23 જૂને પટનામાં વિપક્ષોની મહત્વની બેઠક, રાહુલ ગાંધી પણ હાજર રહેશે
દેશમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્ર સરકારની વધી રહેલી લોકશાહી વિરોધી પ્રવૃતિઓથી વિપક્ષ ખફા છે. આ ક્રમમાં સતત વિપક્ષને એક કરવાના પ્રયાસ કરાઈ રહ્યા છે. હવે 23 જૂને પટનામાં મહત્વની બેઠક યોજાવા જઈ રહી છે.
પહેલા પટનામાં 12 જૂનના રોજ યોજાનારી આ બેઠકને હવે 23 જૂને નક્કી કરાઈ છે. વિપક્ષી એકતા માટે મહત્વની મનાતી આ બેઠક 23 જૂને યોજાશે. આ બેઠકમાં પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ હાજરી આપશે.

જેડીયુના વડા લલન સિંહે આ મુદ્દે માહિતી આપતા કહ્યું કે, વિપક્ષની બેઠક 23 જૂને પટનામાં યોજાશે. આના પર તમામ વિપક્ષી પાર્ટીઓ સહમત છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને પાર્ટીના નેતા રાહુલ ગાંધી, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી, અખિલેશ યાદવ, ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન પણ બેઠકમાં ભાગ લેશે.
આ બેઠકમાં ઉદ્ધવ ઠાકરે, એનસીપી ચીફ શરદ પવાર, તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિન, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, સીપીઆઈના મહાસચિવ ડી રાજા, સીતારામ યેચુરી અને દિપાંકર ભટ્ટાચાર્ય પણ હાજરી આપશે.
આ બેઠક અંગે બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવે જણાવ્યુ કે, 23 જૂને પટનામાં વિપક્ષી પાર્ટીઓની એક મોટી બેઠક યોજાવા જઈ રહી છે. દેશમાં પ્રવર્તી રહેલી સ્થિતિને જોતા પટનામાં એક મહત્વપૂર્ણ બેઠક યોજાવા જઈ રહી છે. આ બેઠક બાદ સકારાત્મક પરિણામ આવશે.
આ પહેલા બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે કહ્યું કે, 12 જૂનની બેઠક સ્થગિત કરવી પડી છે, કારણ કે કોંગ્રેસ અને અન્ય પાર્ટીએ માટે આ તારીખ અસુવિધાજનક છે. મેં બેઠક સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે અને કોંગ્રેસ અને અન્ય પક્ષોને કહ્યું છે કે સાથે પરામર્શ કર્યા બાદ નવી તારીખ જાહેર કરીશું.
અહીં તમને જણાવી દઈએ કે, પટનામાં વિપક્ષી દળોની બેઠકનો વિચાર સૌથી પહેલા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ એપ્રિલમાં નીતિશ કુમાર સાથે સંયુક્ત રીતે સંબોધિત પ્રેસ કોન્ફરન્સમાં રજૂ કર્યો હતો.












Click it and Unblock the Notifications
