બિપરજોય વાવાઝોડુ ગુજરાત તરફ આગળ, 1077 નંબર જાહેર, 15 જૂને ત્રાટકશે, અતિ ભારે વરસાદની આગાહી
Cyclone Biperjoy: બિપરજોય વાવાઝોડુ દરિયામાં 8 કિમી પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યુ છે. તે હાલમાં દ્વારકાથી 300 કિમી, પોરબંદરથી 340 કિમી, જખૌથી 310 કિમી, નલિયાથી 330 કિમી અને કરાંચીથી 400 કિમી દૂર છે.
વાવાઝોડા બિપરજોયના સંભવિત સંકટના પગલે ગાંધીનગરમાં આજે યોજાનારી કેબિનેટ બેઠક રદ કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તમામ મંત્રીઓને સોંપવામાં આવેલા જિલ્લામાં જ હાજર રહેવા માટે સૂચના આપી દીધી છે.

મુખ્યમંત્રીએ દરિયાકાંઠાના જિલ્લાઓમાં સંભવિત અસર સામે જિલ્લા તંત્રએ કરેલા આગોતરા આયોજન અને આપત્તિ વ્યવસ્થાપન કામોમાં માર્ગદર્શન માટે રાજ્ય મંત્રી મંડળના વરિષ્ઠ મંત્રીઓને વિવિધ જિલ્લાઓની જવાબદારી સોંપી છે.
વાવાઝોડુ બિપરજોય જેમ જેમ આગળ વધી રહ્યુ છે તેમ તેમ દરિયાકાંઠાના વિસ્તારોમાં અસર દેખાઈ રહી છે. આગામી 15 જૂને વાવાઝોડુ ગુજરાતમાં ત્રાટકી શકે છે. જેને પગલે દરિયાકાંઠાના તમામ જિલ્લામાં વહીવટી તંત્ર એલર્ટ બન્યુ છે. પંજાબમાંથી 5 એનડીઆરએફની ટીમ એર લિફ્ટ કરાઈ છે. તમિલનાડુની 5 એનડીઆરએફ ટીમને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ ત્રણ જિલ્લા કચ્છ, દેવભૂમિ દ્વારકા અને જામનગરમાં વ્યાપક અને ગંભીર નુકશાનની સંભાવના છે. વાવાઝોડુ મંગળવારે નબળુ પડ્યુ હતુ પરંતુ હજુ પણ તીવ્રતા ગંભીર છે. વાવાઝોડાની અસરને પગલે મંગળવારે અમરેલી, પોરબંદર, ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા, જામનગર અને કચ્છની દરિયાઈ પટ્ટી પર 1થી 8 ઈંચ સુધી વરસાદ પડ્યો હતો. દરિયામાં 20-20 ફૂટ સુધી મોજા ઉછળતા દરિયાકાંઠાના અમુક ગામોની અંદર પાણી ઘૂસી ગયા હતા.
દરિયાકાંઠાના 6 જિલ્લામાં એનડીઆરએફની 17 અને એસડીઆરએફની 12 ટીમો તૈનાત કરવામાં આવી છે. દરિયાકાંઠાના ગામોમાંથી 30 હજારથી વધુ લોકોનુ સ્થળાંતર કરવામાં આવ્યુ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મંગળવારે રાહત અને બચાવ કાર્યની સમીક્ષા કરી હતી. અગાઉ પીએમ મોદીએ પણ મુખ્યમંત્રી સાથે ચર્ચા કરી હતી.
હવામાન વિભાગના ડાયરેક્ટર જનરલ મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યુ હતુ કે વાવાઝોડુ નબળુ પડ્યુ હોવા છતાં તેની તીવ્રતા ગંભીર છે. 15 જૂને સાંજે 4 વાગ્યા આસપાસ પાકિસ્તાનના કરાંચીથી ગુજરાતના જખૌની આસપાસ ટકરાવાની સંભાવના છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં 25 સેમી સુધી વરસાદ થઈ શકે છે, જે અસામાન્ય છે. રાજકોટ, મોરબી અને જૂનાગઢમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. કચ્છ, જામનગર, દ્વારકામાં 15 જૂને 145 કિમી પ્રતિ કલાકે પવન ફૂંકાશે. સૌરાષ્ટ્ર-કચ્છના કાંઠે દરિયાના મોજા 10-14 મીટર સુધી ઉછળી શકે છે.












Click it and Unblock the Notifications
