Mangrove Forest: પર્યાવરણ ક્ષેત્રે ગુજરાતે હાંસલ કરી આગવી સિદ્ધિ, મેન્ગ્રોવ જંગલ મામલે અગ્રેસર
Mangrove Forest in Gujarat: ગુજરાતે છેલ્લા 3 દાયકાઓમાં મેન્ગ્રોવ (ચેર) વૃક્ષોના ક્ષેત્રમાં નોંધપાત્ર વધારો કર્યો છે, જે પર્યાવરણીય સંરક્ષણનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. ગુજરાત મેન્ગ્રોવ વૃક્ષોના સંરક્ષણમાં દેશના અગ્રણી રાજ્યોમાંનું એક બન્યું છે.
રાષ્ટ્રીય સ્તરે ગુજરાત રાજ્ય મેન્ગ્રોવ વિસ્તારની દ્રષ્ટિએ પશ્ચિમ બંગાળ બાદ બીજા ક્રમે આવે છે. ગુજરાતનું મેન્ગ્રોવ કવર એટલે કે મેન્ગ્રોવ વૃક્ષોનું ક્ષેત્ર, 1991માં 397 ચોરસ કિલોમીટરથી વધીને 2021માં 1,175 ચોરસ કિલોમીટર સુધી વિસ્તર્યું છે, જે રાજ્યની મહત્વપૂર્ણ દરિયાઇ ઇકોસિસ્ટમને બચાવવા અને તેને પુનઃસ્થાપિત કરવા માટે ગુજરાતના નક્કર પ્રયાસો દર્શાવે છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત સરકારના મેન્ગ્રોવના વાવેતર અને સંરક્ષણ માટેના સતત પ્રયાસો ફળ્યા છે, જે પર્યાવરણીય સંરક્ષણ માટે રાજ્યને એક મોડલ તરીકે પ્રદર્શિત કરે છે.
મેન્ગ્રોવ કવરમાં વધારો કરવાથી ફક્ત જૈવવિવિધતાને જ પ્રોત્સાહન નથી મળતું, પરંતુ ધોવાણ અને ભારે હવામાનની ઘટનાઓ સામે દરિયાકાંઠાની સ્થિતિસ્થાપકતા પણ મજબૂત બને છે, જે રાજ્યના દરિયાકાંઠાના સમુદાયો અને ઇકોસિસ્ટમ માટે ટકાઉ ભવિષ્ય સુનિશ્ચિત કરે છે.
ગુજરાતમાં મેન્ગ્રોવ કવરના વિસ્તરણ અંગે વાત કરતા વન અને પર્યાવરણ મંત્રી શ્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું કે, ગુજરાત સરકારે રાજ્યમાં મેન્ગ્રોવ વૃક્ષોનું વાવેતર વધારવા માટેના સંનિષ્ઠ પ્રયાસો કર્યા છે, અને તેના પરિણામસ્વરૂપે આજે ગુજરાતમાં મેન્ગ્રોવનું આવરણ 1175 ચોરસ કિલોમીટર સુધી વિસ્તર્યું છે.
રાષ્ટ્રીય સ્તરે પણ ગુજરાત મેન્ગ્રોવ કવરની દ્રષ્ટિએ બીજું સ્થાન ધરાવે છે, જે એક નોંધપાત્ર સિદ્ધિ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ હંમેશાં પર્યાવરણના સંરક્ષણ થકી સસ્ટેનેબલ ડેવલપમેન્ટ પર ભાર મૂક્યો છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ પર્યાવરણીય સંરક્ષણ અને તેના દ્વારા વિકસિત ગુજરાત થી વિકસિત ભારતની નેમને સાકાર કરવા માટે ગુજરાત પ્રતિબદ્ધ છે.

સમગ્ર ગુજરાતમાં મેન્ગ્રોવ વૃક્ષોનું વ્યૂહાત્મક વિતરણ - ગુજરાતનું મેન્ગ્રોવ કવર વ્યૂહાત્મક રીતે રાજ્યના ચાર મુખ્ય વિસ્તારોમાં વહેંચાયેલું છે. રાજ્યનો કચ્છ જિલ્લો 799 ચોરસ કિલોમીટર મેન્ગ્રોવ કવર સાથે અગ્રેસર છે, જે રાજ્યના મેન્ગ્રોવ કવરનો મોટાભાગનો હિસ્સો ધરાવે છે. જ્યારે મરીન નેશનલ પાર્ક અને અભયારણ્ય સહિત કચ્છનો અખાત, જામનગર, રાજકોટ (મોરબી), પોરબંદર અને દેવભૂમિ દ્વારકા જેવા વિસ્તારોને આવરી લઇને 236 ચોરસ કિલોમીટરનો મેન્ગ્રોવ કવર ધરાવે છે.
ખંભાતના અખાત અને ડુમસ-ઉભરાટ વિસ્તારો સહિત રાજ્યનો મધ્ય અને દક્ષિણ ગુજરાત વિસ્તાર કે જેમાં ભાવનગર, અમદાવાદ, આણંદ, ભરૂચ, સુરત, નવસારી અને વલસાડ જિલ્લાઓનો સમાવેશ થાય છે, તે વિસ્તાર 134 ચોરસ કિલોમીટર મેન્ગ્રોવ કવર ધરાવે છે. ઉપરાંત, અમરેલી, જૂનાગઢ અને ગીર-સોમનાથ જેવા જિલ્લાઓને આવરી લેતો રાજ્યનો સૌરાષ્ટ્ર વિસ્તાર પણ સામાન્ય 6 ચોરસ કિલોમીટરનું મેન્ગ્રોવ કવર ધરાવે છે.
મેન્ગ્રોવ વૃક્ષોની મહત્વપૂર્ણ ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશથી ગુજરાત સરકારે વર્ષ 2014-15 થી 2022-23 દરમિયાન મેન્ગ્રોવ વૃક્ષોના વાવેતરનું વ્યાપક અભિયાન હાથ ધર્યું હતું. ગુજરાતના વાર્ષિક વાવેતરના પ્રયાસો વર્ષ 2016-17માં 9,080 હેક્ટર સુધી વિસ્તર્યા હતા. 4,920 હેક્ટર વિસ્તારમાં નવા વાવેતરો સાથે, કચ્છના અખાતમાં સૌથી વધુ વાવેતર થયું હતું. વિવિધ વિસ્તારોની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને સતત ધોરણે વૃક્ષારોપણની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. વર્ષ 2023-24માં રાજ્યમાં 6930 હેક્ટર વિસ્તારમાં મેન્ગ્રોવનું વાવેતર કરવામાં આવ્યું હતું અને વર્ષ 2024-25 દરમિયાન કુલ 12,000 હેક્ટરથી વધુ વિસ્તારમાં મેન્ગ્રોવનું વાવેતર કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.
મેન્ગ્રોવ ઇકોસિસ્ટમનું મહત્વ - મેન્ગ્રોવ્સ એ દરિયાકાંઠાના જંગલો છે, જેમાં ખારા પાણીમાં ઉગે તેવા વૃક્ષોનો સમાવેશ થાય છે, જે પોષકતત્વો અને કાંપને ફિલ્ટર કરીને પાણીની ગુણવત્તા સુધારવામાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે. આ ઇકોસિસ્ટમ્સ દરિયાઇ જીવસૃષ્ટિને ટેકો આપવા, દરિયાકાંઠાની જમીનને સ્થિર કરવા, ખારાશને વધતી અટકાવવા અને વાવાઝોડાં જેવી કુદરતી આફતોની અસરને ઘટાડવા માટે મહત્વપૂર્ણ છે. એવો અંદાજ છે કે માછલીઓ અને પક્ષીઓ સહિત લગભગ 1,500 પ્રકારના છોડ અને પ્રાણીઓની પ્રજાતિઓ મેન્ગ્રોવ્સ પર નિર્ભર છે, જેઓ મેન્ગ્રોવ વૃક્ષો નીચેના છીછરા પાણીનો પ્રજનન નર્સરી તરીકે ઉપયોગ કરે છે.
તાજેતરના સંશોધનો દર્શાવે છે કે વાંદરાઓ, સ્લોથ, વાઘ, જરખ અને આફ્રિકન જંગલી શ્વાન જેવા મોટા સસ્તન પ્રાણીઓ માટે પણ મેન્ગ્રોવ મહત્વપૂર્ણ છે. આ તારણો, માછલી અને પક્ષીઓ માટે નર્સરી તરીકેની મેન્ગ્રોવ્સની પરંપરાગત ભૂમિકાથી આગળ વધીને તેમના વ્યાપક ઇકોલોજીકલ મહત્વને પ્રકાશિત કરે છે.
મેન્ગ્રોવ સંરક્ષણ માટે ગુજરાતની પ્રતિબદ્ધતાએ ભારત તેમજ અન્ય દેશો માટે પણ એક ઉદાહરણ સ્થાપિત કર્યું છે. અરબી સમુદ્ર સાથેનો રાજ્યનો વ્યાપક 1,650 કિમીનો દરિયાકિનારો, જે ભારતના કુલ દરિયાકિનારાના 21 ટકાથી વધુનો હિસ્સો ધરાવે છે, તે મેન્ગ્રોવ્સ, પરવાળા અને લીલ-શેવાળ જેવા દરિયાઇ ઘાસ સહિત વિવિધ ઇકોસિસ્ટમ્સ માટે એક આદર્શ વાતાવરનું નિર્માણ કરે છે. રાજ્યના સંરક્ષણ માટેના સમર્પિત પ્રયાસોની સાથે આ કુદરતી અનુકૂળતા ગુજરાતને પર્યાવરણીય સ્થિરતામાં વૈશ્વિક કક્ષાએ અગ્રેસર બનાવે છે.
છેલ્લા બે દાયકામાં મેન્ગ્રોવ કવરમાં ગુજરાતની નોંધપાત્ર વૃદ્ધિ એ પર્યાવરણ સંરક્ષણ માટે રાજ્યની દૃઢ પ્રતિબદ્ધતાનો પુરાવો છે. વૃક્ષારોપણના વ્યાપક પ્રયાસો અને સરકારના સમર્થન સાથે રાજ્યના મહત્વપૂર્ણ વિસ્તારોમાં મેન્ગ્રોવ્સના વ્યૂહાત્મક વિતરણને કારણે માત્ર જૈવવિવિધતાને જ પ્રોત્સાહન નથી મળ્યું પરંતુ તેનાથી દરિયાકાંઠાની સ્થિતિસ્થાપકતા પણ વધુ મજબૂત બની છે. મેન્ગ્રોવ સંરક્ષણમાં ગુજરાત સતત અગ્રેસર રહેવા સાથે વિશ્વભરમાં ટકાઉ પર્યાવરણીય સંરક્ષણ માટે એક મોટું ઉદાહરણ સ્થાપિત કરે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
