"ચાવાળો જ બેરોજગારને ભજીયા વેચવાની સલાહ આપી શકે"
થોડા સમય પહેલાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક વ્યક્તિગત સમાચાર ચેનલને ઇન્ટરવ્યુ આપ્યો હતો, જેમાં તેમણે કહેલ વાતોની ચર્ચા ચારે બાજુ થઇ રહી છે.
થોડા સમય પહેલાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક વ્યક્તિગત સમાચાર ચેનલને ઇન્ટરવ્યુ આપ્યો હતો, જેમાં તેમણે કહેલ વાતોની ચર્ચા ચારે બાજુ થઇ રહી છે. આ ઇન્ટરવ્યુમાં તેમણે ભજીયાની લારી લગાવી રોજગાર રળવાની વાત કરી હતી, જે પછી તેઓ વિપક્ષી પાર્ટીઓના નિશાના પર આવી ગયા હતા. આ મામલે પાટીદાર નેતા હાર્દિક પટેલે પણ પીએમ મોદી પર નિશાન સાધતાં ટ્વીટ કર્યું હતું.

'અર્થશાસ્ત્રી આવું સૂચન ન આપે'
પાટીદાર અનામત આંદોલન સમિતિ(પાસ)ના કન્વીનર હાર્દિક પટેલ પીએમ મોદી પર નિશાન સાધવાની એક પણ તક જતી નથી કરતા. પીએમ મોદીની ભજીયાની લારી લગાવી રોજગાર રળવાની વાત પર કટાક્ષ કરતાં હાર્દિક પટેલે સોમવારે એક ટ્વીટ કરી લખ્યું હતું કે, બેરોજગાર યુવાઓને ભજીયાની લારી લગાવવાનું સૂચન એક ચાવાળો જ આપી શકે, અર્થશાસ્ત્રી આવું સૂચન ક્યારેય ન આપત. હાર્દિક પટેલે એક રીતે આ ટ્વીટ કરી પીએમ મોદી અને પૂર્વ પીએમ મનમોહન સિંહની સરખામણી કરી છે.

શું કહ્યું હતું PM મોદીએ?
પીએમ મોદીએ કહ્યું હતું કે, જો કોઇ વ્યક્તિ ભજીયા વેચે અને સાંજે 200 રૂપિયા કમાઇ પાછો ફરે તો એને રોજગાર કહેવાય કે ના કહેવાય? તેમના આ નિવેદન પર પાટીદાર નેતા હાર્દિક પટેલે કટાક્ષ કર્યો છે છે. તેમના આ નિવેદન બાદ ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે પણ ટ્વીટ કરી કહ્યું હતું કે, આ બેરોજગાર યુવકોની મજાક ઉડાવેલી કહેવાય.

'BJPની મરજી મુજબ ચાલે છે દેશ'
એ પછી હાર્દિક પટેલે મંગળવારે ભાજપ સરકાર પર ફરી એકવાર નિશાન સાધ્યું હતું. હાર્દિકે ટ્વીટ કરતાં લખ્યું હતું કે, મુઝફ્ફરનગર રમખાણના આરોપી ભાજપ નેતાઓના કેસ ઉત્તર પ્રદેશ સરકાર પરત લઇ શકે છે. સરકાર ચાલે છે કે મજાક થઇ રહી છે. સવારને ગુંડો સાંજે ભાજપમાં જોડાઇ જાય તો એને ગુંડો ન કહેવાય, આ સાચું સાબિત થઇ ગયું છે. દેશ બંધારણ અનુસાર નથી ચાલી રહ્યો, દેશ ભાજપ નેતાઓની મરજી મુજબ ચાલી રહ્યો છે.

પ્રવીણ તોગડીયા મામલે કર્યો કટાક્ષ?
આ સાથે જ તેમણે ગુજરાતની રૂપાણી સરકાર પર પણ હુમલો કરતાં ટ્વીટ કર્યું હતું. તેમણે લખ્યું હતું કે, ભાજપના સમયમાં ઘણા કાયદા એવા હોય છે, જે અંગે જાણવું બધા માટે ખૂબ જરૂરી હોય છે. જેમ કે આપણા અધિકારો શું છે, બંધારણ શું છે અને કયા કયા કાયદાઓ સામાન્ય નાગરિકના હિતમાં છે. ભાજપના રાજમાં ક્યારે ખોટો કેસ લાગી જાય, ક્યારે સાચો કેસ પાછો ખેંચાય જાય એ ચોંકાવનારું છે. આ ટ્વીટ દ્વારા તેમણે યુપીના કેસ ઉપરાંત વીએચપીના પ્રવીણ તોગડીયાના મામલે પણ ભાજપ પર કટાક્ષ કર્યો છે.












Click it and Unblock the Notifications
