The Indrani Mukerjea Story: 'ધ ઈંદ્રાણી મુખર્જી સ્ટોરી'નુ ટ્રેલર રિલીઝ, જાણો ક્યારે અને ક્યાં જોશો આ વેબ સીરિઝ
The Indrani Mukerjea Story Trailer Out: શીના બોરા મર્ડર એક એવો કેસ હતો જેણે લોકોને હચમચાવી દીધા હતા. મા ઈન્દ્રાણી મુખર્જીને પોતાની જ પુત્રીની હત્યાના આરોપમાં જેલમાં જવું પડ્યું હતું. તેની કહાની એવી છે કે તે કોઈપણ બૉલિવુડ ફિલ્મની ક્રાઈમ, સસ્પેન્સ અને થ્રિલર વાર્તાઓને માત આપી શકે છે. 'ધ ઈન્દ્રાણી મુખર્જી સ્ટોરીઃ બરીડ ટ્રુથ' વેબ સીરિઝ લોકોને આ કેસની તમામ માહિતી આપશે.
'ધ ઈન્દ્રાણી મુખર્જી સ્ટોરીઃ બરીડ ટ્રુથ' સ્ટોરીનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે, જેને લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે. આ વેબ સીરિઝના 1 મિનિટ 57 સેકન્ડના ટ્રેલરમાં બતાવવામાં આવ્યું છે કે ઈન્દ્રાણી મુખર્જી પાસે પહેલા કંઈ નહોતું. ન તો નામ, ન પૈસો, ન હોદ્દો કે ન કીર્તિ. ત્યારબાદ તે INX મીડિયાની સીઈઓ બની. આ પછી શોધ શરૂ થાય છે શીના બોરાની. એક કાર, જંગલ અને આગમાંથી તણખા બતાવવામાં આવ્યા છે. પછી એક આઘાતજનક ટ્વિસ્ટ દેખાય છે.

આ પછી ટ્રેલરમાં બતાવવામાં આવ્યું છે કે ઈન્દ્રાણી મુખર્જીની મુંબઈ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. તેના પર ત્રણ વર્ષ પહેલા તેની બહેનની હત્યા કરવાનો આરોપ છે. જેમ જેમ તપાસ આગળ વધે છે તેમ તેમ ચોંકાવનારા ખુલાસા થવા લાગે છે. તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું કે શીના બોરા ઈન્દ્રાણીની બહેન નહીં પરંતુ તેની પુત્રી હતી. એક પછી એક ઈન્દ્રાણીના પરિવારના સભ્યો પોતે જ રહસ્ય ખોલવા લાગે છે.
ત્યારે વધુ એક ખુલાસો થયો કે શીના અને ઈન્દ્રાણીના પતિ પીટરના પુત્ર રાહુલનું અફેર હતું. 'ધ ઈન્દ્રાણી મુખર્જી સ્ટોરીઃ બરીડ ટ્રુથ'નું ટ્રેલર રિલીઝ થયા બાદથી જ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યું છે. આ ચાર ભાગની ડૉક્યુમેન્ટ્રી-સીરિઝ 2015ના સૌથી સનસનાટીભર્યા શીના બોરા હત્યા કેસ પર આધારિત છે. ઇન્ડિયા ટુડે ઓરિજિનલનું નિર્માણ નેટફ્લિક્સ પર 23 ફેબ્રુઆરી 2024ના રોજ રિલીઝ કરવામાં આવશે.
તમને જણાવી દઈએ કે ઈન્દ્રાણી મુખર્જીનો જન્મ 1972માં ગુવાહાટીમાં થયો હતો. શાળામાં ભણ્યા પછી તે વધુ અભ્યાસ માટે શિલોંગ ગઈ. વર્ષ 1986માં તેની મુલાકાત સિદ્ધાર્થ દાસ સાથે થઈ અને તેના પછી પુત્રી શીના બોરાનો જન્મ થયો. દંપત્તિને એક પુત્ર પણ છે, જેનું નામ મિખાઇલ બોરા છે. 1990માં ઈન્દ્રાણી તેના બે બાળકોને છોડીને કોલકત્તા ગઈ અને ત્યાં કમ્પ્યુટરનો અભ્યાસ કરવા લાગી.
ઈન્દ્રાણી મુખર્જી કોલકાત્તામાં સંજીવ ખન્નાને મળી હતી. આ પછી ઈન્દ્રાણી મુખર્જીએ 1993માં સંજીવ ખન્ના સાથે લગ્ન કર્યા અને 1997માં પુત્રી વિધિનો જન્મ થયો. 2001માં ઈન્દ્રાણી અને તેનો પતિ મુંબઈ શિફ્ટ થઈ ગયા. વર્ષ 2002માં ઈન્દ્રાણી મુખર્જી પીટર મુખર્જીને મળી અને તેઓ સાથે રહેવા લાગ્યા. આ સમયે ઈન્દ્રાણી તેના પતિ સંજીવથી છૂટાછેડા લેવાની રાહ જોઈ રહી હતી.
તમને જણાવી દઈએ કે પીટર મુખર્જીએ વર્ષ 1978માં શબનમ સિંહ સાથે લગ્ન કર્યા હતા. આ દંપત્તિને રાહુલ અને રબીન નામના બે પુત્રો છે. છૂટાછેડા પછી રાહુલ તેની માતા સાથે દેહરાદૂનમાં રહે છે. ઈન્દ્રાણીના છૂટાછેડા પછી તેણે પીટર મુખર્જી સાથે લગ્ન કર્યા. વિધિ પણ તેની માતા ઈન્દ્રાણી અને તેના નવા પિતા પીટર મુખર્જી સાથે મુંબઈમાં રહેવા લાગી.
વર્ષ 2005માં ઈન્દ્રાણી મુખર્જીએ પીટરનો પરિચય તેની પુત્રી શીના અને પુત્ર મિખાઈલ સાથે કરાવ્યો હતો પરંતુ તેણે તેના પતિ સાથે ખોટું બોલ્યું હતું કે તે બંને તેના નાના ભાઈ અને બહેન છે. આ પછી શીના પણ ઈન્દ્રાણી મુખર્જી સાથે રહેવા લાગી. વર્ષ 2012માં શીના બોરા અચાનક ગાયબ થઈ ગઈ હતી.
આ પછી 2015માં ઈન્દ્રાણી મુખર્જીની શીનાની હત્યાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. 6 વર્ષ જેલના સળિયા પાછળ રહ્યા બાદ ઈન્દ્રાણી મુખર્જીને જામીન મળી ગયા. ઈન્દ્રાણીએ જેલમાંથી બહાર આવીને ખુલાસો કર્યો હતો કે શીના જીવિત છે અને વિદેશમાં શિફ્ટ થઈ છે કારણ કે રાહુલ તેનો પીછો કરતો હતો.












Click it and Unblock the Notifications
