અમદાવાદમાં કોરોના કેસમાં ઘટાડો યથાવત પરંતુ મૃત્યુના આંકડા ચિંતાજનક
અમદાવાદ શહેરમાં છેલ્લા અમુક દિવસોથી કોરોનાના દૈનિક કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે પરંતુ તેના પ્રમાણમાં મૃત્યુઆંક ઘટ્યો નથી. જાણો લેટેસ્ટ આંકડા.
અમદાવાદઃ અમદાવાદ શહેરમાં છેલ્લા અમુક દિવસોથી કોરોનાના દૈનિક કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. જ્યારે બીજી તરફ કોરોનાથી રિકવર થનાર દર્દીઓની સંખ્યા પણ વધી રહી છે. છેલ્લા 24 કલાકમાં 3582 નવા કેસ નોંધાયા હતા અને 6169 દર્દીઓ રિકવર થયા હતા અને હોસ્પિટલમાંથી રજા મેળવી હતી. જો કે મૃત્યુના આંકડા હજુ પણ ચિંતાજનક છે. દૈનિક કેસમાં ઘટાડો થઈ રહ્યો છે પરંતુ તેના પ્રમાણમાં મૃત્યુઆંક ઘટ્યો નથી. છેલ્લા 24 કલાકમાં 8 દર્દીના મૃત્યુ થયા છે. શનિવારે 7 દર્દીના મૃત્યુની સરખામણીમાં રવિવારે વધુ એક દર્દીનુ મોત થયુ હતુ.

શહેરમાં રવિવારે નવા 3582 નવા કોરોના કેસ નોંધવામાં આવ્યા હદતા. 29 જાન્યુઆરીએ કોરોનાના 3990 કેસ અને 7 દર્દીના મોત નોંધાયા હતા. 30 જાન્યુઆરી 3582 કેસ અને 8 દર્દીના મોત નોંધાતા માર્ચ 2020થી અત્યાર સુધીમાં અમદાવાદમાં કોરોનાના કુલ 3,51,789 કેસ નોંધાયા છે. અત્યાર સુધી શહેરમાં કુલ 3501 દર્દીના કોરોનાથી મોત થયા છે. જો કે ચિંતાની વાત એ છે કે 25 જાન્યુઆરીથી 30 જાન્યુઆઅરી સુધીના સમયગાળામાં 48 દર્દી મૃત્યુ પામ્યાછે. 22 જાન્યુઆરીથી મૃત્યુઆંક 5થી નીચે ગય નથી. હાલમાં જ આરોગ્ય વિભાગના અધિકારીઓએ હેલ્થ કમિટીની બેઠકમાં આશા વ્યક્તિ કરી હતી કે આગામી અઠવાડિયામાં કોરોનાના દૈનિક કેસો કાબુમાં આવી જશે અને દૈનિક કેસોની સંખ્યા 1 હજારની નીચે જઈ શકે છે.
મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા શહેરમાં કુલ 105 સંક્રમિત સ્થળ માઈક્રોકન્ટેઈનમેન્ટ ઝોનમાં મૂકવામાં આવ્યા હતા. રવિવારે 15 સ્થળને નિયંત્રણ મુક્ત કરી નવા 8 સ્થળો માઈક્રોકન્ટેઈનમેન્ટ ઝોનમાં મૂકવામાં આવતા હવે શહેરના 98 સ્થળો સક્રિય માઈક્રોકન્ટેઈનમેન્ટ હેઠળ છે. રવિવારે દક્ષિણ-પશ્ચિમ ઝોનના પાંચ સ્થળ માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનમાં મૂકવામાં આવ્યા છે. આ સ્થળોમાં પ્રહલાદનગર ઉપરાંત સાઉથ બોપલ અને સરખેડના સંક્રમિત સ્થળોનો સમાવેશ થાય છે. ઉત્તર ઝોનમાં ઠક્કરબાપા નગરના સંક્રમિત સ્થળને માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનમાં મૂકવામાં આવ્યા છે. પશ્ચિમ ઝોનમાં મોટેરા અને ચાંદખેડાના એક-એક સંક્રમિત સ્થળને માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનમાં મૂકવામાં આવ્યા છે.
રવિવારે શહેરના તમામ રસીકરણ કેન્દ્રો પરથી 3244 લોકોને કોરનોા રસીનો પહેલો ડોઝ, 6847 લોકોને રસીનો બીજો ડોઝ અને 2794 લોકોને પ્રિકોશન ડોઝ આપવામાં આવતા કુલ 12,885 લોકોને કોરોના વેક્સીન આપવામાં આવી હતી. 15થી 18 વર્ષની વયના 988 બાળકોને કોરોના વેક્સીન અપાઈ હતી. 16 જાન્યુઆરી, 2021થી 30 જાન્યુઆરી, 2022 સુધીમાં અમદાવાદ શહેરમાં કુલ 93,54,724 લોકોને કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા હતા. 52,49,955 લોકોને કોરોના વેક્સીનનો પહેલો ડોઝ અને 39,55,744 લોકોને રસીનો બીજો ડોઝ અને 1,39,025 લોકોને પ્રિકોશન ડોઝ આપવામાં આવ્યા હતા. ઘર સેવા વેક્સીનેશન યોજના હેઠળ 9589 લોકોને કોરોના રસી આપવામાં આવી હતી.












Click it and Unblock the Notifications
