ગુજરાત 2002 દંગાના વધુ 26 આરોપીઓને છોડી મુકાયા, 12 લોકોની હત્યાનો આરોપ હતો
નવી દિલ્હી : ગુજરાતમાં ગોધરાકાંડ બાદ થયેલી હિંસાની સતત ચર્ચા થઈ રહી છે. આટલા વર્ષો પછી પણ ઘટનાના દાગ ભુંસાયા નથી ત્યારે હવે વધુ એક ઘટના સર્જાતા ચર્ચા શરૂ થઈ છે. વિગતો અનુસાર, ગોધરાકાંડ બાદની હિંસામાં 12 લોકોની હત્યાના આરોપમાં જેલમાં રહેલા 26 જેટલા આરોપીઓને કોર્ટે નિર્દોષ છોડ્યા છે. આ કેસમાં 26માંથી 13 લોકો જેલમાં જ મોતને ભેટ્યા છે. આ સિવાયના આરોપઓ હવે પુરાવાના અભાવે જેલમાંથી બહાર આવશે.

આ ઘટના પંચમહાલ જિલ્લાની છે. પંચમહાલના હાલોલની કોર્ટમાં એડિશનલ સેશન્સ જજ લીલાભાઈ ચુડાસમાની કોર્ટે પુરાવાના અભાવે હત્યા, ગેંગરેપ અને રમખાણોના આરોપમાંથી 26 લોકોને નિર્દોષ જાહેર કર્યા છે.
કોર્ટે પોતાના આદેશમાં જણાવ્યું કે, આ કેસના કુલ 39 આરોપીઓમાંથી 13ના ટ્રાયલ દરમિયાન મૃત્યુ થયા છે. આરોપીઓ કથિત રીતે 27 ફેબ્રુઆરીએ ગોધરા ખાતે સાબરમતી ટ્રેનને આગ ચાંપનાર ટોળાનો ભાગ હતા. આ ઘટના બાદ બંધના એલાન દરમિયાન 1 માર્ચ, 2002ના રોજ કોમી રમખાણોમાં ઉપદ્રવ કર્યો હતો. 2 માર્ચના રોજ કલોલ પોલીસ સ્ટેશનમાં આ આરોપી વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી હતી.
અહીં તમને જણાવી દઈએ કે, ફરિયાદી પક્ષે 190 સાક્ષીઓ અને 334 દસ્તાવેજો રજૂ કરાયા હતા. કોર્ટે કહ્યું કે આ પુરાવા ઓછા પડી રહ્યા છે. આ સાથે કોર્ટે એમ પણ કહ્યું કે, સાક્ષીઓના નિવેદનમાં વિરોધાભાસ છે. 20 વર્ષ જૂના કેસમાં પુરાવાના અભાવે આ લોકોને નિર્દોષ જાહેર કરવામાં આવી રહ્યા છે.
ઘટના પર નજર કરીએ તો, 1 માર્ચ 2002ના રોજ કલોલમાં બે સમુદાયના 2 હજારથી વધુ લોકોએ હિંસા કરી હતી. આ ટોળાએ હથિયારો સાથે દુકાનોમાં તોડફોડ કરી આગ લગાવી હતી. આ દરમિયાન એક ઘટનામાં 38 લોકો પર હુમલો કરી 11 લોકોને જીવતા સળગાવી દેવામાં આવ્યા હતા. આ તમામ લોકો ડેલોલ ગામથી કલોલ તરફ આવી રહ્યા હતા. અન્ય એક મહિલાએ ભાગવાનો પ્રયાસ કરતા તેના પર સામૂહિક બળાત્કાર કરાયો હતો.












Click it and Unblock the Notifications
