અખિલ ભારત વીર સાવરકર તરણ સ્પર્ધા માટે સરકાર પુરસ્કારની રકમ વધારશે-હર્ષ સંઘવી
અખિલ ભારત વીર સાવરકર સમુદ્ર તરણ સ્પર્ધા પુરુષ સ્પર્ધકો માટે ચોરવાડથી વેરાવળ સુધી તેમજ મહિલા સ્પર્ધકો માટે આગ્રાથી વેરાવળ સુધી યોજવામાં આવે છે. આમાં ૧૪ થી ૪૦ વર્ષ સુધીના વિવિધ રાજ્યોના નાગરિકો આ સ્પર્ધામાં ભાગ લઈ શકે છે.

ગાંધીનગર : ગુજરાત સરકાર રાજ્યમાં રમત-ગમતને પ્રોત્સાહન આપવા માટે સતત પ્રયાસો કરી રહી છે ત્યારે વધુ એક સારા સમાચાર આવ્યા છે. રાજ્યના રમત-ગમત અને યુવક સેવા મંત્રી હર્ષ સંઘવીએ આ સમાચાર આપ્યા છે.
રમત-ગમત અને યુવક સેવા મંત્રી હર્ષ સંઘવીએ વિધાનસભામાં જણાવ્યું કે, અરબી સમુદ્રમાં દર બે વર્ષે યોજાતી રાષ્ટ્રીય કક્ષાની અખિલ ભારત વીર સાવરકર તરણ સ્પર્ધાના ઈનામી રકમમાં આગામી સમયમાં વધારો કરવા રાજ્ય સરકાર તત્પર છે. આ અંગે પ્રક્રિયા આગામી સમયમાં હાથ ધરવામાં આવશે.
તેમણે વધુ વિગતો આપતા કહ્યું કે, અખિલ ભારત વીર સાવરકર સમુદ્ર તરણ સ્પર્ધા પુરુષ સ્પર્ધકો માટે ચોરવાડથી વેરાવળ સુધી તેમજ મહિલા સ્પર્ધકો માટે આગ્રાથી વેરાવળ સુધી યોજવામાં આવે છે. આમાં ૧૪ થી ૪૦ વર્ષ સુધીના વિવિધ રાજ્યોના નાગરિકો આ સ્પર્ધામાં ભાગ લઈ શકે છે. વર્ષ ૨૦૨૨ માં યોજાયેલ છેલ્લી સ્પર્ધામાં કુલ ૨૧ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં વિજેતાને યુરોપની ઈંગ્લીશ ચેનલમાં યોજાતી તરણ સ્પર્ધામાં ભાગ લેવા સીધી એન્ટ્રી મળે છે.
અહીં હર્ષ સંઘવીએ યુવા ઉત્સવ કાર્યક્રમ વિશે માહિતી આપતા જણાવ્યુ કે, રાજ્યના યુવાનોમાં રહેલી પ્રતિભાને જાગૃત કરવા વર્ષ ૧૯૬૮થી યુવા ઉત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. આ ઉત્સવ અંતર્ગત સાંપ્રત સામાજિક મુદ્દા અંગે નિબંધ સ્પર્ધા, વકતૃત્વ સ્પર્ધા, સમૂહ સંગીત, લોકનૃત્ય, સાશ્ત્રીય સંગીત વગેરે સ્પર્ધાનું આયોજન કરાય છે. આમાં રાજ્યના યુવાનો ભાગ લે છે.
છેલ્લા બે વર્ષમાં વડોદરા, પાલનપુર અને અમરેલી જિલ્લા ખાતે રાજ્યકક્ષાના યુવા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. વર્ષ ૨૦૨૨-૨૩ દરમિયાન કર્ણાટક ખાતે રાષ્ટ્રીય કક્ષાના યુવા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. કેન્દ્ર કક્ષાની સ્પર્ધામાં રાજ્યના ૭૪ યુવાનોએ ભાગ લીધો હતો.












Click it and Unblock the Notifications
