કોરોના કેસોમાં સતત ત્રીજા દિવસે વધારો, 24 કલાકમાં સામે આવ્યા 34403 નવા દર્દી, 320 લોકોના મોત
કોરોના વાયરસના કેસોમાં સતત ત્રીજા દિવસે વધારો થયો છે અને દેશભરમાં સંક્રમણના નવા કેસ 34 હજારની ઉપર નોંધવામાં આવ્યા છે.
નવી દિલ્લીઃ કોરોના વાયરસના કેસોમાં સતત ત્રીજા દિવસે વધારો થયો છે અને દેશભરમાં સંક્રમણના નવા કેસ 34 હજારની ઉપર નોંધવામાં આવ્યા છે. શુક્રવારે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય તેમજ પરિવાર કલ્યાણ મંત્રાલયે આંકડા જાહેર કરીને જણાવ્યુ કે છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસથી સંક્રમિત 34403 નવા દર્દી મળ્યા છે જ્યારે 37950 દર્દી રિકવર થયા છે. દૈનિક કેસોના મુકાબલે રિકવર થનાર દર્દીઓની સંખ્યા વધવાથી દેશમાં કોરોના વાયરસના સક્રિય કેસ ઘટીને હવે 3,39,056 જ બચ્યા છે. વળી, અત્યાર સુધી કુલ 3,25,98,424 દર્દી રિકવર થઈ ચૂક્યા છે.

કોરોના વાયરસના કેસોમાં સતત ત્રીજા દિવસે થયેલા વધારાએ મહામા્રીની ત્રીજી લહેરની સંભાવનાને વધારી દીધી છે. આરોગ્ય મંત્રાલયે જણાવ્યુ કે છેલ્લા 24 કલાકની અંદર કોરોના વાયરસના કારણે 320 લોકોએ જીવ ગુમાવ્યા છે અને મૃતકોનો આંકડો વધીને 4,44,248 થઈ ગયો છે. વળી, નવા દર્દી મળ્યા બાદ કોરોના કેસોની કુલ સંખ્યા 3,33,81,728 સુધી પહોંચી ગઈ છે. જો કે, કોરોના વાયરસ સામે દેશમાં રસીકરણ અભિયાન ઝડપથી ચાલી રહ્યુ છે અને અત્યાર સુધી વેક્સીનનો કુલ 77,24,25,744 ડોઝ આપવામાં આવી ચૂક્યો છે.
કોરોનાના કુલ કેસોમાંથી 68 ટકા દર્દી માત્ર કેરળના
આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ દક્ષિણ ભારતીય રાજ્ય કેરળમાં કોરોના વાયરસની સ્થિતિ હજુ પણ ચિંતાજનક છે અને કુલ કેસોમાંથી 22,182 કેસ એકલા કેરળમાં નોંધવામાં આવ્યા છે. આ ઉપરાંત એક દિવસમાં કેરળમાં કોરોના વાયરસના કારણે 178 લોકોના જીવ ગયા છે. આ પહેલા ગુરુવારે આરોગ્ય મંત્રાલયે પ્રેસ કૉન્ફરન્સ કરીને જણાવ્યુ કે દેશમાં કોરોના વાયરસ સંક્રમણના કુલ કેસોમાંથી 68 ટકા દર્દી માત્ર કેરળના જ છે. કેરળમાં હાલમાં કોરોના વાયરસના 1.99 લાખથી વધુ સક્રિય કેસ છે જ્યારે પાંચ અન્ય રાજ્યો - મિઝોરમ, આંધ્ર પ્રદેશ, કર્ણાટક, તમિલનાડુ અને મહારાષ્ટ્રમાં 10 હજારથી વધુ સક્રિય કેસ છે.












Click it and Unblock the Notifications
