5 રૂપિયામાં મળશે પૌષ્ટિક ભોજન, જાણો શું છે શ્રમિક અન્નપૂર્ણા યોજના?
what is Shramik Annapurna Yojana: કોઇપણ રાજ્યની સરકાર શ્રમયોગી કે મજૂર પરિવારોને એકદમ નજીવા દરે પૌષ્ટિક ભોજન તૈયાર કરીને આપે એનાથી રૂડું બીજું શું હોઈ શકે?
રાજ્યના શ્રમિક પરિવારોની ક્ષુધા સંતોષવા માટે ગુજરાત સરકારે 'શ્રમિક અન્નપૂર્ણા યોજના' શરુ કરીને એક નવી કેડી કંડારી છે.
રાજ્યના મકાન અને અન્ય બાંધકામ શ્રમિકોને પૌષ્ટિક, સાત્વિક અને સ્વાદિષ્ટ ભોજન મળી રહે, ઉપરાંત તેમનું આર્થિક ભારણ પણ ઘટે તે માટે આ યોજના હેઠળ રાજ્ય સરકાર દ્વારા માત્ર 5 રૂપિયાના રાહત દરે તેમને ભરપેટ ભોજન આપવામાં આવે છે. રાજ્યમાં અત્યારે 19 જિલ્લાના કુલ 290 કડિયાનાકાઓ ખાતે આ ભોજન વિતરણ કેન્દ્રો કાર્યરત છે.
શ્રમ અને રોજગાર મંત્રી બલવંતસિંહ રાજપૂતે આ સંદર્ભે જણાવ્યું હતું કે, ગુજરાતના દરેક શ્રમયોગીને રાહત દરે પૌષ્ટિક ભોજન પૂરું પાડવું એ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની સરકારનો મુખ્ય ધ્યેય છે.
માત્ર એપ્રિલ 2024થી અત્યાર સુધીમાં જ હજારો શ્રમિક પરિવારોને રૂપિયા 5/-માં કુલ 75.70 લાખથી વધુ ભોજનનું વિતરણ કરવામાં આવ્યું છે.
રાજ્યના વધુમાં વધુ બાંધકામ શ્રમિકો સુધી શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો લાભ પહોંચાડવા માટે આગામી સમયમાં નવા 100 કડીયાનાકા ખાતે ભોજન વિતરણ કેન્દ્રો શરૂ કરવાનું રાજ્ય સરકારનું આયોજન છે. શ્રમિક પરિવારોને માત્ર રૂપિયા 5/-ના નજીવા દરે ભોજન પૂરું પાડવા માટે પ્રતિ ભોજન રાજ્ય સરકાર તરફથી રૂપિયા 37/- સબસીડી ચૂકવવામાં આવે છે.
શ્રમિક અન્નપૂર્ણા યોજનાની જરૂરિયાત કેમ? - ગ્રામ્ય વિસ્તારોમાંથી રોજગારીની શોધમાં અનેક શ્રમજીવી પરિવારો શહેરોમાં આવીને વસવાટ કરે છે. બાંધકામ સ્થળો ખાતે રોજગારી મેળવવા તેઓ રોજ સવારે કડીયાનાકા પર એકત્રિત થાય છે, જેથી તેમણે વહેલી સવારે રસોઈ કરવી પડે છે.

કેટલાક તો સવારે માત્ર નાસ્તો કરીને જ આખો દિવસ કામ કરતા હોય છે, પરિણામે આ પરિવારો પોષણયુક્ત આહારથી વંચિત રહે છે.
સવારે કડીયાનાકા પરથી જ શ્રમયોગીઓને રાહત દરે પૌષ્ટિક અને સાત્વિક આહાર આપવામાં આવે તો તેઓ તંદુરસ્ત રહીને વધુ કામ કરી શકે છે. આવા શુભ આશય સાથે જ ગુજરાતમાં વર્ષ 2017માં 'શ્રમિક અન્નપૂર્ણા યોજના' શરુ કરવામાં આવી હતી.
શ્રમિક પરિવારોમાં દૈનિક 32 હજાર ભોજનનું વિતરણ - શ્રમિક અન્નપૂર્ણા યોજના શરુ થઇ ત્યારથી લઇ વર્ષ 2020 સુધીમાં કુલ 1.15 કરોડથી વધુ પ્લેટ ભોજન વિતરણ કરવામાં આવ્યું હતું, પરંતુ કોરોના મહામારીના કારણે આ યોજનાને સ્થગિત કરવામાં આવી હતી.
રાજ્યના શ્રમયોગીઓના હિતાર્થે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે વર્ષ 2022માં આ યોજના ફરી એકવાર કાર્યરત કરવામાં આવી હતી.
હાલમાં રાજ્યના વિવિધ કડીયાનાકાઓ ખાતેથી શ્રમિક પરિવારોને રોજના સરેરાશ 32 હજારથી વધુ ભોજનનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. આ યોજના શરુ થઇ ત્યારથી આજ સુધીમાં રૂપિયા 150 કરોડથી વધુના ખર્ચે કુલ 2.93 કરોડથી વધુ ભોજનનું વિતરણ કરાયું છે.
કયા જિલ્લામાં કેટલા ભોજન વિતરણ કેન્દ્રો કાર્યરત? - રાજ્યમાં હાલ અમદાવાદ જિલ્લામાં 98, ગાંધીનગર જિલ્લામાં 12, વડોદરા જિલ્લામાં 21, સુરત જિલ્લામાં 40, રાજકોટ જિલ્લામાં 14, વલસાડ જિલ્લામાં 10, મહેસાણા જિલ્લામાં 13, નવસારી જિલ્લામાં 9, પાટણ જિલ્લામાં 15, ભાવનગર જિલ્લામાં 6, આણંદ જિલ્લામાં 6, બનાસકાંઠા જિલ્લામાં 8, ભરૂચ જિલ્લામાં 7, દાહોદ જિલ્લામાં 5, જામનગર જિલ્લામાં 11, ખેડા જિલ્લામાં 4, મોરબી જિલ્લામાં 6, પંચમહાલ જિલ્લામાં 1 અને સાબરકાંઠા જિલ્લામાં 4 ભોજન વિતરણ કેન્દ્રો કાર્યરત છે.
રાજ્યના 19 જિલ્લામાં કુલ 290 કડીયાનાકાઓ ખાતે ભોજન વિતરણ કેન્દ્રો કાર્યરત છે. આ ઉપરાંત જે બાંધકામ સ્થળ ખાતે 50 થી વધુ શ્રમિકો હોય તેવી બાંધકામ સાઈટ પર જઈને સ્થળ ઉપર પણ ભોજન વિતરણ કરવામાં આવે છે.
ભોજન અને તેનું પ્રમાણ - શ્રમિક અન્નપૂર્ણા યોજના અંતર્ગત માત્ર રૂપિયા 5/-માં શ્રમિક પરિવારને રોટલી, શાક, કઠોળ, ભાત, અથાણું, મરચા અને ગોળ સહિતનું સ્વાદિષ્ટ પૌષ્ટિક ભોજન આપવામાં આવે છે.
વધુમાં, સપ્તાહમાં એક વાર સુખડી કે શીરા જેવા મિષ્ઠાનનો પણ સમાવેશ કરવામાં આવે છે. એક ભોજનમાં શ્રમિકના જરૂરિયાત મુજબ અંદાજે 625 ગ્રામ અને 1525 કેલેરી જેટલું ભોજન પીરસવામાં આવે છે, જેથી તેઓ તંદુરસ્ત રહી શકે.
ઈ-નિર્માણ કાર્ડથી શ્રમિકો મેળવે છે ભોજન - શ્રમિક અન્નપૂર્ણાના તમામ કેન્દ્રો ઉપર ઈ-નિર્માણ કાર્ડની મદદથી શ્રમિકો ભોજન મેળવે છે. કાર્ડનો ક્યુઆર (QR) કોડ સ્કેન કરાવીને ટિફિનમાં કે સ્થળ પર જ એક સમયનું ભોજન શ્રમિકો મેળવી શકે છે.
જે લાભાર્થીઓ પાસે ઈ-નિર્માણ કાર્ડ ન હોય તેમના માટે બૂથ પર જ બાંધકામ શ્રમિકોની હંગામી ધોરણે નોંધણી થાય છે અને 15 દિવસ સુધી તેઓ ભોજન મેળવી શકે છે.
ગુજરાત અત્યારે દરેક ક્ષેત્રે પૂરવેગ સાથે અગ્રીમ હરોળ તરફ આગળ વધી રહેલું રાજ્ય છે. રાજ્યના શ્રમયોગી પરિવારોના આર્થિક, સામાજિક અને શૈક્ષણિક ઉત્કર્ષ માટે શ્રમેવ જયતેના મંત્ર સાથે રાજ્ય સરકારે વિશેષ આયોજન કર્યું છે.
શ્રમિકો માટેની મહત્વકાંક્ષી 'શ્રમિક અન્નપૂર્ણા યોજના'થી આજે રાજ્યના અનેક શ્રમિક પરિવારોને ખાસ કરીને મહિલા શ્રમિકોને ઘણી રાહત મળી છે.
"શ્રમેવ જયતે"ના મંત્ર સાથે આગળ વધી રહેલું ગુજરાત...
— Gujarat Information (@InfoGujarat) December 10, 2024
માત્ર 5 રૂપિયામાં શ્રમિકો અને તેમના પરિવારજનોને સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ભરપેટ ભોજન આપી તેમની ક્ષુધા સંતોષતી "શ્રમિક અન્નપૂર્ણા યોજના" હેઠળ આગામી સમયમાં વધુ 100 ભોજન વિતરણ કેન્દ્રો શરૂ કરવામાં આવશે...#ShramikAnnapurnaYojana pic.twitter.com/XCU1MlUICJ
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
