કૃષિ મંત્રી રાઘવજી પટેલે દિલ્હી ખાતે આયોજિત વર્લ્ડ ફૂડ ઇન્ડિયા-2023 નોલેજ સેશનમાં હાજરી આપી
કૃષિ મંત્રી રાઘવજી પટેલે દિલ્હી ખાતે આયોજિત વર્લ્ડ ફૂડ ઇન્ડિયા-2023 નોલેજ સેશનમાં હાજરી આપી હતી. અહીં તેમણે કૃષિ ક્ષેત્રે ગુજરાત આગળ વધી રહ્યું હોવાનું જણાવ્યુ.
કૃષિ મંત્રી રાઘવજી પટેલે ફૂડ પ્રોસેસિંગ-અમૃતકાળનું વિકસતું ક્ષેત્ર વિષય પરના સ્ટેટ નોલેજ સેશનમાં જણાવ્યું કે, છેલ્લા બે દાયકામાં ગુજરાતના કૃષિ અને ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રે ક્રાંતિકારી પરિવર્તન આવ્યું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી દિલ્હી ખાતે ત્રિ-દિવસીય વર્લ્ડ ફૂડ ઈન્ડિયા-2023 કાર્યક્રમની દ્વિતીય આવૃત્તિનો શુભારંભ કરાવ્યો હતો. વર્લ્ડ ફૂડ ઇન્ડિયા કાર્યક્રમમાં ગુજરાત પાર્ટનર સ્ટેટ તરીકે જોડાયું છે.
ગુજરાત રાજ્ય તરફથી આ કાર્યક્રમમાં કૃષિ મંત્રી રાઘવજી પટેલ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના અધિક મુખ્ય સચિવ એ. કે. રાકેશ, ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝના મેનેજીંગ ડીરેક્ટર ડી. એચ. શાહ સહભાગી થયા હતા.
દિલ્હી ખાતે વર્લ્ડ ફૂડ ઇન્ડિયા કાર્યક્રમના શુભારંભ બાદ ફૂડ પ્રોસેસિંગ-અમૃતકાળનું વિકસતું ક્ષેત્રની થીમ પર એક વિશેષ સ્ટેટ નોલેજ સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય અતિથિ તરીકે રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
કૃષિ મંત્રીએ આ સેશનને સંબોધિત કરતા જણાવ્યું હતું કે, દેશના ઔદ્યોગિક અને કૃષિ ક્ષેત્રના વિકાસમાં ગુજરાતનું યોગદાન મહત્વપૂર્ણ છે. ગુજરાતની વૈવિધ્યસભર ભૌગોલિક પરિસ્થિતિના અને પ્રાકૃતિક વાતાવરણ જ તેની વિશેષતા છે અને તેને અનુરૂપ ૪૦થી વધુ પ્રકારના પાકોનું રાજ્યમાં વાવેતર થાય છે.
ગુજરાત આજે નવી જણસીઓના ઉત્પાદનમાં દેશ નહિ પરંતુ સમગ્ર વિશ્વમાં પ્રથમ સ્થાને છે. પરિણામે આજે ગુજરાત કૃષિ ઉદ્યોગની સ્થાપના માટે પણ પ્રથમ પસંદગી બની રહ્યું છે. સાથે જ છેલ્લા બે દાયકા દરમિયાન ગુજરાતના બાગાયતી ખેતીનો વ્યાપ પણ ત્રણ ગણો વધ્યો છે.
વધુમાં કૃષિ મંત્રીશ્રીએ આ સેશન દરમિયાન કૃષિ ક્ષેત્રે ગુજરાતની વિવિધ સિદ્ધિઓ, ખેડૂતોની આવક બમણી કરવા રાજ્ય સરકાર દ્વારા શરુ કરાયેલી વિવિધ કલ્યાણકારી યોજનાઓ, કાર્યક્રમો અને મહત્વપૂર્ણ નિર્ણયો અંગે સૌને માહિતગાર કર્યા હતા.
તેમણે ઉદ્યોગકારોને ગુજરાતના કૃષિ ક્ષેત્રે રોકાણ કરવા માટે આવકાર્યા અને તેમજ ઉદ્યોગ માટે ગુજરાતમાં ઉપલબ્ધ વિવિધ સુવિધાઓ અંગે પણ વિસ્તારથી વાત કરી.












Click it and Unblock the Notifications
