ગણતંત્ર દિનના સમારંભમાં રાહુલને 4થી નહીં 6ઠ્ઠી હરોળમાં સ્થાન
ગણતંત્ર દિવસના દિલ્હી ખાતેના કાર્યક્રમમાં રાહુલ ગાંધીને 4થી અને પછી 6ઠ્ઠી હરોળમાં સ્થાનઆ મામલે કોંગ્રેસ નેતાઓએ ભાજપ અને મોદી સરકાર પર કર્યો હુમલોઆ અંગે વધુ વાંચો અહીં...
ગણતંત્ર દિવસ 2018ના સમારંભમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને મળેલ સ્થાન અંગે વિવાદ ઊભો થયો છે. આ મામલે એક નવી જાણકારી સામે આવી છે. કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલા અનુસાર, રાહુલ ગાંધીને ચોથી નહીં, પરંતુ છઠ્ઠી હરોળમાં બેસાડવામાં આવ્યા હતા. આ મામલે કોંગ્રેસ નેતાઓએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે. માઇક્રો બ્લોગિંગ સાઇટ ટ્વીટર પર શેર કરવામાં આવેલ કેટલીક તસવીરોમાં રાહુલ ગાંધી, ગુલામ નબી આઝાદ સાથે બેઠેલા જોવા મળે છે. કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ એક સોશ્યલ મીડિયા પોસ્ટમાં લખ્યું કે, મોદી સરકારની છીછરી રાજનીતિ જગ જાહેર! કોંગ્રેસ અધ્યક્ષ શ્રી રાહુલ ગાંધીને ગણતંત્ર દિવસના રાષ્ટ્રીય પર્વ પર અહંકારી શાસકોએ તમામ પરંપરાઓ બાજુએ મુકી ચોથી હરોળ અને પછી જાણી જોઇને છઠ્ઠી હરોળમાં બેસાડ્યા. આપણા માટે બંધારણનો ઉત્સવ જ સર્વપ્રથમ છે.

કોંગ્રેસે તીખી પ્રતિક્રિયા આપતાં કહ્યું કે, આ પ્રોટોકોલનું ઉલ્લંઘન છે. કોંગ્રેસ પાર્ટી અને તેમના અધ્યક્ષને નીચાજોણું થાય એ માટે આમ કરવામાં આવ્યું હતું. આ પહેલા નામ ગુપ્ત રાખવાની શરતે કોંગ્રેસના એક વરિષ્ઠ નેતાએ જણાવ્યું હતું કે, અમને ખબર પડી છે કે, કોંગ્રેસ અધ્યક્ષને ચોથી હરોળમાં સ્થાન આપવામાં આવ્યું છે, પહેલા તેમને પહેલી હરોળમાં સ્થાન આપવામાં આવતું હતું. આવું કરીને મોદી સરકાર સસ્તી રાજનીતિ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે, સોનિયા ગાંધીને પણ કોંગ્રેસ અધ્યક્ષા તરીકે હંમેશા પ્રથમ હરોળમાં સ્થાન આપવામાં આવતું હતું. કોંગ્રેસના સૂત્રોએ જણાવ્યું હતું કે, આઝાદી પછીથી પાર્ટી અધ્યક્ષને પહેલી હરોળમાં સ્થાન આપવામાં આવી રહ્યું છે. જો કે, સરકાર તરફથી આ મામલે કોઇ ટિપ્પણી કરવામાં આવી નથી. સુરક્ષા વિભાગના સૂત્રોએ જણાવ્યું કે, પ્રોટોકોલ હેઠળ રાજકીય દળોના નેતાઓનો નંબર અગ્રિમતા આપવાના ક્રમમાં નીચે આવે છે. વિપક્ષના નેતાઓ ઘણા પ્રતિષ્ઠિત વ્યક્તિઓની પાછળ બેસે છે. વર્તમાન સમયમાં સંખ્યાબળ ઓછું હોવાને કારણે લોકસભામાં વિપક્ષના કોઇ નેતા નથી.












Click it and Unblock the Notifications
