ઉદ્યોગમંત્રી ITI કુબેરનગરના નવનિર્મિત બહુમાળી મકાન અને સેન્ટર ઓફ એકસલન્સનું લોકાર્પણ કરશે
17 જુલાઈએ અમદાવાદના કુબેરનગર ખાતે તૈયાર થયેલા આઈટીઆઈના સુવિધાસભર નવનિર્મિત બહુમાળી મકાનનું લોકાર્પણ કરાશે. રાજયકક્ષાના મંત્રી કુંવરજી હળપતિની પણ વિશેષ ઉપસ્થિતમાં ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપૂત લોકાર્પણ કરશે.
કુબેરનગર આઈટીઆઈ સાથે સાથે સેન્ટર ઓફ એક્સલન્સ (CoE)નું પણ લોકાર્પણ કરવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા 28.46 કરોડના ખર્ચે અદ્યતન સુવિધાસભર પાંચ માળની મેગા આઈટીઆઈનું નિર્માણ કરાયું છે.

આ આઈટીઆઈમાં 45 વર્કશોપ, 35 થિયરી રૂમ અને 14 અન્ય રૂમો બનાવવામાં આવ્યા છે. જેમાં પ્લેસમેન્ટ કાઉન્સેલિંગ રૂમ, આઈટી લેબ, કોન્ફરન્સ હોલ, કેન્ટીન, સ્ટાફ રૂમ, વહીવટી રૂમ સહિતની સુવિધાઓ હશે.
જણાવી દઈએ કે, ઔધોગિક તાલીમ સંસ્થા કુબેરનગર 55 વર્ષ જૂની સંસ્થા છે. અહીં 4600થી વધારે બેઠકો સાથે તાલીમાર્થીઓ માટેની સુવિધા છે.
આઈ.ટી.આઈ, કુબેરનગર ખાતે પિડિલાઇટ ઈન્ડસ્ટ્રી દ્વારા કૌશલ્યા - ધ સ્કિલ યુનિવર્સિટીના સહયોગથી પિડિલાઇટ વુડવર્કિંગ એન્ડ પ્લમ્બિંગ સેન્ટર ફોર એડવાન્સ સ્કિલ્સ (પીડબલ્યુપી) સેન્ટર કાર્યરત કરવામાં આવશે. જ્યાં ડિપ્લોમા અને ડિગ્રી કોર્સ, શોર્ટ ટર્મ સર્ટિફિકેટ કોર્સ ચલાવાશે.
આ ઉપરાંત નોકિયા દ્વારા ટેલિકોમ સેક્ટર સ્કિલ કાઉન્સિલ મારફત સેન્ટર ઓફ એક્સેલન્સ બનાવવામાં આવ્યું છે. જેમાં 5G, ઈન્ટરનેટ ઓફ થિંગ્સ, ડ્રોન, સિક્યોરિટી અને સર્વેલન્સ, હેન્ડસેટ રિપેર અને લાઇન એસેમ્બલી જેવી ઉભરતી અને ભવિષ્યની ટેકનોલોજીને ધ્યાને રાખી કોર્સ શરૂ કરવામાં આવશે. જેથી કરીને ભવિષ્યમાં યુવાનો માટે રોજગારી મેળવવા આ પ્રકારના કોર્સ મદદરૂપ થઇ શકે.












Click it and Unblock the Notifications
