ઘી માણસા નાગરિક સહકારી બેંક લિ.ના સુવર્ણ જયંતિ મહોત્સવને સહકાર રાજય મંત્રીના હસ્તે ખુલ્લો મુકાયો
ઘી માણસા નાગરિક સહકારી બેંક લિ. નો સુવર્ણ જયંતિ મહોત્સવ આજરોજ માણસા ખાતે યોજાયો હતો આ મહોત્સવને સહકાર રાજ્ય મંત્રી જગદીશ વિશ્વકર્માએ દીપ પ્રાગટ્ય કરીને ખુલ્લો મૂક્યો હતો.

આ પ્રસંગે સહકાર રાજય મંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, ગુજરાત રાજયનું સહકારી માળખું દેશભરમાં ઉમદા છે. સહકારી માળખાનો વિચાર રજૂ કરનાર સરદાર વલ્લભભાઇ પટેલ હતા. અમૂલ ડેરી આજે સમગ્ર દેશમાં સહકારી માળખાનું ઉત્તમ દષ્ટાંત છે. ગ્રામ્ય અને નાના શહેરોના વિકાસમાં સહકારી બેકોંનું યોગદાન નોંઘપાત્ર છે.
ઘી માણસા નાગરિક સહકારી બેંક લિ.ની સ્થાપના કરનાર સ્થાપકોને યાદ કરીને તેમણે કહ્યું હતું કે, માણસાના આર્થિક વિકાસમાં આ બેંકનું યોગદાન પ્રસંશનીય છે. તેમણે ઉમેર્યું હતું કે, દેશના વડાપ્રઘાન નરેન્દ્રભાઇ મોદીએ સમગ્ર દેશમાં ગુજરાત રાજયની જેમ સહકારી માળખાના વિકાસ માટે કેન્દ્રમાં સહકાર વિભાગની અલગ રચના કરી છે. તેમજ માણસાના સપૂત અને કેન્દ્રીય ગૃહ મંત્રી સાથે સાથે સહકારી માળખામાં ઉમદા કામગીરી કરનાર અમિતભાઇ શાહને પ્રથમ સહકાર મંત્રી બનાવામાં આવ્યા છે, જે વાત આપણા સૌ માટે ગૌરવની છે. સહકારી માળખાને મજબૂત કરવા અને વઘુ લોક ઉપયોગી બને શકે તે દિશા લઇ જવા માટે હજુ પણ આપણે સૌએ કામ કરવાનું છે, તેવું પણ ભારપૂર્વક જણાવ્યું હતું
આ પ્રસંગે ઘી માણસા નાગરિક સહકારી બેંકના ચેરમેન ગોવિંદભાઈ પટેલે મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરીને બેંક કેવી રીતે ૫૦ વર્ષમાં એક વટવૃક્ષ બની છે, તેની રસપ્રદ માહિતી આપી હતી. તેમજ બેંકની વિવિધ સેવાઓની પણ માહિતી આપી હતી.
આ પ્રસંગે ઘી માણસા નાગરિક સહકારી બેંક લિના વિકાસમાં અમૂલ્ય યોગદાન આપનાર સૌ વ્યક્તિઓનું સન્માન પણ મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું.












Click it and Unblock the Notifications
