Gujarat Weather: ગુજરાતના 14 શહેરમાં 40 ડિગ્રી, અમરેલીમાં 44ને પાર, કચ્છમાં યલો એલર્ટ
Gujarat Weather: ગુજરાતમાં ભીષણ ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે. ગરમીનુ પ્રમાણ વધતા હવામાન વિભાગ દ્વારા ઘણા શહેરોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે.
રાજ્યમાં તાપમાનનો પારો 44 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. રાજ્યમાં સૌથી વધુ 44 ડિગ્રી તાપમાન અમરેલીમાં નોંધવામાં આવ્યુ છે. રાજ્યના 14 શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર નોંધાયુ છે. પાંચ શહેરોનુ તાપમાન 43 ડિગ્રીને પાર થઈ ગયુ છે.

ગુજરાતમાં હાલમાં પડેલા કમોસમી વરસાદને પગલે ગરમીથી થોડી રાહત મળ્યા બાદ હવે ફરીથી કાળઝાળ ગરમી શરુ થઈ ગઈ છે. હવામાન વિભાગની આગાહી મુજબ સૌરાષ્ટ્રમાં આગામી ત્રણ દિવસ ગરમીનો પારો ઉંચકાશે.
રાજ્યના અલગ-અલગ શહેરોમાં મહત્તમ તાપમાનની વાત કરીએ તો અમરેલીમાં 44 ડિગ્રી, અમદાવાદમાં 42.2 ડિગ્રી, રાજકોટમાં 43.8 ડિગ્રી, વડોદરામાં 43.6 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 43.4 ડિગ્રી,, ભૂજમાં 41.6 ડિગ્રી, સુરતમાં 42.1 ડિગ્રી, ગાંધીનગરમાં 40.4 ડિગ્રી, વલ્લભ વિદ્યાનગરમાં 41.5 ડિગ્રી તાપમાન નોંધવામાં આવ્યુ હતુ.
રાજ્યમાં આગ ઝરતી ગરમીના પગલે હવામાન વિભાગે સૌરાષ્ટ્રમાં પોરબંદર, જૂનાગઢ અને ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ આપ્યુ છે. વળી, કચ્છમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. સમગ્ર રાજ્યમાં હાલમાં હિટવેવની સ્થિતિ છે. હવામાન વિભાગ દ્વારા કચ્છમાં તેમજ સૌરાષ્ટ્રના 3 જિલ્લાઓ ભાવનગર, જૂનાગઢ અને પોરબંદરમાં હિટવેવની આગાહી કરી છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ 27 એપ્રિલથી ગરમી ખૂબ જ વધશે અને ફરીથી પારો 43ને પાર જશે. જો કે 10થી 12 મે દરમિયાન પ્રી-મોન્સુન એક્ટિવિટીની સંભાવના છે. આ વર્ષે ગુજરાતમાં સામાન્ય કરતા વધુ વરસાદ નોંધાવાની સંભાવના છે.
ગરમીના પ્રકોપ દરમિયાન મનપા આરોગ્ય વિભાગ દ્વારા હિટવેવથી બચવા માટે સૂચનો જાહેર કરવામાં આવ્યા છે. જેમાં લોકોને કામ સિવાય તડકામાં ઘરની બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી છે. કાળઝાળ ગરમીમાં શરીરમાં પ્રવાહીનુ પ્રમાણ જળવાઈ રહે તેવુ ભોજન લેવુ જોઈએ. તરબૂચ, કાકડી જેવા ફળો, છાશ, પાણી, નાળિયેર પાણી, લીંબુનુ શરબત વગેરેનુ સેવન કરવુ હિતાવહ છે.












Click it and Unblock the Notifications
