માર્કેટ સુધી ખેત-પેદાશ પહોંચાડવી બની સરળ, રાજ્ય સરકારે ખેડૂતોની મુશ્કેલી ઘટાડી
માર્કેટ સુધી ખેત-પેદાશ પહોંચાડવી બની સરળ, રાજ્ય સરકારે ખેડૂતોની મુશ્કેલી ઘટાડી
રાજ્ય સરકાર ખેડૂતોની આવક બમણી કરવાની દિશામાં સતત કાર્યરત છે. આ ઉદ્દેશ્ય માટે ગુજરાત અને ભારત સરકારે અનેક પગલાં પણ ભર્યાં છે. ગુજરાતમાં ખાસ કરીને ભૂપેન્દ્ર પટેલ સરકારે ખેડૂતોના ઉદ્ધાર માટે કલ્યાણકારી યોજના લાગૂ કરી છે, જેના માધ્યમથી ખેડૂતોને પોતાની ખેતપેદાશ માર્કેટ સુધી પહોંચાડવામાં આવતી અડચણો દૂર થઈ છે. આ યોજના દ્વારા રાજ્યના ખેડૂતોને પોતાના કૃષિ પાકોના પરિવહન માટેની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે, તદઉપરાંત સાધન ખરીદવામાં આર્થિક સહાય રૂપે સબસિડી પણ આપવામાં આવે છે.

રાજ્યમાં તાજેતરમાં 10 સપ્ટેમ્બરના 2022 ના રોજ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા સાત પગલાં ખેડૂત કલ્યાણ યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજનામાં કિસાન પરિવહન યોજનાનો સમાવેશ થાય છે. ખેડૂતો દ્વારા ઉત્પાદિત કરવામાં આવેલા પોતાના કૃષિ પાકોને નજીકના બજાર, ગોડાઉન કે સંગ્રહ સ્થળ અથવા વેચાણ સ્થળ સુધી પહોંચાડવા માટે સાધન સહાય આપવામાં આવે છે. જેમાં ખેડૂતોને માલવાહક સાધનની ખરીદી પર સબસિડી અને લોન આપવા સહિતની સુવિધા આ યોજના દ્વારા આપવામાં આવે છે.
આ યોજના દ્વારા રાજ્યમાં ખેડૂતો તરીકે નોંધાયેલા નાના અને મોટા તમામ ખેડૂતો આ યોજનાનો લાભ લઇ શકે છે. જેમાં નાના ખેડૂતો, સિમાંત ખેડૂતો, મહિલા ખેડૂતો, એસ. સી., એસ. ટી. ખેડૂતો જેઓને કૂલ ખર્ચના 35 ટકા અથવા 75 હજારની મર્યાદામાં આ લાભ મળવાપાત્ર રહેશે. જ્યારે, સામાન્ય અને અન્ય ખેડૂતોને 25 ટકાની મર્યાદામાં 50 હજાર સુધીની સબસિડી મળવા પાત્ર છે.
રાજ્યમાં કિસાન પરિવહન યોજના તાજેતરમાં 2022ના વર્ષમાં શરૂ કરવામાં આવી છે. જેમાં, માલવાહક સાધનો અને ટ્રેક્ટર સહિતના સાધનોની ખરીદીમાં સબસિડી આપવામાં આવે છે. આ યોજનાનો લાભ લેવા માટે જરૂરી સાધનિક દસ્તાવેજી પુરાવા સાથે ઓનલાઇન આઇ ખેડૂત પોર્ટલ પર અરજી કરવાથી લાભ લઇ શકાય છે. જેમાં, લાભાર્થી અરજદાર ખેતીની જમીન ધરાવતાં હોવા જોઇએ. જો લાભાર્થી અરજદાર વન અધિકાર પ્રમાણપત્ર ધરાવતાં હોય તો પણ આ યોજનાનો લાભ લઇ શકે છે.
આ અંગે બનાસકાંઠાના ભીમજી ચૌધરીએ જણાવ્યું હતુ કે, અમોને ટ્રેક્ટર ખરીદવામાં 70 હજારનો લાભ આ યોજના થકી મળ્યો અને વાજબી દરે ધિરાણ ઉપલબ્ધ થતાં ટ્રેક્ટર અને ટ્રોલી લાવતાં હવે ખેત ઉત્પાદન ફેરવવામાં સરળતાં ઉભી થઇ છે.
તો, થરાદના નાગજી પટેલે જણાવ્યું હતુ કે, સરકારની આ યોજના ઘણી સરળ છે. ઓનલાઇન અરજી કરી અને અમને માલવાહક વાહન ખરીદવામાં સબસિડી મળી છે.
રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના કિસાન હિતના અભિગમની પ્રતિતિ કરાવતી આ યોજનાના કારણે ઘણા ખેડૂતોને પોતાના માલિકીનાન વાહન ઉપલબ્ધ બનશે. આ યોજના થકી ભવિષ્યમાં ખેડૂતોને પોતાની કૃષિ પેદાશો સમયસર માર્કેટ કે સંગ્રહ સ્થળ સુધી પહોચાડવાના કારણે તેને નુકસાનની સંભાવના પણ નકારી શકાશે.












Click it and Unblock the Notifications
