Gujarat Elections 2022 : પંજાબની જીત બાદ AAP ગુજરાતની ચૂંટણીમાં ઝંપલાવશે, એપ્રિલમાં કેજરીવાલ-માનનો રોડ શો
આમ આદમી પાર્ટી હવે ગુજરાતમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી લડશે. આ માટે AAP એપ્રિલમાં ગુજરાતમાં ચૂંટણી પ્રચાર શરૂ કરશે. 2 એપ્રિલના રોજ AAPના કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અમદાવાદમાં રોડ શો કરશે.
Gujarat Elections 2022 : પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં જંગી જીત નોંધાવ્યા બાદ સરકાર બનાવનારી આમ આદમી પાર્ટી હવે અન્ય રાજ્યોમાં ચૂંટણી પ્રચાર શરૂ કરવાની યોજના બનાવી રહી છે. આમ આદમી પાર્ટી હવે ગુજરાતમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી લડશે.

આ માટે AAP એપ્રિલમાં ગુજરાતમાં ચૂંટણી પ્રચાર શરૂ કરશે. 2 એપ્રિલના રોજ AAPના કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અમદાવાદમાં રોડ શો કરશે. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ તેમની સાથે રોડ શોમાં ભાગ લેશે.
મળતી માહિતી મુજબ, કેજરીવાલનો આ ગુજરાત પ્રવાસ બે દિવસનો હોય શકે છે. આ દરમિયાન તેઓ ગુજરાતની મોટી હસ્તીઓને પણ મળી શકે છે. ગુજરાતમાં આ વર્ષના અંત સુધીમાં ચૂંટણી યોજાઈ શકે છે. માનવામાં આવે છે કે, આમ આદમી પાર્ટી ગુજરાત વિધાનસભાની ચૂંટણી જોરશોરથી લડશે. આ સાથે જ ગુજરાતમાં ભાજપની સરકાર છે. ભાજપે પણ ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે.
બીજી બાજુ, પંજાબમાં તેની શાનદાર જીતથી ઉત્સાહિત, AAP હવે દેશભરમાં આગળ વધવા માટે કામ કરી રહી છે. આ કારણે તેમણે સોમવારના રોજ 9 રાજ્યો માટે નવા પદાધિકારીઓની નિમણૂક કરી છે. આ રાજ્યોમાં તે રાજ્યોનો પણ સમાવેશ થાય છે, જ્યાં આ વર્ષે અને 2023માં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. એક નિવેદનમાં, આમ આદમી પાર્ટીએ તમામ 9 રાજ્યો માટે નિયુક્ત નવા પદાધિકારીઓના નામ જાહેર કર્યા અને કહ્યું કે, આગામી દિવસોમાં પાર્ટી ટૂંક સમયમાં અન્ય રાજ્યો માટે તેના પદાધિકારીઓના નામની જાહેરાત કરશે.
AAP દ્વારા બહાર પાડવામાં આવેલી યાદી અનુસાર, 31 માર્ચના રોજ યોજાનારી રાજ્યસભાની ચૂંટણી માટે પંજાબ વિધાનસભા સંકુલમાં ઉમેદવારી પત્ર ભરનારા સંદીપ પાઠકને ગુજરાતમાં AAPના રાજકીય બાબતોના પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમને પંજાબમાં પાર્ટીના રાજકીય બાબતોના સહ-પ્રભારી તરીકે પણ નિયુક્ત કરવામાં આવ્યા છે. IIT દિલ્હી સાથે જોડાયેલા સંદીપ પાઠકને AAPના ચાણક્ય તરીકે પણ ઓળખવામાં આવે છે.
જો પક્ષના સૂત્રોનું માનીએ તો, પંજાબમાં સચોટ અને વૈજ્ઞાનિક સર્વેક્ષણ કરવા, ઉમેદવારોની પસંદગી કરવા અને પંજાબમાં AAPની જંગી જીત માટેની સમગ્ર વ્યૂહરચના નક્કી કરવા માટે સંદીપ પાઠક જ જવાબદાર હતા. પંજાબમાં AAPની જીતમાં પાઠકની મહત્વની ભૂમિકા હોવાથી, ભાજપ શાસિત ગુજરાતમાં આગામી વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીની સફળતા માટે પાર્ટી તેમના પર વિશ્વાસ કરી રહી છે.
ગુજરાતમાં તેઓ દિલ્હીના AAPના ધારાસભ્ય ગુલાબ સિંહનું સ્થાન લેશે. ગુજરાતમાં પાર્ટીની રાજકીય બાબતોના પ્રભારી રહેલા સિંહ હવે રાજ્યમાં ચૂંટણી પ્રભારી તરીકે ફરજ બજાવશે. AAP એ આ વર્ષે બીજેપી શાસિત હિમાચલ પ્રદેશમાં આવનારી વિધાનસભા ચૂંટણી પર પણ એટલું જ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. આવા સમયે, છત્તીસગઢમાં 2023 માં યોજાનારી વિધાનસભા ચૂંટણી પર નજર રાખીને, AAP એ દિલ્હીના બુરારીથી તેના ધારાસભ્ય સંજીવ ઝાને આદિવાસી બહુલ રાજ્યમાં પાર્ટીના રાજકીય બાબતોના પ્રભારી નિયુક્ત કર્યા છે.












Click it and Unblock the Notifications
