ગૌરવ પુરસ્કાર માટે ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી દ્વારા કલાકારોના નામોની ભલામણો મંગાવાઈ
ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્તકની ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી દ્વારા રાજ્યના ચિત્રકલા, શિલ્પકલા અને છબીકલા ક્ષેત્રે વિશિષ્ટ અને ગણનાપાત્ર સેવાઓ પ્રદાન કરનાર અને ગુજરાતમાં સ્થાયી થયેલા હોય તેવા કલાકારોને ગૌરવ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવે છે. જેમાં તેઓને રૂ.૫૧,૦૦૦ ના રોકડ પુરસ્કાર ઉપરાંત શાલ અને તામ્રપત્રથી સન્માનિત કરવામાં આવે છે.

વર્ષ ૨૦૨૦-૨૧, ૨૦૨૧-૨૨ તેમજ વર્ષ ૨૦૨૨-૨૩ના સમયગાળાના ગૌરવ પુરસ્કાર માટે કલાકારોની પસંદગી કરવામાં આવનાર છે. આ માટે સન્માન મેળવવાપાત્ર, નામાંકિત અને સર્વમાન્ય કલાકારોની ભલામણો મંગાવવામાં આવી છે, તેમ ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમીના સચિવશ્રીની યાદીમાં જણાવાયું છે.
વધુમાં જણાવ્યાનુસાર ગૌરવ પુરસ્કાર માટે કલાકારોની ભલામણ લલિતકલા અકાદમીના ગૌરવ પુરુસ્કૃત કલાકારો, લલિતકલા અકાદમીના ભૂતપૂર્વ અધ્યક્ષશ્રીઓ, સાંસદ સભ્યશ્રીઓ, ધારસભ્યઓ, યુનીવર્સીટીના કુલપતિઓ તેમજ કલાકાર જાતે પણ અરજી કરી શકશે.
અરજીમાં કલાકારનું નામ, સરનામું, જન્મ તારીખ, મોબાઈલ નંબર, ઇ-મેઈલ આઇડી, પુરસ્કારનું ક્ષેત્ર, કલાના ક્ષેત્રમાં કરેલી પ્રમુખ પ્રદાનની વિગતો તેમજ આ બધાને સમર્થન આપતી તમામ વિગતો સાથે આધારકાર્ડ/ચૂંટણીકાર્ડની ઝેરોક્ષ નકલને સાદા કોરા કાગળ ઉપર રજીસ્ટર પોસ્ટ એ.ડી.થી અથવા હાથો-હાથ મળે તે રીતે મોકલવાની રહેશે.
આ અરજી આગામી ૧૦-૭-૨૦૨૩ સુધીમાં સચિવશ્રી, ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી, રવિશંકર રાવળ ભવન, ભાઈકાકા હોલની સામે, એલિસબ્રિજ, અમદાવાદ-૩૮૦૦૦૬ ને મોકલી આપવાની રહેશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ દરખાસ્ત કરી હોય તેવા કલાકારો માટે પણ આ જાહેરાતના આધારે નવેસરથી ભલામણ કે અરજી કરી શકાશે. ગૌરવ પુરસ્કાર માટે કલાકારની પસંદગી અંગે સક્ષમ સમિતિનો નિર્ણય આખરી ગણાશે તેમજ મળેલ ભલામણો પરત કરવામાં આવશે નહીં.












Click it and Unblock the Notifications
