વડોદરાની 106 બાળકીઓને હ્રદયરોગનો નિઃશુલ્ક ઇલાજ સરકારે કર્યો

આજના આધુનિક વિજ્ઞાન અને ટેકનોલોજીએ આ હૃદયરોગને નાથવા ઘણા સંશોધન કરી સાધનો અને દવાઓ વિકસાવી જીંદગી બચાવવાના પ્રયત્નો કર્યા છે, અને સફળતાઓ વધી રહી છે.
ગુજરાત સરકાર, અને ખાસ કરીને રાજ્યના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની દીર્ધદદ્રષ્ટિથી કન્યા કેળવણી સાથે શાળાના વિઘાર્થીઓ માટે અનેક સવલતો શાળામાં ઊભી કરી છે.
જેમાં પીવાનું પાણી, સેનિટેશન વ્યવસ્થા, વીમા યોજના, ગણવેશ, પાઠય પુસ્તકો, સાઇકલ સહિત ખાસ શાળા આરોગ્ય તપાસણી દ્વારા આંગણવાડીથી લઈ માધ્યમિક શાળાઓના વિઘાર્થીઓના આરોગ્યની ચકાસણીનું કામ દર વર્ષે આયોજીત કરવામાં આવે છે. જેમાં નિષ્ણાંત તબીબો અને પેરા મેડિકલ સ્ટાફ દ્વારા એકે એક વિઘાર્થીઓની શારીરિક તપાસ કરવામાં આવે છે.
આ ખાસ શાળા આરોગ્ય તપાસણી હેઠળ વડોદરા જિલ્લામાં 1842 ગામોની શાળા અને આંગણવાડીઓમાં 85 ટીમો દ્વારા તબીબી તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં વર્ષ 2011માં 62 દિકરીઓનું અને વર્ષ 2012માં 44 દિકરીઓનું હૃદયરોગનું નિદાન થયું હતું. આ દિકરીઓને હૃદયરોગની ખાસ હોસ્પિટલમાં મોકલી દવા સાથેની સારવાર તદ્દન નિઃશુલ્ક ધોરણે રાજ્ય સરકારે પુરી પાડી હતી. રાજ્ય સરકારની આ યોજનાથી વડોદરા જિલ્લાના ગરીબ અને મધ્યમ વર્ગના કુટુંબોને તો ભગવાને આપેલા આશીર્વાદ સમાન બની રહી છે.
પાદરા તાલુકાના જાસપુર ગામના મધ્યમ વર્ગીય હિતેન્દ્રસિંહ રાણા ખાનગી કંપનીમાં નોકરી કરી કુટુંબનિર્વાહ કરતા હતા. પુત્રી ધ્રુવીના જન્મ સમયે કુટુંબમાં ખુશી છવાઈ ગઈ. પરંતુ સમય જતા કેમેય કરીને ધ્રુવીનું વજન વધતું નહોતું. ચિંતા પેઠી, એટલે દિકરીને લઈ વડોદરા ખાનગી દવાખાનામાં તપાસ કરાવી. તબીબે દિકરી ધ્રુવીના હૃદયમાં કાણું હોવાનું અને તેની સારવાર પાછળ બેથી અઢી લાખનો ખર્ચ થશે તેમ કહ્યું. ધ્રુવીને હૃદયરોગના નિદાનથી હિતેન્દ્રભાઇનું દિલ દ્રવી ગયું. હવે શું? નો વેધક પ્રશ્ન!
તેમને જાણ થઇ કે સરકાર આમાં કોઇક પ્રકારની સહાય આપે છે એટલે તેઓ ચાણસદના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ગયા ત્યાં તબીબોને જાણ કરી, બધા રીપોર્ટસ બતાવ્યા એટલે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર થકી ધ્રુવીને અમદાવાદ રીફર કરવામાં આવી. જ્યાં વિનામૂલ્યે અને સમયસર સારવાર આપી ધ્રુવીને હૃદયરોગના શિકંજામાંથી તબીબો થકી સરકારે છોડાવી. આજે ધ્રુવીનું વજન વધ્યું છે અને શારીરિક રીતે તંદુરસ્ત છે. તેનુ મુખડું જોઇને હિતેન્દ્રસિંહ હરખાય છે.
આજ પાદરા તાલુકાના ગણપતપુરા ગામના પ્રવિણભાઇ પઢિયારની દિકરી શ્રેયાંસીને પણ હૃદયરોગ થયાનું નિદાન આંગણવાડીમાં આવેલી તબીબી ટુકડીએ કર્યું. શ્રેયાંસીને પણ સરકારે નિઃશુલ્ક દવા અને સારવાર કરાવી. આજે શ્રેયાંસી પ્રવિણભાઇના આંગણાને તેની બાલસહજ નિદોર્ષ કિલકારીઓથી ગજવી રહી છે.
વડોદરા તાલુકાના સલાડ ગામના મિતેશભાઇ જોષીની દિકરી દ્રષ્ટિને પણ હૃદયરોગ થયાનું ખાસ શાળા આરોગ્ય તપાસણી ટીમ દ્વારા નિદાન કરવામાં આવ્યું હતું. કેલનપુરની પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની ટીમે જરૂરી તપાસ વડોદરાની એસ.એસ.જી. હોસ્પિટલમાં કરાવી જ્યાં દ્રષ્ટિની પાકા પાયે હૃદયરોગનું નિદાન થયું. એટલે પછી દ્રષ્ટિને અમદાવાદની યુ.એન.મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. સફળતાપૂર્વક ઓપરેશન દ્વારા દૃષ્ટીને નવજીવન મળ્યું.
મિતેશભાઇ રાજ્ય સરકાર સહિત તમામનો આભાર માનતા કહે છે કે, મારી દ્રષ્ટિની જીંદગી બચી જેથી મને સરકારની આ સહાય થકી નવી દ્રષ્ટિ મળી છે. અત્યાર સુધી તો એવું લાગતુ કે ગરીબોના બેલી કોઇ નથી પરંતુ આ સરકાર ઘરઆંગણે આવી બે હાથે બધી બાજુથી મદદ કરે છે.
વડોદરા જિલ્લા આરોગ્ય અધિકારી બી.આર.સોલંકી જણાવે છે કે, ખાસ શાળા આરોગ્ય તપાસણી દ્વારા બાળકોના નાના મોટા તમામ રોગોનું નિદાન સમયસર થાય છે, અને તેથી તેમની સારવાર પણ સમયસર થાય છે. રાજ્ય સરકારે ભાવિ પેઢીના ફક્ત ભણતર જ નહી તેમના સ્વાસ્થ્યની પણ ચિંતા કરી એક આગવી યોજના અમલમાં મૂકી છે જેને કારણે આજે ગરીબ-તવંગર દરેક વાલીઓ પોતાના બાળકોને શાળાએ મોકલતા થયા છે અને વચ્ચેથી ઉઠાડતા પણ નથી. આ કાર્યક્રમ પણ દરેક બાળકને શિક્ષણ આપવાના અધિકારને સીધી અસર કરે છે.












Click it and Unblock the Notifications
