વલસાડના કુંભઘાટ પર ટ્રક અને કાર વચ્ચે અકસ્માત, 7 લોકોના મોત
વલસાડ જિલ્લાના કપરાડામાં કુંભઘાટ પાસે ૨૦ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ ટ્રક અને ઈકો કાર વચ્ચે એક અત્યંત ભયાનક અકસ્માત સર્જાયો હતો.
આ ગમખ્વાર દુર્ઘટનામાં આંબા જંગલ ગામના એક જ પરિવારના ૭ સભ્યોના કરૂણ મોત નીપજતા સમગ્ર પંથકમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે.

કપરાડા-નાનાપોંઢા હાઈવે પર પૂરપાટ ઝડપે આવતી ટ્રકે કારને એવી ટક્કર મારી કે ઈકો કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો અને મુસાફરો ફસાઈ ગયા હતા.
અકસ્માત એટલો ભીષણ હતો કે કારમાં સવાર સાત લોકોના ઘટનાસ્થળે જ શ્વાસ થંભી ગયા હતા, જ્યારે અન્ય બે લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે.
ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે, જ્યાં તેમની હાલત અત્યંત નાજુક હોવાથી તેઓ જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.
મૃતકોમાં કિશનભાઈ ગંગોડા, વિનોદભાઈ રાઉત, ગણેશભાઇ મિસાલ, નરેશભાઇ પવાર, શિવરામભાઇ અને રમીલાબેન ઉમરમાગી સહિત સાત સભ્યોનો સમાવેશ થાય છે.
આંબા જંગલ ગામનો આ પરિવાર સામાજિક કાર્ય અર્થે જઈ રહ્યો હતો, ત્યારે કાળમુખી ટ્રકે તેમના હસતા-રમતા પરિવારને વિખેરી નાખતા ગામમાં માતમ છવાયો છે.
સ્થાનિક પોલીસે ક્રેઈનની મદદથી ક્ષત-વિક્ષત હાલતમાં રહેલા મૃતદેહોને કારમાંથી બહાર કાઢી પીએમ અર્થે ખસેડ્યા હતા અને ટ્રક ચાલક સામે ગુનો દાખલ કર્યો છે.
કુંભઘાટના જોખમી વળાંકો અગાઉ પણ અનેક જીવલેણ અકસ્માતોનું કેન્દ્ર રહ્યા છે, ત્યારે આ વધુ એક મોટી હોનારતે માર્ગ સલામતી સામે સવાલો ઉભા કર્યા છે.












Click it and Unblock the Notifications
