શું છે કોરોનાની R વેલ્યૂ? જેને લઈને કોરોનાની ત્રીજી લહેરની આશંકા છે!
ભારતમાં કોરોના વાયરસની સ્થિતિ હવે ધીમે ધીમે વધુ ચિંતાજનક બની રહી છે. આ દરમિયાન, ડોકટરોએ કોરોનાની ત્રીજી લહેરને લઈને ચેતવણી આપી છે.
ભારતમાં કોરોના વાયરસની સ્થિતિ હવે ધીમે ધીમે વધુ ચિંતાજનક બની રહી છે. આ દરમિયાન, ડોકટરોએ કોરોનાની ત્રીજી લહેરને લઈને ચેતવણી આપી છે. ચેન્નઈમાં ગણિત વિજ્ઞાન સંસ્થાના જણાવ્યા અનુસાર, ભારતમાં SARS-CoV-2 નું R વેલ્યૂ વધી રહ્યું છે અને 07 મે 2021 પછી પ્રથમ વખત 1 ને પાર ગયુ છે. અહીં R વેલ્યૂ નો અર્થ કોરોના વાયરસનો પ્રજનન દર છે. તાજેતરમાં તેમાં 0.96 થી 1 નો વધારો થયો છે, જે ચિંતાજનક છે. દિલ્હી એઈમ્સના ડિરેક્ટર ડો.રનદીપ ગુલેરિયાએ પણ આર વેલ્યુમાં વધારા અંગે ચિંતા વ્યક્ત કરી છે.

કોરોનાનું 'R વેલ્યૂ' શું છે?
કોરોના વાયરસથી સંક્રમિત વ્યક્તિ અન્ય જેટલા લોકોને સંક્રમિત કરે તે સંખ્યાને તેને તેની R વેલ્યૂ કહેવામાં આવે છે. એટલે કે, જો કોવિડ-19 થી સંક્રમિત વ્યક્તિ એક વ્યક્તિને સંક્રમિત કરે છે, તો R વેલ્યૂ 1 હશે અને જો સંક્રમિત વ્યક્તિ સરેરાશ 2 લોકોમાં ફેલાવે છે, તો R વેલ્યૂ બે હશે. 1 કરતા ઓછી R વેલ્યૂ સૂચવે છે કે, એક દર્દી સરેરાશ એક કરતા ઓછા વ્યક્તિને સંક્રમિત કરી રહ્યો છે. એટલે ડોકટરો ઈચ્છે છે કે R વેલ્યૂ 1 કરતા ઓછું હોય. ગયા અઠવાડિયે, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે પણ પુષ્ટિ કરી હતી કે R વેલ્યૂ 1 થઈ ગયુ છે.

27 થી 31 જુલાઈ દરમિયાન અંદાજિત R વેલ્યૂ 1.03
ચેન્નાઈના ગણિત વિજ્ઞાન સંસ્થામાં કોમ્પ્યુટેશનલ બાયોલોજી અને સૈદ્ધાંતિક ભૌતિકશાસ્ત્રના પ્રોફેસર સીતાભારા સિન્હાએ એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, R વેલ્યૂ 27 જુલાઈએ પ્રથમ વખત 1 નંબરને પાર ગઈ હતી. 7 મી મે પછી પહેલી વખત આ જોવા મળ્યું છે. 27 થી 31 જુલાઇના સમયગાળામાં અંદાજિત R વેલ્યૂ 1.03 રહેવાનો અંદાજ છે.

આ રાજ્યોમાં કોરોનાની 'R વેલ્યૂ' વધી રહ્યી છે
મણિપુર, અરુણાચલ પ્રદેશ અને ત્રિપુરા સિવાય, પૂર્વોત્તરના મોટાભાગના રાજ્યોમાં R વેલ્યૂ 1 કરતા વધારે છે. નિષ્ણાતોએ કેરળ, કર્ણાટક, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં વધતા કેસ અંગે ચિંતા વ્યક્ત કરી છે. આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં R વેલ્યૂ પણ 1 ની નજીક છે. દિલ્હી, ચેન્નાઈ, બેંગ્લોર અને કોલકાતામાં R વેલ્યૂ એક કરતા વધારે છે.

વધી રહેલી R વેલ્યૂ કોરોનાની ત્રીજી લહેર માટે કેમ ચિંતાજનક?
કોરોનાની ત્રીજી લહેરમાં વધતા R વેલ્યૂના મહત્વ વિશે વાત કરતા જીવ વિજ્ઞાન અને સૈદ્ધાંતિક ભૌતિકશાસ્ત્રના પ્રોફેસર સીતાભરા સિન્હાએ કહ્યું, ચોક્કસપણે 1 કરતા વધારે R વેલ્યૂ કોરોનાની ત્રીજી લહેરનો સંકેત સૂચવે છે. જો કે, એ પણ સાચું છે કે R વેલ્યૂ 1 થી વધારે હોવું એ માત્ર એક અસ્થાયી ઘટના હોઈ શકે છે અને શક્ય છે કે આગામી થોડા દિવસોમાં તે ફરીથી 1 થી ઓછી થઈ શકે. પરંતુ હકીકત એ પણ છે કે હાલમાં ઘણા રાજ્યોમાં R વેલ્યૂ 1 ને વટાવી ગયું છે, જે દર્શાવે છે કે કોરોનાના સક્રિય કેસોની સંખ્યા વધી રહી છે.












Click it and Unblock the Notifications
