સોલાર પંપના ઉપયોગથી ખેડૂતોને થશે લાભ, જાણો કેટલી મળશે સબસિડી?
Agriculture News: સરકાર દ્વારા ખેડૂતોને પ્રધાનમંત્રી કુસુમ યોજના અંતર્ગત સોલાર પંપ લગાવવા માટે આર્થિક સહાય આપવામાં આવે છે.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ પ્રધાનમંત્રી કુસુમ યોજનાના વ્યાપક અમલીકરણ માટે સક્રિયપણે કામગીરી કરવામાં આવી રહી છે.
જેના પરિણામે રાજ્યમાં ડિસેમ્બર 2024 સુધીમાં 7700થી વધુ ખેડૂતોએ ઓફગ્રીડ સોલાર પંપ સ્થાપિત કર્યા છે. આ યોજના અંતર્ગત રાજ્ય સરકારે ખેડૂતોને રૂપિયા 218 કરોડથી વધુની સબસિડી ચૂકવી છે.
જેમાં અંદાજિત 70 ટકા સુધીની રકમની સહાય આપવામાં આવે છે. ખેડૂતોને ઓફગ્રીડ સોલાર પંપની મદદથી વીજળીમાં બચત થવાની સાથે પર્યાવરણને પણ ફાયદો થઇ રહ્યો છે.
ખેતરોમાં સિંચાઈ માટે પાણી અને વીજળીની નિયમિત ઉપલબ્ધિ સુનિશ્ચિત કરાવવા અને સૂર્ય ઊર્જાનો ઉપયોગ થાય તે માટે વર્ષ 2019માં કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન ઊર્જા સુરક્ષા અને ઉત્થાન મહાઅભિયાન (પી.એમ. કુસુમ) યોજના શરૂ કરવામાં આવી હતી.

પ્રધાનમંત્રી કુસુમ યોજનાનો લાભ લઈને અનેક ખેડૂતો પ્રદૂષણમુક્ત વીજળીનો ઉપયોગ કૃષિમાં કરી રહ્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા માર્ચ 2026 સુધીમાં 12382 સ્ટેન્ડઅલોન ઓફ ગ્રીડ સોલાર પંપ સ્થાપિત કરવા ગુજરાત રાજ્યને સેન્ક્શન આપવામાં આવ્યું છે.
જૂનાગઢના ભેંસાણ તાલુકાના હડમતિયા(ખાખરા) ગામના રહેવાસી અને આ યોજનાના લાભાર્થી વિજ્યાબેન વી આસોદરિયા જણાવે છે કે, ઓફગ્રીડ સોલાર પંપ લગાવ્યા બાદ દિવસ દરમિયાન આઠથી દસ કલાક સુધી અમે પંપ ચલાવીએ છીએ અને તેમાં કોઈ પણ જાતના વીજળીના સપ્લાયની જરૂર રહેતી નથી.
વિજ્યાબેન વી આસોદરિયા વધુમાં જણાવે છે કે, આ પંપમાં પાંચ વર્ષ સુધી કોઈ નિભાવ ખર્ચ રહેતો નથી અને ખેતીમાં ઉપજ અને આવકમાં વધારો થયો છે. આ સાથે ઓફગ્રીડ સોલાર પંપ સૂર્ય ઊર્જાથી ચાલતો હોવાથી પ્રદૂષણ પણ થતું નથી.
નર્મદા જિલ્લામાં સૌથી વધારે લાભાર્થી - પ્રધાનમંત્રી કુસુમ યોજના અંતર્ગત નર્મદા જિલ્લામાં સૌથી વધારે 5100થી વધુ સોલાર પંપ સ્થાપિત કરવામાં આવ્યા છે.
સોલાર પંપની સંખ્યાની દ્રષ્ટિએ ટોપ ટેન જિલ્લામાં નર્મદા બાદ વલસાડ 460થી વધુ, બનાસકાંઠા 450થી વધુ, ડાંગ 320થી વધુ, મહિસાગર 260થી વધુ, ગીર સોમનાથ 220થી વધુ, છોટાઉદેપુર 180થી વધુ, તાપી 160થી વધુ, કચ્છ 130થી વધુ અને નવસારી 100થી વધુનો સમાવેશ થાય છે.












Click it and Unblock the Notifications
