Jammu and Kashmir Assembly Election 2024: ભાજપે કર્યો પાકિસ્તાની એજન્ડાનો આરોપ, ફારુક અબ્દુલ્લાએ આપ્યો કરારો જ
Jammu and Kashmir Assembly Election 2024: આર્ટિકલ 370 હટાવ્યા બાદ જમ્મુ કાશ્મીરમાં પહેલી વાર વિધાનસભાની ચૂંટણી યોજાઈ રહી છે. જેમાં 18 સપ્ટેમ્બર પ્રથમ તબક્કામાં મતદાન સંપન્ન થયું છે.
જ્યારે બાકીની બેઠકો માટે બે તબક્કામાં 25 સપ્ટેમ્બર અને 1 ઓક્ટોબરના રોજ મતદાન યોજાશે. આ બે તબક્કામાં મતદાતાઓને રિઝવવા માટે તમામ રાજકીય પક્ષો પૂરજોશમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે.
ભાજપ અને કોંગ્રેસના નેતાઓ સતત રેલીઓ અને જનસભા યોજીને લોકોને પોતાની તરફેણમાં મતદાન કરવા અપીલ કરી રહ્યા છે. આ સાથે રાજકીય નેતાઓ આક્ષેપપ્રત્યાક્ષેપ પણ કરવામાં આવી રહ્યા છે.
આ વચ્ચે ભારતીય જનતા પાર્ટી દ્વારા નેશનલ કોન્ફરન્સના પ્રમુખ ફારુક અબ્દુલ્લા પર પાકિસ્તાની એજન્ડા ફેલાવવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે.
આ માટે નેશનલ કોન્ફરન્સના પ્રમુખ ફારુક અબ્દુલ્લાએ ભારતીય જનતા પાર્ટીની ટીકા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, ભાજપ વિપક્ષી પાર્ટીઓને પાકિસ્તાનના એજન્ટ ગણાવીને પોતાની ભૂલો પરથી જનતાનું ધ્યાન હટાવવાનો પ્રયાસ કરી રહી છે.

જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારુક અબ્દુલ્લાએ ચૂંટણી પંચને નિષ્પક્ષ ચૂંટણીઓ સુનિશ્ચિત કરવા વિનંતી કરી હતી. આ સાથે તેમણે એવો પણ આરોપ લગાવ્યો હતો કે, ભાજપ કાશ્મીરમાં અપક્ષ ઉમેદવારોને પણ સમર્થન આપી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ સહિતના ભાજપના નેતાઓએ આક્ષેપો કર્યો હતો કે, નેશનલ કોન્ફરન્સ, પીડીપી અને કોંગ્રેસ પાકિસ્તાનના એજન્ડાને અનુસરી રહ્યા છે.
ફારુક અબ્દુલ્લાએ દલીલ કરી હતી કે, ભાજપ પોતાની ખામીઓ પરથી ધ્યાન હટાવવા માટે પાકિસ્તાનનો મુદ્દો વારંવાર ઉઠાવે છે.
ફારુક અબ્દુલ્લાએ જણાવ્યું હતું કે, તેઓ સમયે સમયે પાકિસ્તાનનો મુદ્દો ઉઠાવે છે. તેઓ પોતે ભૂલ કરે છે, પરંતુ અમને પાકિસ્તાની કહે છે.
ફારુક અબ્દુલ્લાએ ભાજપના દાવાઓ પર સવાલ ઉઠાવ્યા હતા. આ સાથે તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, તેઓ અને તેમના સાથી ભારતીયો છે, અને વિદેશી પ્રભાવના આરોપોને નકારી કાઢ્યા છે.
જમ્મુમાં તાજેતરની આતંકવાદી ઘટનાઓનો ઉલ્લેખ કરતા ફારુક અબ્દુલ્લાએ સવાલ ઉઠાવ્યા હતા કે, શું ભાજપ હજુ પણ આવી ઘટનાઓ માટે કલમ 370 ને જવાબદાર માને છે.
ફારુક અબ્દુલ્લાએ જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટી સત્તામાં હોવા છતાં આતંકવાદી હુમલાઓની ઘટનાઓ ઘટી રહી છે, આના પુરાવા તરીકે રિયાસીમાં તાજેતરના એન્કાઉન્ટરને ટાંક્યું હતું.
અબ્દુલ્લાએ આરોપ લગાવ્યો હતો કે, ભાજપ સરકારે જમ્મુ અને કાશ્મીરને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં ફેરવી દીધું હતું. કારણ કે, તે મુસ્લિમ પ્રભુત્વ ધરાવતું છે.
જમ્મુ કાશ્મીર રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવાનો સંકલ્પ વ્યક્ત કરતાં ફારુક અબ્દુલ્લાએ જણાવ્યું હતું કે, ભાજપ JDU અને TDP જેવા પક્ષોના સમર્થન પર નિર્ભર છે.












Click it and Unblock the Notifications
