સોનિયાએ રાજકોટના ઐતિહાસિક સ્થળોની મુલાકાત લીધી

સોનિયા ગાંધીની આ મુલાકાતને ગુજરાતમાં કોંગ્રેસના ચૂંટણી પ્રચારના બ્યૂગલ સ્વરૂપે જોવામાં આવી રહી છે. આજની સભામાં સોનિયા ગાંધી અત્યાર સુધી નરેન્દ્ર મોદીએ લગાવેલા આક્ષેપોનો કડકડતો જવાબ આપે એવી અપેક્ષા પણ રાખવામાં આવી રહી છે. બીજી તરફ આરટીઆઇ કાર્યકર્તાઓએ મોદીને પણ તેમના વિદેશ પ્રવાસ ખર્ચનાં આંકડા જાહેર કરવા જણાવ્યું છે. આથી કોંગ્રેસ આ મુદ્દે મોદીને ઘેરે એવી શક્યતા દર્શાવવામાં આવી રહી છે.
રાજકોટમાં લગભગ 10 વર્ષ બાદ આવી રહેલા સોનિયા ગાંધીની આ સભામાં ભાગ લેવા માટે અનેક ખેડૂતો, સામાજિક કાર્યકરો અને રાજકીય અગ્રણીઓ મંગળવારે સાંજથી જ રાજકોટ પહોંચ્યા હતા. આ સભામાં સોનિયા ગાંધી ખેડૂતો માટે વિશેષ જાહેરાત કરશે એમ માનવામાં આવી રહ્યું છે.
ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અર્જુન મોઢવાડિયાના જણાવ્યા અનુસાર 'સોનિયા ગાંધી વર્ષો બાદ રાજકોટ આવી રહ્યા છે. તેમને સાંભળવા માટે લગભગ દોઢ લાખ લોકો આવ્યા છે.' આ સભા માટે
કોંગ્રેસના સૌરાષ્ટ્રના અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા છે. જનમેદનીને નિયંત્રણમાં રાખવા માટે ખાસ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
આ પ્રસંગે કોંગ્રેસ અને યુપીએના અગ્રણી નેતાઓ અર્જુન મોઢવાડિયા, શક્તિસિંહ ગોહિલ, અહેમદ પટેલ, નરેશ રાવલ, ગુજરાતના પ્રભારી મોહન પ્રકાશ, મધુસૂદન મિસ્ત્રી, રાજકોટ સૌરાષ્ટ્રના આગેવાનો આવી પહોંચ્યા છે.
ભાજપના અગ્રણી નેતા બલબીર પૂંજે સોનિયા ગાંધીની રાજકોટ મુલાકાત અંગે જણાવ્યું હતું કે 'ગુજરાતમાં જેવો વિકાસ થયો છે તેવો વિકાસ ભાગ્યે જ દેશના કોઇ રાજ્યમાં જોવા મળ્યો છે. ગુજરાતની જનતા નરેન્દ્ર મોદી સાથે છે. સોનિયા ગાંધીએ તેમની પાછલી મુલાકાતમાં નરેન્દ્ર મોદીને મોતના સોદાગર કહ્યા હતા, તેની અસર કોંગ્રેસ પાર્ટીએ જોઇ હતી. આ વખતે પણ સોનીયા બોલવામાં ધ્યાન રાખશે.'












Click it and Unblock the Notifications
