જીવન આસ્થા હેલ્પલાઇનને છેલ્લા 10 વર્ષમાં દોઢ લાખથી વધુ જીવ બચાવ્યા
Gandhinagar: આત્મહત્યા નિવારણ અને માનસિક આરોગ્ય જાગૃતિ માટે કાર્યરત ગુજરાત પોલીસની હેલ્પલાઇન 'જીવન આસ્થા'એ સફળતાના 10 વર્ષ પૂરાં કર્યા છે. વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ નિમિત્તે ગાંધીનગર ટાઉનહોલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ હેલ્પલાઇનના યોગદાનને બિરદાવી અને તેના માટે વધારાના 5 કરોડ રૂપિયાની ફાળવણીની જાહેરાત કરી.

Harsh Sanghavi: મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, સ્પર્ધાત્મક યુગમાં લાખો નિરાશાઓ વચ્ચે 'જીવન આસ્થા' લાખો નાગરિકોના દિલમાં આશાનું કિરણ જગાવી રહી છે. માત્ર કોલ એટેન્ડ કરવાનો નહીં, પરંતુ અનેક પરિવારોના મોભી, ચિરાગ અને લક્ષ્મીને બચાવીને ખુશીઓને જીવંત રાખવાનો આ સેવા પ્રોજેક્ટ સત્ય અર્થમાં પૂણ્ય સમાન છે.
છેલ્લા 10 વર્ષમાં દોઢ લાખ લોકોએ લાભ લીધો
2015માં ગાંધીનગર જિલ્લામાં શરૂ થયેલી આ હેલ્પલાઇન આજે રાજ્યવ્યાપી બની છે અને હવે અન્ય રાજ્યોમાંથી પણ કોલ્સ આવે છે. છેલ્લા દસ વર્ષમાં દોઢ લાખથી વધુ કોલ્સ પ્રાપ્ત થયા છે. આ કોલ્સ માત્ર આંકડા નથી, પરંતુ દોઢ લાખથી વધુ પરિવારોને ફરી જીવવાની પ્રેરણા આપવાનો સાક્ષી છે.
હેલ્પલાઇન નંબરને 112 સાથે જોડવાની વિચારણા
મંત્રી હર્ષ સંઘવીએ સ્પષ્ટ કર્યું કે, જો સરકારના આવા પ્રયત્નોથી માત્ર એક પણ જીવ બચી શકે, તો આ પ્રોજેક્ટ પાછળનો ખર્ચ સાર્થક ગણાય. આ સાથે તેમણે જીવન આસ્થા હેલ્પલાઇન નંબર 1800-233-3330 ને ઇમરજન્સી નંબર 112 સાથે જોડવાની દિશામાં વિચારણા ચાલી રહી હોવાનું જણાવ્યું.
ગોપનીયતા અને નિ:શુલ્ક સેવા
હેલ્પલાઇન પર કોલ કરનારની ઓળખ તથા સમસ્યા સંપૂર્ણ ગુપ્ત રાખવામાં આવે છે. મનોવૈજ્ઞાનિક ક્ષેત્રે તાલીમ પ્રાપ્ત યુવાનોને જોડીને નિ:શુલ્ક કાઉન્સેલિંગ આપવામાં આવે છે. મંત્રીએ સૌને માનસિક આરોગ્ય અને આત્મહત્યા નિવારણ માટે સહિયારા પ્રયાસો કરવા આહ્વાન પણ કર્યું.
દર વર્ષે 10 સપ્ટેમ્બરના દિવસે વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ તરીકે મનાવામાં આવે છે
ઉલ્લેખનિય છે કે દર વર્ષે 10 સપ્ટેમ્બરના દિવસે વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ તરીકે મનાવામાં આવે છે. લોકો ક્યારેક હતાશા અને નિરાશામાં એવો નિર્ણય લઇ લે છે કે તેમની પાછળ તેમનો પરિવાર એકલો પડી જાય છે. પણ જો આવી હતાશાની પળમાં કોઇની સમયસર સલાહ મળી જાય કે મદદ મળી જાય તો તે વ્યક્તિનું જીવન બચી જાય છે.












Click it and Unblock the Notifications
