અમિત શાહ ૪ સપ્ટેમ્બરે ૩૬ મીં નેશનલ ગેમ્સનો મૅસ્કોટ અને ઍન્થમ લૉન્ચ કરશે!
અમદાવાદના ટ્રાન્સસ્ટેડીયા ખાતે રવિવારે ૪ સપ્ટેમ્બરે યોજાનારા સમારોહમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ ૩૬મા રાષ્ટ્રીય રમતોત્સવના મૅસ્કોટનું અનાવરણ કરશે.
અમદાવાદ : અમદાવાદના ટ્રાન્સસ્ટેડીયા ખાતે રવિવારે ૪ સપ્ટેમ્બરે યોજાનારા સમારોહમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ ૩૬મા રાષ્ટ્રીય રમતોત્સવના મૅસ્કોટનું અનાવરણ કરશે. ગુજરાતમાં ૨૯ સપ્ટેમ્બર થી ૧૨ ઓક્ટોબર દરમિયાન રમાનારી ૩૬મી નેશનલ ગેઈમ્સનું ઍન્થમ પણ આ કાર્યક્રમમાં લૉન્ચ કરાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રમત-ગમત અને યુવા પ્રવૃત્તિઓના કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર, ગુજરાતના રમત-ગમત અને યુવા પ્રવૃત્તિઓના મંત્રી હર્ષ સંઘવી તથા ભારતના જાણીતા રમતવીરોની ઉપસ્થિતિમાં આ સમારોહમાં નેશનલ ગેઈમ્સની વેબસાઈટ અને મોબાઇલ એપ્લિકેશન પણ લૉન્ચ કરાશે.

રમત-ગમતના માધ્યમથી રાષ્ટ્રીય એકતાની ઉજવણીની થીમ પર આઝાદીના અમૃત મહોત્સવ પર્વે ગુજરાતમાં યોજાઇ રહેલી ૩૬ મી નેશનલ ગેઈમ્સ અંતર્ગત અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરત, રાજકોટ અને ભાવનગર ખાતે વિવિધ પ્રકારની ૩૬ રમતોમાં ૩૬ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના ૨૦,૦૦૦ જેટલા રમતવીરો, પ્રશિક્ષકો અને રમતગમત ક્ષેત્રના અધિકારીઓ ભાગ લેશે. ૩૬મી નેશનલ ગેઈમ્સના ભવ્યાતિભવ્ય આયોજન પહેલાં મેસ્કોટ અને એન્થમ લૉન્ચિંગનો ભવ્ય રંગારંગ સમારોહ અમદાવાદના વિશાળ ટ્રાન્સસ્ટેડિયમ ખાતે શનિવારે સાંજે ૬.૦૦ કલાકે યોજાશે.
ટ્રાન્સસ્ટેડીયાના એકા એરેના ખાતે યોજાઈ રહેલા આ સમારોહમાં ગુજરાત રાજ્યમાં નેશનલ ગેઈમ્સના આયોજન માટે ઇન્ડિયન ઑલિમ્પિક એસોસિએશન, ગુજરાત રાજ્ય ઑલિમ્પિક એસોસિએશન અને ગુજરાત સરકાર વચ્ચે કરારો થશે.
ગુજરાતમાં તાજેતરમાં યોજાયેલા ૧૧મા ખેલ મહાકુંભનું વિધિવત સમાપન પણ આ સમારોહમાં યોજાશે. ૧૨ મી માર્ચ ૨૦૨૨ ના રોજ ૧૧મા ખેલ મહાકુંભનો આરંભ થયો હતો. ગ્રામ્ય, શાળા, તાલુકા, જિલ્લા, ઝોન અને રાજ્યકક્ષાએ યોજાયેલા ખેલ મહાકુંભમાં રેકોર્ડ બ્રેક ૫૫ લાખ ખેલાડીઓએ ભાગ લીધો હતો. વ્યક્તિગત ઉપરાંત ટીમ, શાળા, અને જિલ્લા કક્ષાએ વિજેતા થયેલા ખેલાડીઓને ૩૦ કરોડના ઇનામો એનાયત કરાયા છે. સફળતાપૂર્વક યોજાઈ ગયેલા ૧૧મા ખેલ મહાકુંભના વિજેતાઓને મહાનુભાવોના હસ્તે પુરસ્કારની રકમ એનાયત કરાશે અને ૧૧મા ખેલ મહાકુંભનું વિધિવત સમાપન યોજાશે.












Click it and Unblock the Notifications
