IPL 2022 : રવિન્દ્ર જાડેજાએ કપ્તાની છોડી, હવે CSKની કપ્તાન આ ખેલાડીના હાથમાં!
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2022માં લીગની મેચો ચાલી રહી છે, પરંતુ આ દરમિયાન ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નઈ સુપર કિંગ્સ તરફથી મોટા સમાચાર સામે આવ્યા છે.
નવી દિલ્હી : ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2022માં લીગની મેચો ચાલી રહી છે, પરંતુ આ દરમિયાન ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નઈ સુપર કિંગ્સ તરફથી મોટા સમાચાર સામે આવ્યા છે. સિઝનની ખરાબ શરૂઆત પછી રવિન્દ્ર જાડેજાએ અધવચ્ચે જ સુકાનીપદ છોડવાનો નિર્ણય લીધો છે અને મહેન્દ્ર સિંહ ધોનીને ફરીથી ચેન્નઈ સુપર કિંગ્સની કપ્તાની સોંપવામાં આવી છે. જાડેજાએ પોતાની રમત પર વધુ ધ્યાન આપવા માટે આ નિર્ણય લીધો છે.

સીએસકેએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "એમએસ ધોનીએ મોટા હિતમાં CSKની કેપ્ટનશીપ સ્વીકારી છે અને જાડેજાને તેની રમત પર ધ્યાન કેન્દ્રિત કરવાની મંજૂરી આપી છે." આ સિઝનમાં ચેન્નઈની શરૂઆત ખરાબ રહી છે. ટીમ અત્યાર સુધી રમાયેલી 8 મેચમાં માત્ર 2 મેચ જીતી શકી છે. છેલ્લા ચારમાં સ્થાન મેળવવું મુશ્કેલ બની ગયું છે. ટીમે તેની બાકીની 6 લીગ મેચ જીતવી પડશે. હાર તેને બહારનો રસ્તો બતાવી શકે છે.
આ પહેલા સીઝનની શરૂઆત પહેલા ધોનીએ પોતે કેપ્ટનશીપ છોડીને જાડેજાને કમાન સોંપવાનો નિર્ણય લીધો હતો. હરાજીમાં પણ ચેન્નઈએ કેટલાક જૂના ખેલાડીઓને ફરીથી સામેલ કર્યા હતા, પરંતુ જાડેજાની કેપ્ટનશીપમાં ટીમનું પ્રદર્શન સારું રહ્યું ન હતું. જો ટીમ બોલિંગમાં પહેલા જેટલી મજબૂત દેખાતી ન હતી તો બેટિંગ ઓર્ડર પણ ખોરવાઈ ગયો હતો.
આ સિવાય જાડેજા પર સુકાનીપદનું દબાણ પણ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. જાડેજા બેટથી રન બનાવી શક્યો નથી. તેણે અત્યાર સુધી રમેલી 8 મેચોમાં તેણે 92 બોલમાં 121.7ના સ્ટ્રાઈક રેટથી માત્ર 112 રન બનાવ્યા છે, જ્યારે તેણે 8.19ના ઈકોનોમી રેટથી આઠ ઇનિંગ્સમાં માત્ર પાંચ વિકેટ લીધી છે. પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રવિવારે ચેન્નઈ આ સિઝનની તેની નવમી મેચ સનરાઈઝર્સ હૈદરાબાદ સામે રમશે. જો ચેન્નઈ આ મેચ હારી જશે તો પ્લેઓફનો રસ્તો ઘણો મુશ્કેલ બની જશે. ચેન્નઈએ પ્લેઓફમાં જવા માટે હાર ટાળવી પડશે.












Click it and Unblock the Notifications
