PMJAY યોજનામાં નિયમોનું પાલન ન કરનારી 4 હોસ્પિટલો સામે કાર્યવાહી
ગાંધીનગરમાં PMJAY યોજનાના નિયમોનો ભંગ કરનારી હોસ્પિટલો સામે આરોગ્ય વિભાગે કડક કાર્યવાહી કરી છે. ચાર ખાનગી હોસ્પિટલોમાંથી બેને સસ્પેન્ડ કરવામાં આવી છે, જ્યારે અન્ય બેને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે.
ગોધરાની દીપ ચિલ્ડ્રન હોસ્પિટલ અને નીઓનેટલ કેરને સસ્પેન્ડ કરવામાં આવી છે. આ હોસ્પિટલમાં PICU અને NICU માટેના જરૂરી માપદંડોનું પાલન થતું નહોતું, એક્સપાયર્ડ દવાઓ મળી આવી હતી અને MBBS ડોક્ટર પણ હાજર નહોતા. આ ઉપરાંત દર્દીઓને યોજનાકીય માહિતી આપતું કિઓસ્ક પણ સ્થાપિત નહોતું અને ઇન્ફેક્શન કંટ્રોલ માર્ગદર્શિકાનું પાલન થતું નહોતું.

ભરૂચની કાશીમા હોસ્પિટલને પણ સસ્પેન્ડ કરવામાં આવી છે. અહીં પણ PICU અને NICU ના માપદંડ પૂરા થતા નહોતા, ઇન્ફેક્શન કંટ્રોલ માર્ગદર્શિકાનું પાલન નહોતું અને યોજનાકીય માહિતી કિઓસ્ક પણ ગેરહાજર હતું. વધુમાં નર્સિંગ સ્ટાફ ક્વોલિફાઇડ નહોતો, બપોરના ૧૨ વાગ્યા સુધી તબીબી અધિકારી હાજર નહોતા અને BU પરમીશન તેમજ ફાયર NOC ઉપલબ્ધ નહોતા.
કાલોલની મા ચિલ્ડ્રન અને જનરલ હોસ્પિટલને કારણદર્શક નોટિસ આપવામાં આવી છે. આ હોસ્પિટલમાં દર્દીઓને યોજનાકીય માહિતી આપતું કિઓસ્ક સ્થાપિત નહોતું.
દેવગઢ બારિયાની મા ચિલ્ડ્રન અને નીઓનેટલ કેર હોસ્પિટલને પણ કારણદર્શક નોટિસ મળી છે. અહીં NICU માં એક્સપાયર્ડ દવાઓ મળી હતી, હોસ્પિટલ દ્વારા CCTV ફૂટેજ આપવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો, અને યોજનાકીય માહિતી કિઓસ્ક પણ ઉપલબ્ધ નહોતું.
આરોગ્ય પ્રધાન પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યું કે નિયમોની અવગણના કરનાર અને દર્દીઓના જીવ સાથે ચેડા કરનાર કોઈપણ હોસ્પિટલ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે, પછી ભલે તે કોઈપણ પક્ષ સાથે સંકળાયેલ હોય.
મંત્રીશ્રીએ સ્પષ્ટતા કરી કે આ કાર્યવાહી એક ઉદાહરણ પૂરું પાડે છે કે જો ભવિષ્યમાં પણ આવી ગેરરીતિઓ કે દર્દીઓને હેરાનગતિ થશે તો સખત પગલાં લેવામાં આવશે. તેમણે ભારપૂર્વક કહ્યું કે, ભવિષ્યમાં પણ જો કોઈ હોસ્પિટલ માનવ સેવા જેવી પવિત્ર જવાબદારીને અવગણીને ગેરરીતિ કે માનવતા વિરોધી વર્તન કરશે, તો રાજ્ય સરકાર દ્વારા વધુ કડક પગલાં લેવામાં આવશે.












Click it and Unblock the Notifications
