કે એમ પટેલ આરોગ્યધામ ખાતે નેચર ક્યોર થેરાપી સેન્ટરનું રાજયપાલના હસ્તે લોકાર્પણ
Nature Cure Therapy Center: પ્રાકૃતિક ચિકિત્સા એ મનુષ્યનો પ્રકૃતિ સાથેનો પુન: સંપર્ક સાધવાની પદ્ધતિ છે. પાંચ તત્વોનું બનેલું મનુષ્ય શરીર પાંચ તત્વોના અસંતુલનથી બગડે છે. નેચર ક્યોર આ પાંચ તત્વથી શરીરને સંતુલિત કરવાની વિધી છે. ત્યારે સરહદી કચ્છ પ્રદેશના બિદડામાં દાનવીરોના દાનથી ચાલતી હોસ્પિટલમાં પ્રાકૃતિક ચિકિત્સા પ્રદાન કરવા જે કાર્ય આરંભાયું છે, તે અભિનંદનને પાત્ર છે, એમ કચ્છની મુલાકાતે પધારેલા રાજયપાલ આચાર્ય દેવવ્રતે બિદડા ગામ ખાતે બિદડા સર્વોદય ટ્રસ્ટ સંચાલિત કે. એમ. પટેલ આરોગ્યધામ ખાતે નેચર ક્યોર થેરાપી સેન્ટરનું લોકાર્પણ કરતાં જણાવ્યું હતું.
રાજયપાલ આચાર્ય દેવવ્રતે આ પ્રસંગે હોસ્પિટલના પાયાના પથ્થર સ્વ. બચુભાઇ રાંભિયાને યાદ કરતાં જણાવ્યું હતું કે, સરહદી વિસ્તારના લોકોના કલ્યાણ માટે સ્થાપેલી હોસ્પિટલ આજે વટવૃક્ષ બનીને દીન-દુખિયાઓ માટે કાર્ય કરી રહી છે. દરેક પ્રકારની આરોગ્ય સેવા આપતી આ હોસ્પિટલમાં કાર્યરત નેચર ક્યોર થેરાપી સેન્ટર લોકોને પ્રકૃતિની વધુ નજીક લઇ જઇને આરોગ્યપ્રદાન કરશે.

તેમણે સ્વસ્થ શરીર માટે આયુર્વેદનો મહિમા જણાવીને લોકોને જીવનનો આનંદ માણવા માટે પ્રથમ સ્વસ્થતા પર ધ્યાન આપવા ભાર મુક્યો હતો. આજના ફાસ્ટયુગમાં ફાસ્ટફુડ, બેઠાડુ જીવન, આળસ ત્યજીને વ્યસ્તતા વચ્ચે પણ યોગ, પ્રાણાયામ સાથે યોગ્ય જીવન શૈલી અપનાવવા અનુરોધ કર્યો હતો.
બિદડા સર્વોદય ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલની માનવસેવાની 50મી વર્ષગાંઠ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં હોસ્પિટલના દેશ-વિદેશના દાતાઓને અભિનંદન આપતાં રાજયપાલે જણાવ્યું હતું કે, નાણાનો સદઉપયોગ મનુષ્યનો આ જન્મ તો સુધારે છે, પરંતુ આવનારા જન્મનું પણ ભાથુ બાંધી આપે છે. વતન મુકીને દેશ-વિદેશ સ્થાયી થયેલા કચ્છીઓની વતનસેવાની લાગણીને બિરદાવતાં રાજયપાલે કચ્છીઓના આ દિવ્યગુણને સોનાની લંકા ત્યજનારા રાજારામના અયોધ્યા પ્રત્યેના પ્રેમ સાથે સરખાવ્યો હતો.
આ પ્રસંગે રાજયપાલે પ્રાકૃતિક ખેતીનો મહિમા સમજાવીને ઉપસ્થિતોને રાસાયણિક ખેતી ન કરવા તથા પ્રાકૃતિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા અનુરોધ કરતાં ઉમેર્યું હતું કે, આહાર એ જ ઔષધિ છે, તેને જો યોગ્ય રીતે અપનાવાય તો રોગનું શમન કરી શકે છે.
રાજયપાલે સ્વામી દયાનંદ સરસ્વતીને યાદ કરી તેમણે સમાજકલ્યાણ માટે આપેલા બોધને સમજાવી દાતાઓ દ્વારા લોકકલ્યાણ માટે કરાતી દાનની સરવાણીને ધાર્મિકતાનું દ્યોતક ગણાવી હતી.
આ પ્રસંગે રાજયપાલે નેચર ક્યોર થેરાપી સેન્ટરનું ઉદ્ધાટન કરીને હોસ્પિટલના રિહેબેલીટેશન સેન્ટર, યોગ સેન્ટર સહિતની મુલાકાત લઇને હોસ્પિટલની સેવા કામગીરી અંગે માહિતી મેળવી હતી. તેમણે છેવાડાના મરૂપ્રદેશમાં ટ્રસ્ટીઓ તથા દાનવીરો દ્વારા આરોગ્યસેવા માટે જલાવેલી જયોતને બિરદાવીને અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે અમેરિકાના દાતાઓ દ્વારા કરાયેલી દાનની સરવાણીનો ચેક હોસ્પિટલને અર્પણ કર્યો હતો.
આ કાર્યક્રમ પ્રસંગે ધારાસભ્ય અનિરુદ્ધ દવે, વિરાયતન વિદ્યાપીઠના શીલાપીજી, જિનચંદ્રજી મુનિ, ટ્રસ્ટના ચેરમેન વિજય છેડા, હેમંત રાંભીયા, હાર્દિક મમાણીયા, વિમલ શાહ, સંજય એન્કરવાલા, હરેશ ઠક્કર , કલેક્ટર અમિત અરોરા, જિલ્લા વિકાસ અધિકારી એસ. કે. પ્રજાપતિ, પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડીયા, પ્રાંત અધિકારી ચેતન મિસણ સહિતના અધિકારીઓ, પદાધિકારીઓ, આગેવાનો તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.












Click it and Unblock the Notifications
