આજે કોંગ્રેસ કારોબારીમાં સોનિયા રાહુલ રાજીનામા આપી શકે
નવી દિલ્હી, 19 મે : લોકસભાની ચૂંટણીમાં ઇતિહાસમાં સૌથી ખરાબ દેખાવ કર્યા બાદ આજે કોંગ્રેસના ટોચના નેતાઓ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી કોંગ્રેસ કારોબારીની બેઠકમાં રાજીનામુ આપી શકે છે. આ બેઠકમાં કોંગ્રેસની કારમી હારના પરિણામો અંગે પણ ચર્ચા કરવામાં આવશે.
કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીના અધ્યક્ષસ્થાને યોજાનારી કારોબારીની બેઠકમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી રાજીનામાની ઓફર કરી શકે છે. પાર્ટી સુત્રોના જણાવ્યા અનુસાર મંથન બેઠકમાં પરાજયનું ઠીકરૂ સોનિયા અને રાહુલના સલાહકારો ઉપર ફોડવામાં આવે તેવી શકયતા છે.
નોંધનીય છે કે 16મી મેના રોજ સોનિયા અને રાહુલે પરાજયનું દર્દ સ્મિત આપીને છુપાવવાનો પ્રયાસ કર્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર આ બેઠકમાં રાહુલ ગાંધી ઉપર સીધો-સીધો પ્રહાર નહી થાય પરંતુ કેટલાક વરિષ્ઠ કોંગી આગેવાનો જયરામ રમેશ અને મધુસુદન મિસ્ત્રી જેવા નેતાઓને પરાજય માટે જવાબદાર ઠેરવવામાં આવશે. જયાં સુધી નેતૃત્વ પરિવર્તનનો સવાલ છે તો કોંગ્રેસનો એક વર્ગ માને છે કે સોનિયા અને રાહુલના નેતૃત્વનો કોઇ હાલ વિકલ્પ નથી.

લોકસભાની ચૂંટણીને ઇતિહાસમાં કોંગ્રેસનું અત્યાર સુધીનું સૌથી શરમજનક પ્રદર્શન થયુ છે. કોંગ્રેસ ગુજરાત, રાજસ્થાન, છત્તીસગઢ, હિમાચલ, ઉત્તરાખંડ, દિલ્હી, જમ્મુ-કાશ્મીર, તામિલનાડુમાં ખાતુ પણ ખોલી શકેલ નથી. આ ઉપરાંત કોઇપણ રાજયમાં કોંગ્રેસ બે આંકડમાં બેઠકો મેળવવામાં પણ નિષ્ફળ ગઇ છે. એક માત્ર કર્ણાટકમાં તેને સૌથી વધારે 9 બેઠકો મળી છે. વર્ષ 2009માં કોંગ્રેસ પાસે 206 બેઠકો હતી જે ઘટીને હાલ 44 થઇ ગઇ છે.
કોંગ્રેસ તેની વ્યુહરચના અંગે નવેસરથી વિચારણા કરી રહી છે. કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી વિપક્ષનું નેતા પદ નથી ઇચ્છતા. તેઓ સંગઠનાત્મક માળખામાં સુધારા અંગે ધ્યાન કેન્દ્રીત કરવા માંગે છે. અમુક કોંગી નેતાઓ કહે છે કે પ્રિયંકાને કોઇ મોટી ભુમિકા સોપાવી જોઇએ.
આજે મળનારી કોંગી કારોબારીમાં 'રાજીનામાનો ડ્રામા' જોવા મળશે. જો કે નેતૃત્વમાં કોઇ પરિવર્તન નહી થાય. કોંગ્રેસ દ્વારા આગળના રોડમેપ ઉપર ચર્ચા થશે. સોનિયા અને રાહુલ રાજીનામાની ઓફર કરશે તો પક્ષના નેતાઓ એ પ્રસ્તાવનો સ્વીકાર નહી કરે. આજની બેઠકમાં કમલનાથ રાહુલની ઢાલ બની શકે છે. તેઓ રાહુલના એજન્ડાને આગળ વધારવાની વાત પણ જણાવશે.
આ બેઠકમાં જુના દિગ્જ્જો ઉપર સવાલો ઉઠાવાશે. તેઓને પક્ષના પ્રભાવવાળી ટોળીથી અલગ કરવાનું કામ પણ શરૂ થશે. ચૂંટણી વગર કોઇ કારોબારીમાં કોઇ સભ્ય નહિ થઇ શકે. પક્ષમાં કેટલાક જુના નેતાઓની છુટી પણ થઇ શકે છે. આજે કોંગ્રેસ ઉત્તરાખંડને બચાવવા અને મહારાષ્ટ્ર, હિમાચલ જેવા રાજયોમાં નેતૃત્વ પરિવર્તન ઉપર પણ ચર્ચા કરશે. પ્રિયંકાની ભુમિકાને લઇને ભવિષ્યની કાર્ય યોજના પણ તૈયાર થઇ શકે છે.












Click it and Unblock the Notifications
