો નિર્ણય કર્યો છે.
પુસ્તકો, સામયિકો, આલેખો અને સચિત્ર શિક્ષણના સાધનો દ્વારા લોકોમાં વાંચન પ્રત્યે રસ જાગે અને જ્ઞાનનો પ્રચાર થાય તેવા ઉદ્દેશથી સમગ્ર રાજ્યમાં જાહેર ગ્રંથાલયની સ્થાપના અને વિકાસ થાય તે માટે જાહેર ગ્રંથાલય માટેની માન્યતા તથા સહાયક ગ્રાન્ટ અંગેની નીતિ નક્કી કરવામાં આવી છે.
રાજ્ય સરકાર તરફથી ચૂકવવામાં આવતી ગ્રાન્ટમાં વર્ષ 2023-24થી અનુદાનિત ગ્રંથાલયોને લોકફાળામાંથી મુક્તિ આપી 100 ટકાના ધોરણે અનુદાનમાં વધારો કરવાની મંજૂરી આપવામાં આવી છે. ગ્રંથાલયોને પહેલા 25% લોકફાળો ભરવો પડતો હતો તેમાંથી મુક્તિ આપીને રાજ્ય સરકાર દ્વારા 100 ટકા ગ્રાન્ટ ઉપલબ્ધ કરવામાં આવશે.
આ ઉપરાંત ગ્રંથાલયોના પ્રકાર, જેમકે વિશિષ્ટ ગ્રંથાલય, શહેર ગ્રંથાલય, મહિલા અને બાળ ગ્રંથાલયો, ગ્રામ ગ્રંથાલયો વગેરેના આધારે અનુદાનના દરોમાં વધારો કરવા માટે પણ રાજ્ય સરકારે મંજૂરી આપી છે. રાજયમાં વધુને વધુ અનુદાનિત ગ્રંથાલયો શરૂ કરવાનું આયોજન કરાયેલ છે.
રાજ્યના અનુદાનિત ગ્રંથાલયોની સેવાઓને પ્રોત્સાહન મળે તે ઉદ્દેશથી ચાલતી સ્વ. શ્રી મોતીભાઈ અમીન ગ્રંથાલય સેવા એવોર્ડ અને ઉત્તમ ગ્રંથાલય સેવા પ્રમાણપત્ર માટેની યોજનામાં વિજેતા ગ્રંથાલયો અને વિજેતા ગ્રંથાલયોના ગ્રંથપાલોને અપાતા પુરસ્કારની રકમમાં પણ 50%થી વધુનો વધારો ગુજરાત સરકારદ્વારા કરવામાં આવ્યો છે.
આ યોજનામાં પ્રજ્ઞાચક્ષુ ગ્રંથાલયો અને વિશિષ્ટ ગ્રંથાલયોની કેટેગરીનો પણ ઉમેરો કરવામાં આવ્યો છે, જેનાથી રાજ્યના અનુદાનિત ગ્રંથાલયો વચ્ચે ગ્રંથાલય સેવાઓ આપવામાં સ્પર્ધાત્મક વાતાવરણ જળવાઈ રહેશે.












Click it and Unblock the Notifications
