ગાંધીનગર 7138 સ્કવેર મીટરમાં 136 કરોડના ખર્ચે તૈયાર થશે કોર્ટ ભવન

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું છે કે, મજબૂત ઈન્ફાસ્ટ્રક્ચર નિર્માણથી સસ્ટેઈનેબલ ડેવલપમેન્ટની વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વિકસાવેલી પરિપાટીને ગુજરાત અવિરત વિકાસ કામોથી આગળ ધપાવી રહ્યું છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, રાજ્ય સરકાર જ્યુડીશીયલ ઈન્ફાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટના માર્ગે આગળ વધી છે.

Bhupendra patel

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં નિર્માણ થનારી નવી ડીસ્ટ્રિક્ટ કોર્ટના ભવનનું ભૂમિપૂજન કર્યું હતું. આ નવી ડીસ્ટ્રીક્ટ કોર્ટનું ભવન બે બેઝમેન્ટ પાર્કિંગ અને ૭ માળ સહિતની અધ્યતન સુવિધા સાથે રૂપિયા ૧૩૬ કરોડના અંદાજિત ખર્ચે નિર્માણ થવાનું છે.

ભૂપેન્દ્ર પટેલે આ ભવનના શિલાન્યાસ સાથે અમદાવાદમાં લો ગાર્ડન, ધૂલિયા કોટ ખાતે ન્યાયિક રહેણાંક મકાનોનું પણ વર્ચ્યુઅલ ભૂમિપૂજન કર્યું હતું. કાયદામંત્રી ઋષિકેશ પટેલ, સુપ્રિમ કોર્ટના જજ શ્રી એમ. આર. શાહ, સુશ્રી બેલાબહેન ત્રિવેદી, ગુજરાત હાઈકોર્ટના એક્ટીંગ ચીફ જસ્ટીસ એ. જે. દેસાઈ, એડવોકેટ જનરલ કલમભાઈ ત્રિવેદી સહિત જિલ્લા કોર્ટના ન્યાયાધિશશ્રીઓ કાયદાવિદો અને અગ્રણી વકીલો આ અવસરના સાક્ષી બન્યા હતા.

મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, ન્યાયપાલિકા, ધારાસભા અને બ્યૂરોક્રેસી ત્રણેય અંગોની સિનર્જી લોકતંત્રને ગતિશીલ અને વિકાસશીલ રાખે છે. ન્યાયપાલિકાનું એક આગવું સ્થાન અને મહત્ત્વ છે. ત્યારે ન્યાયતંત્રને જરૂરી ઈન્ફાસ્ટ્રક્ચરથી સુસજ્જ બનાવવાની આપણી નેમ છે.

તેમણે જણાવ્યું કે, ઈન્ફાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ સહિતના કોઈપણ વિકાસ કામોમાં નાણાંકીય વ્યવસ્થાપનો અભાવ ન રહે તે રીતે રાજ્ય સરકારે સુદ્રઢ ફાયનાન્સિયલ મેનેજમેન્ટ કર્યું છે. કોરોનાના કપરા કાળ પછીના બજેટમાં પણ રાજ્ય સરકારે જે નાણાં વ્યવસ્થાપન કર્યું તેની નિતી આયોગે પણ સરાહના કરી છે તેમ મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એમ પણ જણાવ્યું કે, આ વર્ષે રાજ્યના ઈતિહાસનું સૌથી મોટું રૂપિયા ૩ લાખ કરોડનું બજેટ સરકારે આપ્યું છે અને તેમાં ઈન્ફાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટનો વિકાસ પંચસ્થંભમાં સમાવેશ કર્યો છે. કાયદા વિભાગને વધુ સુવિધાસભર બનાવવા રૂપિયા ૨૦૧૪ કરોડની જોગવાઈ ન્યાયતંત્રની જરૂરિયાતોને ધ્યાનમાં લઈને સરકારે કરી છે તેની પણ ભૂમિકા મુખ્યમંત્રીશ્રીએ આપી હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પેટલે લોકશાહી વ્યવસ્થામાં સૌને ઝડપી, સરળ ન્યાય મળે તથા લોકોનો ન્યાયતંત્ર પ્રત્યેનો વિશ્વાસ જળવાઈ રહે તે માટે રાજ્ય સરકાર જરૂરી સહયોગ અને સહભાગીતા કરશે તેમ પણ ઉમેર્યું હતું.

ન્યાયતંત્રએ લોકશાહીનો મુખ્ય આધાર સ્તંભ છે, એવું કહી કાયદા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાનશ્રીનો ભારત ભરના લોકો માટે સરળ, સજ્જ અને મુશ્કેલીઓ વગરનું તંત્રનું નિર્માણ કરવાનો સંકલ્પ છે. આ કાર્યને મૂર્તિમંત કરવા માટે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ આ જ માર્ગ ઉપર આગળ વધી રહ્યા છે.

તેમણે ઉમેર્યું હતું કે, ન્યાયતંત્રમાં કામ કરતા ન્યાયમૂર્તિઓ અને તેમના સહાયક સ્ટાફ ઉત્તમ રીતે કામ કરી શકે તે માટેનું સારું પ્લેટફોર્મ આપવું અને આધુનિક સુવિધાની સાથે તેમના પરિવારને રહેવાની પણ ઉત્તમ સુવિધા આપવા માટે આ સરકાર કટિબદ્ધ છે. આ ઉમદા કાર્યને સાર્થક કરવા ચાલુ વર્ષના નાણાકીય બજેટમાં ન્યાય પ્રણાલીની સુવિધાઓ માટે રૂપિયા ૨,૦૦૦ કરોડ જેટલી માતબર રકમની ફાળવણી કરવામાં આવી છે. આગામી પાંચ વર્ષમાં તાલુકા, જિલ્લા કોર્ટને અધતન સુવિધાઓ અને ટેકનોલોજી માટે જરૂરી ઉપકરણોથી સજ્જ કરાશે જેથી કોર્ટમાં આવતા અરજદારો અને વકીલઓને પણ સુવિધાઓનો લાભ મળશે. આજે ન્યાય પ્રણાલી દ્વારા અરજદારોને પોતાની કેસની વિગતો અથવા કેસ કયા તબક્કે છે, તેની માહિતી પણ તેઓ સરળતાથી ઓનલાઇન મેળવી શકે છે. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જે વહીવટી માર્ગ પ્રશસ્ત કર્યો છે, ત્યારે ન્યાયતંત્રથી ગ્રામતંત્ર સુધીની સુવિધાઓમાં સુધારો લાવવાના સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

ભારતીય સુપ્રીમ કોર્ટના જજ શ્રી એમ. આર. શાહે કહ્યું હતું કે ગાંધીનગરના ન્યાયતંત્ર માટે આજે અનોખો દિવસ છે. સમગ્ર દેશમાં ગુજરાત સરકારે ન્યાયતંત્ર માટે શ્રેષ્ઠ આધુનિક માળખાગત સુવિધાઓ ઉપલબ્ધ કરાવી છે.

તેમણે કહ્યું હતું કે તાજેતરમાં જ ઉત્તરપ્રદેશથી ઉચ્ચ ન્યાયાલયના અધિકારીઓની એક ટીમ ગુજરાતમાં કોર્ટોની માળખાગત સુવિધાઓના અભ્યાસ માટે આવી હતી. ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવતી આધુનિક સુવિધાઓથી પ્રભાવિત બનીને આ ટીમે જ્યારે ઉત્તર પ્રદેશમાં મુખ્યમંત્રી સમક્ષ આ અહેવાલ રજૂ કર્યો ત્યારે ત્યાંની સરકારે પણ પ્રથમ તબક્કામાં ૧૦ જિલ્લાની કોર્ટમાં ગુજરાત જેવી શ્રેષ્ઠ માળખાગત સુવિધા ઉપલબ્ધ કરવાનું નક્કી કર્યું છે. નાગરિકો કોર્ટને ન્યાય મંદિર માને છે ત્યારે તેમનો વિશ્વાસ ટકી રહે તેવા આપણે હંમેશા વધુ પ્રયાસો કરવા પડશે. રાજ્ય સરકાર જ્યારે આ પ્રકારની ઉત્તમ સુવિધા ઉપલબ્ધ કરાવે છે ત્યારે આપણા સૌની ફરજ બને છે કે આપણે વધુ સરળ અને ઝડપી ન્યાય ઉપલબ્ધ કરાવીએ. જ્યારે કોઈ અકસ્માતના કેસમાં ઘરના મોભીનું મૃત્યુ થાય છે ત્યારે તેવા કેસમાં ખૂબ જ સંવેદનશીલ બની ઝડપીમાંથી ઝડપી ચુકાદો આપવો જોઈએ જેથી તેના દાવાની રકમથી તેના પરિવારનું જીવન નિર્વાહ ચાલી શકે. જજ શાહે ગુજરાતમાં ન્યાયતંત્ર માટે શ્રેષ્ઠ માળખાગત સુવિધા ઉપલબ્ધ કરાવવા બદલ આ પ્રસંગે મુખ્યમંત્રી અને કાયદામંત્રીનો આભાર માન્યો હતો.

ભારતીય સુપ્રીમ કોર્ટના જજ બેલાબેન ત્રિવેદીએ નવીન ન્યાય મંદિરના ભૂમિ પૂજન પ્રસંગે કહ્યું હતું કે, કોઈપણ ઇમારતનો પાયાનો પથ્થર જેટલો મજબૂત હશે, તેટલી ઈમારત વધુ મજબૂત બનશે અને અને આ તો ન્યાય મંદિર છે, એટલે તેની પવિત્રતા પણ એટલી જ જરૂરી છે. લોકતંત્રના પાયામાં ન્યાય તંત્ર ખૂબ જ મહત્વનું સ્થાન ધરાવે છે. ગુજરાત સરકાર ન્યાયતંત્રને તમામ માળખાગત સુવિધા ઉપલબ્ધ કરવા હંમેશા તત્પર રહી છે, ત્યારે આ ન્યાય મંદિરની ભવ્યતામાં ન્યાયરૂપી દિવ્યતા પુરવાનું કામ આપણે સૌએ કરવાનું છે. સામાન્ય વ્યક્તિ માટે તાલુકા અને જિલ્લા કોર્ટનો ચુકાદો ખૂબ જ મહત્વનો હોય છે એટલે વિપેક્ષ વિના લોકોને વધુ ઝડપી અને સરળ ન્યાય મળે તે માટે આપણે વધુ સંવેદનશીલ બનીને પ્રયાસો કરવા પડશે. તેઓ જ્યારે ગુજરાત સરકારમાં વર્ષ ૨૦૦૪ માં કાયદા સચિવ તરીકે હતા તેના અનુભવો પણ આ પ્રસંગે યાદ કર્યા હતા.

ગુજરાત હાઇકોર્ટના એક્ટિંગ મુખ્ય જજ એ. જે. દેસાઈએ નવીન ભવનના ભૂમિપૂજન પ્રસંગે સૌને અભિનંદન આપતા કહ્યું હતું કે ગાંધીનગર શહેરના મધ્યમાં આધુનિક જિલ્લા કોર્ટનું નવીન ભવન તૈયાર થવાથી તમામને વધુ સુગમતા રહેશે. નવીન કોર્ટમાં કુલ આઠ માળમાં તમામ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. ઉપરાંત નવીન કોર્ટમાં એડીઆર સેન્ટર શરૂ કરવામાં આવનાર છે. જેનો મહત્તમ લાભ લેવા જજ દેસાઈએ વકીલોને અનુરોધ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, અમદાવાદ શહેરની વચ્ચે લો ગાર્ડન ખાતે ૨૦૦ થી વધુ રહેણાંકના મકાનો એક જ જગ્યાએ તૈયાર થવાથી જજીજ સહિત સ્ટાફને રહેવાની ખૂબ જ સારી અને સુરક્ષિત વ્યવસ્થા ઉપલબ્ધ થશે.

ગાંધીનગર જિલ્લાના મુખ્ય જજ જે. આર. શાહે સ્વાગત કરીને ગાંધીનગર જિલ્લાની અસ્તિત્વ પહેલાની જિલ્લાની ન્યાયીક પરિસ્થિતિની વિગતો આપી નવીન ભવન બદલ રાજ્ય સરકાર અને ગુજરાત હાઇકોર્ટેનો આભાર માન્યો હતો. તેમણે નવીન ભવનની માહિતી આપતાં કહ્યું હતું કે, ગાંધીનગરમાં, રામ કથા મેદાનમાં સેકટર -૧૧ ખાતે ૧૯,૩૭૫ ચો.મી.માં રૂ.૧૩૬ કરોડના ખર્ચે કુલ ૨૮ અદાલત ધરાવતું આઠ માળનું આધુનિક ભવનનું નિર્માણ થશે.જેમાં બે માળનું બેઝમેન્ટ પાર્કિંગ, કોન્ફરન્સ રૂમ,આધુનિક લાયબ્રેરી, સાક્ષીઓની જીબાની રૂમ, જજીજ ચેમ્બર સહિતની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X